ગૃહમંત્રી અમિત શાહે શનિવારે એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને કોવિડ ૧૯ મહામારી, આતંકવાદ, નક્સલવાદ અને જમ્મુ-કાશ્મીર જેવા વિવિધ મુદ્દાઓ પર પીએમ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની ભાજપ સરકારે કરેલા કાર્યો વિશે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું કે, ૨૦૧૪ પહેલા ભારતમાં પોલિસી પેરાલિસિસની સ્થિતિ હતી. અમિત શાહે કહ્યું કે પીએમ મોદીની આગેવાની હેઠળના કોવિડ મહામારી દરમિયાન પણ એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા જે ભારતની અર્થવ્યવસ્થાને હાલમાં અન્ય કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા કરતા ઘણી ઝડપથી વિકસાવી રહ્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશની પ્રજો એ દરેક પડકાર સાથે સફળતાપૂર્વક જંગ જીતી છે.
એચટી લીડરશીપ સમિટમાં ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કહ્યું કે, આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાકિસ્તાનમાં પ્રવેશ કરીને આતંકી હુમલાનો જડબાતોડ જવાબ મળ્યો છે. આનાથી દુનિયાને આશ્ચર્ય થયું. કલમ ૩૭૦ સહિત કાશ્મીરની સમસ્યા હોય, આપણા પ્રધાનમંત્રીએ ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ આ અનુચ્છેદને દૂર કર્યો હતો. હવે કાશ્મીરમાં શાંતિ છે. વિકાસ છે. સરકારે ઉત્તર પૂર્વના રાજ્યોમાં આતંકવાદપર પણ અંકુશ મૂક્યો છે. સાથે સાથે આપણે અન્ય મુદ્દાઓનું નિરાકરણ લાવવું પડશે અને ત્યાં વિકાસને આગળ વધારવો પડશે.
અમિત શાહે કહ્યું કે, “પીએમ મોદીએ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને પછી પ્રધાનમંત્રી તરીકે સિસ્ટમ સુધારવાનું કામ કર્યું છે. હું તેમની ખૂબ નજીક રહ્યો છું. મેં જોયું છે કે તેમણે બધા મુદ્દાઓને ખૂબ સારી રીતે હલ કર્યા છે. પીએમ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ લોકોને વિકાસ સાથે જોડવાનું કામ કરવામાં આવ્યું છે.’
ગૃહમંત્રીએ કહ્યું કે કોરોના મહામારીથી સમગ્ર વિશ્વમાં ઘણા ફેરફારો આવ્યા છે. ભારતની દૃષ્ટિએ જોઈએ તો ઘણા બધા ફેરફારો થયા છે. કોરોનાના સાત વર્ષ પહેલાં જ દેશને સ્થિર સરકાર મળી હતી તે અમારા માટે સૌભાગ્યની વાત હતી. તે પહેલાં દેશમાં એક મંત્રીમંડળ હતું જે પ્રધાનમંત્રીને પ્રધાનમંત્રી માનતું ન હતું. દરેક મંત્રી પોતાને પીએમ માનતા હતા. દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો હતો, દેશને બદનામ કરવામાં આવ્યો હતો. પરંતુ ભારતને ૨૦૧૪માં સ્થિર સરકાર મળી હતી.
તેમણે કહ્યું કે, “અમારી સરકાર આવ્યા બાદ લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. લોકોના મકાનો બનાવવામાં આવ્યા. શૌચાલયો બનાવવામાં આવ્યા. વીમા માટે ૬૦ કરોડ લોકોને રોજગારી આપવામાં આવી છે. સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોની વીમા યોજના લાવવામાં આવી છે. ૧૩૦ કરોડ લોકો માટે મફત રસી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં અમારી રસી ડ્રાઇવની પ્રશંસા કરવામાં આવી રહી છે.”