આમિર ખાન તેની અપકમિંગ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના કારણે ચર્ચામાં છવાયેલો છે, જે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. લાલ સિંહ ચઢ્ઢાએ ૧૯૯૪માં રિલીઝ થયેલી હોલિવુડની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિંદી રિમેક છે, જેમાં કરીના કપૂર, નાગા ચૈતન્ય અને મોના સિંહ પણ મહત્વના રોલમાં છે. મે મહિનામાં તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા દિવસથી ફિલ્મ સોશિયલ મીડિયા યૂઝર્સના નિશાને છે અને તેઓ દરરોજ ટિવટર પર તેને ટ્રેન્ડ કરીને અન્યને પણ ફિલ્મ બોયકોટ કરવાની વિનંતી કરી રહ્યા છે. યૂઝર્સ પોતાની ટ્‌વીટમાં આમિર ખાન પ્રત્યે પણ રોષ ઠાલવી રહ્યા છે. હાલમાં એક પ્રેસ ઈવેન્ટમાં આમિર ખાનને શું આ પ્રકારની નફરત અને બિનજરૂરીયાત ટ્રોલિંગ તેને પરેશાન કરે છે તેવો સવાલ કરવામાં આવ્યો હતો. જેનો જવાબ આપતાં એક્ટરે કહ્યું હતું ‘હા, મને દુઃખ થાય છે. આ ઉપરાંત મને દુઃખ થાય છે કે જે લોકો આવી વાત કરી રહ્યા છે, તેઓ માને છે કે, હું તેવી વ્યક્તિ છું જેને ભારત દેશ પસંદ નથી. તેઓ તેમના દિલથી તેવું માને છે, પરંતુ તે સાચી વાત નથી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો એવું અનુભવે છે. એવું નથી. મારી ફિલ્મ બોયકોટ ન કરવાની વિનંતી કરું છું. મારી ફિલ્મ જાવાની વિનંતી કરું છું ‘
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને બોયકોટ કરવાની કેટલાક લોકો એટલા માટે પણ માગ કરી રહ્યા છે, કારણ કે થોડા વર્ષ પહેલા તેણે જે નિવેદન આપ્યું હતું તે માટે તેમના મનમાં રોષ છે. ૨૦૧૫માં તેણે વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે, ‘આપણા દેશમાં ખૂબ જ અહિષ્ણુતા છે, કેટલાક લોકો તેવા છે જેઓ દુષ્ટતા ફેલાવે છે’. આ સમયે આમિર ખાનનો તો વિરોધ થયો જ હતો પરંતુ તેની પૂર્વ પત્ની કિરણ રાવ પણ નફરતનો શિકાર બની હતી જેણે પોતાના બાળકની સુરક્ષા માટે દેશ છોડવાનો વિચાર રજૂ કર્યો હતો.
આમિર ખાન આશરે છ વર્ષ બાદ કમબેક કરવા જઈ રહ્યો છે. છેલ્લે તે વર્ષ ૨૦૧૬માં રિલીઝ થયેલી ફિલ્મ ‘દંગલ’માં જાવા મળ્યો હતો. જેમાં ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા અને ઝાઈરા વસિમ પણ લીડ રોલમાં હતી. સાક્ષી તન્વરે આમિર ખાનની પત્નીનું પાત્ર ભજવ્યું હતું અને ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સઓફિસ પર સારી કમાણી કરી હતી.