ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની જેટલા વિષયની રી એક્ઝામ આપવી હોય તે વિદ્યાર્થી આપી શકશે. અહીં વિદ્યાર્થીઓ આખે આખી પરીક્ષા એટલે કે તમામ વિષયની પરીક્ષા ફરીથી આપી શકશે. ત્યારબાદ બન્ને વખતની પરીક્ષાના પરિણામમાં જે પરિણામ ઊંચુ હશે તે ધ્યાને લેવાશે.
તેવી જ રીતે ધોરણ ૧૦માં પહેલા બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં પહેલા એક જ વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે બે વિષયની પરીક્ષા આપી શકશે.
મહત્વનું છે કે, ધોરણ ૧૨ માટે આ નિર્ણય ખૂબ જ મહત્વનો છે. આમ તો ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી લેવામાં આવે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ વધારે વિષયમાં નાપાસ થયા હોય તો તેઓ અલગ અલગ ધોરણ પ્રમાણે માત્ર એક કે બે વિષયની પૂરક પરીક્ષા જ આપી શકતા હતા. પરંતુ આ વખતે બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.
જે મુજબ ધોરણ ૧૨ સાયન્સના વિદ્યાર્થી આખે આખી એક્ઝામ ફરી આપવા ઈચ્છતો હોય તો તે વિદ્યાર્થી પરીક્ષા આપી શકશે. એટલું જ નહીં આ બંને પરિણામમાં બેસ્ટ ઓફ ટુ ધ્યાને લેવાશે. સાથે જ ધોરણ ૧૨ બાદ કરિયરને લગતા કોર્સમાં કે એસીપીસીના કોર્સમાં પણ જે પરિણામ ઊંચું હશે તે ધ્યાને લેવાય તેવું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત બોર્ડ તેની તૈયારીઓ કરી રહ્યું છે. સાથે જ પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી પુરી કરવાની તૈયારીઓ કરી રહ્યું છે.