અમરેલી અને સાવરકુંડલા વિસ્તારમાં ગુરુહરિ મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી BAPS બાળપ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા ‘વાલી જાગૃતિ અભિયાન’ અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન આ શ્રુંખલામાં કુલ ૫ જેટલા ભવ્ય ‘વાલી સંમેલન’ સફળતાપૂર્વક સંપન્ન થયા હતા. આ સંમેલનોમાં અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલા વાલીઓએ ઉત્સાહભેર હાજરી આપી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા કરવામાં આવેલી ધૂન અને સમૂહગાનથી થઈ હતી, જેમાં બાળકોએ ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના શ્લોકોનું સુંદર મુખપાઠ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ સંમેલનનું મુખ્ય આકર્ષણ ‘સ્ક્રીન સે સાવધાન’ વિષય પરનો વિશેષ વીડિયો એપિસોડ હતો. આજના ડિજિટલ યુગમાં બાળકોમાં વધતા જતા ગેજેટ્સ અને સ્ક્રીન ટાઈમના દૂષણો સામે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. આ સંમેલનને સફળ બનાવવા માટે સ્થાનિક બાળકાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.






































