આફ્રિકન દેશ કેન્યામાં મૂશળધાર વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદને લીધે દેશના ઘણા વિસ્તારો જળમગ્ન થયા છે. પૂરના પાણીથી સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. અત્યાર સુધી ૨૮ લોકોનાં મોત થઈ ચુક્યા છે. અડધું કેન્યા આ સમયે પૂરના પાણીમાં ગરકાવ થયું છે. પૂરથી લાખો લોકોને અસર થઈ છે. માર્ગો, શેરીઓ અને લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓમાં વાહનો પાણીમાં ડૂબી ગયા છે. વરસાદથી જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. લોકો સુધી રાહત પહોંચી નથી રહી.
કેન્યા દેશની રાજધાની નૈરોબીમાં પૂરના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નૈરોબીમાં સ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે, દરેક જગ્યાએ પાણી જ દેખાઈ રહ્યું છે. સરકાર રાહત અને બચાવ કાર્યમાં તમામ સંસાધનોનો ઉપયોગ કરી રહી છે પરંતુ સ્થિતિ નિયંત્રણ બહાર છે. કેન્યા રેડ ક્રોસ સોસાયટીએ કહ્યું કે તેણે માથારેમાં ૧૮ લોકોને બચાવ્યા છે. નૈરોબીમાં ભારે વરસાદને કારણે આ લોકો ત્યાં ફસાયા હતા. દેશના અન્ય ભાગોમાં પણ લોકોના જીવ બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પૂરના પાણીને કારણે નૈરોબીમાં બે મુખ્ય હાઈવેના કેટલાક ભાગો ડૂબી ગયા છે. કેન્યા અર્બન રોડ ઓથોરિટીએ પણ પૂરના કારણે ચાર રસ્તા બંધ કરી દીધા છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે હવામાનશાસ્ત્રોઓએ જૂન મહિના સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. કેન્યામાં માર્ચ મહિનાથી વરસાદ પડી રહ્યો છે. પરંતુ હાલના દિવસોમાં ભારે વરસાદે પાયમાલી સર્જી છે.
વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ઉંચા સ્થળોએ ખસી જવાની સલાહ આપવામાં આવી છે. આંતરિક અને રાષ્ટિય વહીવટ માટેના કેબિનેટ સચિવ કિંડિકી કિથુરેએ પૂર્વ ક્ષેત્રમાં માસિંગા અને મધ્ય પ્રદેશમાં થિબા સહિતના ડેમ નજીક રહેતા રહેવાસીઓને ચેતવણી આપી છે. તેમણે ડેમની નજીક રહેતા લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપી છે. કિથુરે કહ્યું કે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે અને પૂરના કારણે વધુ લોકો પ્રભાવિત થઈ શકે છે.