કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ શનિવારે દાવો કર્યો હતો કે સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની ટોચની નેતાગીરી ભલે તેને નકારવાનો ઢોંગ કરી રહી હોય, પરંતુ જો પાર્ટી ફરી સત્તામાં આવશે, તો તે બંધારણને બદલી નાખશે અને લોકોને તેમનાથી વંચિત રાખશે.પ્રિયંકાએ ધરમપુર ગામમાં એસટી (અનુસૂચિત જનજાતિ) અનામત વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં આયોજિત રેલીમાં જણાવ્યું હતું. આદિવાસી બહુલ વલસાડ જિલ્લામાં નરેન્દ્ર મોદી આ વાતને નકારી રહ્યા છે. આ તેમની વ્યૂહરચના છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું, “શરૂઆતમાં તેઓ જે કરવા માગે છે તે હંમેશા નકારશે પરંતુ સત્તામાં આવ્યા બાદ તેઓ તેનો અમલ કરશે. તેઓ સામાન્ય લોકોને કમજોર કરવા અને આપણા બંધારણમાં આપેલા અધિકારોથી વંચિત રાખવા બંધારણમાં ફેરફાર કરવા માંગે છે.” વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી વખતે ‘સુપરમેન’ની જેમ સ્ટેજ પર આવતા હતા તેમને “ઇન્ફ્લેશન મેન” તરીકે યાદ કરો.
પ્રિયંકાએ કહ્યું, “ભાજપના નેતાઓ વડા પ્રધાનને એક શક્તિશાળી નેતા તરીકે રજૂ કરે છે અને (રશિયા-યુક્રેન યુદ્ધના સંદર્ભમાં) કહે છે કે તેઓ ‘ચપટી વડે યુદ્ધ રોકે છે’, તો પછી તે ગરીબી વિશે કેમ વાત કરી શકતા નથી. કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો તે શહેરી વિસ્તારોમાં ૧૦૦ દિવસના કામની ગેરંટી આપવા માટે મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) જેવી રોજગાર ગેરંટી યોજના લાવશે.
સભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, એક તીર એક કમાન, આદિવાસીઓ એક સમાન. આદિવાસીઓની જ્યાં વધારે સંખ્યા છે એને અમે અનુસુચિત ક્ષેત્ર જાહેર કરીશું, જેથી તમને વધારે લાભ મળી શકે. તમે બધા જોઈ રહ્યા છો, તમારી જોડે અન્યાય થઇ રહ્યો છે, એટલે રાહુલજીએ ન્યાય યાત્રા શરૂ કરી’ તેમણે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, ‘સરકારે મોટા મોટા દાવા કર્યા પણ કઈ થયું નહીં. ૧૦ વર્ષમાં સરકારે દલિતો કે આદિવાસી કે સામાન્ય જનતાને મજબુત કરવા માટે કોઈ કામ કર્યું નથી. ભાજપ સરકારના કામ ટીવી પર દેખાઇ રહ્યા છે, એવું કઈ રિયલમાં થયું નથી.’ વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ‘છેલ્લા ૧૦ વર્ષથી ભાજપની સરકારમાં તમારી સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડી છે અને જા હજી પણ આ સરકાર આવશે તો તમારો વિકાસ નહીં થાય. અમારી સરકાર આવશે, ત્યારે તમને એટલી મદદ મળશે કે આવનાર થોડા જ સમયમાં તમે ખુદના પગ પર ઊભા થઈ શકશો. એમ ખાલી વાયદો નથી કરતા, રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે કરી બતાવ્યું છે.’આ પ્રસંગે પ્રિયંકા ગાંધીએ કહ્યું હતુ કે ૪૫ વર્ષમાં બેરોજગારી આપણા દેશમાં સૌથી વધારે છે. પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન એક નારો આપ્યો હતો કે એક તિર,એક કમાન, આદિવાસીઓ સૌ એક સમાન.
પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન કહ્યું હતુ કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે જેની કોઈ હદ નથી. તેમણે કહ્યું કે ચપટી વગાડતા યુદ્ધ રોકાવી શક્યા તો ચપટી વગાડીને મોંઘવારી અને ગરીબી કેમ દૂર નથી કરી રહી સરકાર? આ સાથે તેણે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને પીએમ મોદીને “મોંઘવારી મેન” ગણાવ્યા હતા. લાંબા સમય બાદ પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે બધે તરફથી મોદી સરકારને ઘેરવાના પ્રયાસો કર્યા હતા તેમણે કહ્યું કે સરકારીના મોટા મોટા દાવા કે અમે આ કરીશું પેલુ કરીશુ પણ કઈ થયું નથી. દેશમાં હાથરસ જેવા પણ કિસ્સા બન્યા.મોંઘવારી અને બેરોજગારીને દેશની સૌથી મોટી સમસ્યા ગણાવતા વાડ્રાએ કહ્યું કે મોદી સરકારના શાસનમાં છેલ્લા દસ વર્ષમાં મોંઘવારી અને બેરોજગારીમાં વધારો થયો છે. આજે દરેક વસ્તુ પર જીએસટી લાદવામાં આવ્યો છે. ખેતીમાંથી કોઈ આવક નથી. કોંગ્રેસ સરકારે કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા પરંતુ ભાજપ સરકારે કરોડો લોકોને ગરીબીમાં ધકેલી દીધા છે. મોદી પર લોકોનું ધ્યાન ભટકાવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે વાસ્તવમાં તેઓ જનતાથી દૂર થઈ ગયા છે. એટલા માટે તે સામાન્ય માણસની સમસ્યાઓ વિશે વાત નથી કરી રહ્યા.
મહિલાઓ પર આપેલુ આરક્ષણ નામ માત્ર છે કારણ કે આ ૫ – ૬ વર્ષ સુધી લાગુ જ નહી થાય. સરકારે ઉદ્યોગપતિના ૧૬ લાખ કરોડ રુપિયા માફ કરી દીધા પણ ગરીબ માટે શું કર્યું? કોઈ રોજગાર નથી મોંઘવારી ઓછી નથી થઈ રહી. આજથી ૫ વર્ષ પછી જોશો તો પણ દેશની સ્થિતિ તેની તે જ હશે અને આ છે મોદી સરકારના કામો. મેડલ જીતનારી મહિલાઓ સાથે ચા પીનાર મોદીજી કેમ તેમની સમસ્યા સાંભળવા તૈયાર નથી જેવા મોટા સવાલ ઉભા કર્યા છે. આ સાથે પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
દેશના સરકારી અધિકારીઓ ગભરાયેલા છે મિડીયા સાથે પણ મોદી સરકાર યોગ્ય કરી રહી નથી આ
સાથે દેશના આદિવાસીઓ , દલિતો અને ખેડૂતોને સરકાર છેતરી રહી છે અને કોઈ કામ કરી રહી નથી. અનાજ અને રાશન આપવો અને ગરીબોએ મેળવવો તેમનો અધિકાર છે પણ આ રાશનથી તમારા દિકરાનું ભવિષ્ય નહી બંધાય જેવા આકરા પ્રહાર કરીને પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા છે.
તેમણે કહ્યું કે મોદી કહે છે કે તેઓ એકલા ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે જ્યારે તેઓ ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા નથી, પરંતુ તેઓ વિપક્ષી નેતાઓને ચૂપ કરવા માંગે છે. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર અંગે મોદીની વાતો પોકળ છે. તેણે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ દ્વારા ભ્રષ્ટ લોકો પાસેથી દાન લીધું હતું. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ એ વાત સામે આવી છે કે મોદી સરકાર દ્વારા કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા અને તે જ કંપનીઓ પાસેથી ભાજપે ડોનેશન લીધું હતું. તપાસ એજન્સીઓએ કંપનીઓ સામે કાર્યવાહી કરી, પછી ભાજપે એ જ કંપનીઓ પાસેથી ડોનેશન લીધું. આનાથી મોટો ભ્રષ્ટાચાર ન હોઈ શકે.
તપાસ એજન્સીઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે આજે બે મુખ્યમંત્રીઓને ભ્રષ્ટાચારના બહાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. ઈડી, સીબીઆઇ અને આવકવેરા વિભાગ વિપક્ષી નેતાઓ પર દબાણ બનાવી રહ્યા છે. એ જ વિપક્ષી નેતાઓ જ્યારે ભાજપમાં જોડાય છે ત્યારે અચાનક ભ્રષ્ટાચારની વાતો અટકી જાય છે. મોદી જેમના પર હજારો કરોડના કૌભાંડનો આરોપ લગાવે છે તે નેતાઓ ભાજપમાં જોડાયા પછી ભ્રષ્ટાચારનો કેસ બંધ થઈ જાય છે.