પોરબંદર લોકસભાની બેઠકના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયાએ ચૂંટણી પ્રચારને બદલે વિશ્વ પૃથ્વી દિવસને મહત્વ આપ્યુ હતું. જેમાં પોરબંદર લોકસભાના ભાજપ ઉમેદવારે ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ તેમણે પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી હતી. ડો. મનસુખ માંડવીયા પહેલેથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે. પોરબંદરમાં આયોજિત સાયકલ રેલીમાં મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે, તેથી જ હું આ સાયકલ રેલીમાં જોડાયો છું. તે ઉપરાંત તેમણે કહ્યું કે, જો આપણે પૃથ્વીને બચાવવી હોય, આવનારી પેઢીઓ માટે પૃથ્વીને સુરક્ષિત રાખવી હોય, તો આપણે આજે જ પગલાં ભરવા પડશે. વડાપ્રધાને મિશન લાઇફ શરૂ કર્યું છે, આપણે સૌએ મિશન લાઇફમાં જોડાઈ પૃથ્વીને બચાવવામાં યોગદાન આપવું જોઈએ.