લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત ગુજરાતમાં ૭મી મેના રોજ મતદાન થશે. જૂનાગઢ બેઠક પર આ વખતે બે ટર્મથી સતત ચૂંટાઈ આવતા સાંસદ કોળી સમાજના નેતા રાજેશ ચુડાસમાને ભાજપે ફરીથી રિપિટ કર્યા છે. દીનુ સોલંકીએ સભાને સંબોધતા રાજેશ ચુડાસમાને મોટું પદ આપવાની વાત કરી હતી. ત્યારે મોડી રાત્રે કોડીનાર વિધાનસભા ખાતે પૂર્વ સાંસદ દિનુ સોલંકીની ઓફિસે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને જનમેદનીને સંબોધતાં દીનુ સોલંકીએ રાજેશ ચુડાસમાને આ વખતે મોટું પદ આપવાની વાત કરી હતી.
જૂનાગઢના પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, તેઓ રાજેશ ચુડાસમાના સાંસદ પદ માટે મહેનત નથી કરી રહ્યા, પણ અત્યારે હાલમાં તેમનું જે કદ છે તેનાથી પણ મોટું પદ મળે તે માટે પ્રયત્નો કરી રહ્યો છું. પૂર્વ સાંસદ દીનુ સોલંકીના નિવેદનને લઈ લોકો વિચારતા થઈ ગયા છે કે જાહેરાત મુજબ સીટિંગ સાંસદ અને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા ત્રીજી વખત ચૂંટાઈ આવશે? ઉપરાંત રાજેશ ચુડાસમા મંત્રી બનશે કે નહિ તેવી પણ લોકવર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
તેમણે સભામાં જણાવ્યું કે તેમને રાજકારણમાં લાવનાર જ દીનુ સોલંકી છે. આમ તો રાજકારણમાં સૌથી મોટી નીતિ ચાણક્ય નીતિ છે પણ તેમની દ્રષ્ટિએ સૌથી ઉપર પૂર્વ સાંસદ દીનુ સોલંકીની નીતિ છે. તેમણે સભાને સંબોધતા એ પણ કહ્યું હતું કે,રાજા તો બધા બની શકે છે પરંતુ રાજા બનાવવાની ત્રેવડ તો પૂર્વ સાંસદ દીનુ સોલંકીમાં છે.એટલું જ નહિં દીનુ સોલંકીએ જ વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ પક્ષએ હજુ ઉમેદવાર જાહેર નહોતા કર્યા તે પહેલા તેઓએ મને(રાજેશ ચુડાસમા) કોડીનાર બોલાવી લોકસભાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. વધુમાં, વર્ષ ૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ જ મને લઈને આવ્યા હતા.