વહેલી સવારે ભાવનગર અમદાવાદ હાઈવે મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્‌યો હતો. સવાર પડતા જ હાઈવે પર લોહીની નદીઓ વહી હતી. ભાવનગરમાં અલગ અલગ બે અકસ્માતમાં ૬ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. ભાવનગર અમદાવાદ હાઈવે પર સનેસ ગામ પાસે અજાણ્યા વાહનચ ચાલકે યાત્રાળુ પર ગાડી ચઢાવી દીધી હતી. વાહન ચાલકે પગપાળા જઈ રહેલા સાત યાત્રાળુઓને અડફેટે લેતા ૩ લોકોના કમકમાટીભર્યા પર મોત થયા છે. તો પીપળી વટામણ હાઈવે પર કાર અને ટ્રક ટકરાતા ૩ મુસાફરોના મોત નિપજ્યા છે. આમ, ભાવનગરનો રવિવાર લોહિયાળ બની ગયો છે. એક અકસ્માત ભાવનગર શહેરની હદમા અને બીજા અકસ્માત શહેરની બહારની બાજુ થયો છે. ત્યારે બે કાળમુખી અકસ્માતમાં કુલ ૬ લોકોના જીવ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર -અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક ગોઝારો અકસ્માત થયો હતો. વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનાથી હાઈવે સમસમી ઉઠ્‌યો હતો. ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વરસોલા ગામથી ૪૦ યાત્રાળુઓનો સંઘ ભાવનગરના રાજપરા ખોડીયાર મંદિર તરફ આવી રહ્યો હતો. એ સમયે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા વાહને કહેર વરસાવ્યો હતો. પગપાળા જઈ રહેલા યાત્રાળુઓને વાહન ચાલકે અડફેટે લીધા હતા, જેમાં સાત યાત્રાળુઓને ટક્કર મારી હતી. આ ટક્કરમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા પર મોત થયા છે. તો કેટલાક યાત્રાળુઓને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જીને અજાણ્યા વાહન ચાલક વાહન લઈને ફરાર થઈ ચૂક્યો હતો. ઈજાગ્રસ્ત યાત્રાળુઓને ૧૦૮ દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પિતા-પુત્ર અને અન્ય એક યાત્રાળુઓનું મોત થયું છે.
અન્ય એક અકસ્માત પીપળી વટામણ હાઈવે પર ભોળાદ પાટિયા પાસે વહેલી સવારે સર્જાયો હતો. હાઇવે પર કાર અને ટ્રક સામસામે ટકરતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો સાત જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમાં બે લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માતને પગલે પીપળી, વટામણ, ફેદરા, ધંધુકા એમ ચાર જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.