કલાયમેટ ચેઈન્જના પ્રભાવ હેઠળ દુનિયાભરનાં દેશોમાં હવામાનમાં અસામાન્ય બદલાવ થતા રહ્યા છે.હવે તેનો અર્થતંત્રને મોટો ફટકો લાગી શકે છે. ૨૦૫૦ સુધીમાં વાતાવરણનાં આ ઘટનાક્રમોની અસરથી વૈશ્વીક આવકમાં ૧૯ ટકાનો ઘટાડો થઈ શકે છે. ભારતને લાગે વળગે છે ત્યાં સુધી આવક ૨૨ ટકા ઘટી શકે છે.સંશોધન રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યુ છે કે, વાયુ મંડળમાં અગાઉથી મૌજુદ ગ્રીનહાઉસ ગેસ તથા સામાજીક-આર્થિક કનેકશનને કારણે વૈશ્વીક આવકમાં ઘટાડો શકય છે.
ભારતની વાત કરવામાં આવે તો ૨૨ ટકાનો ફટકો હશે.જે વૈશ્વીક સરેરાશ કરતા ત્રણ ટકા વધુ હશે.કાર્બન ઉત્સર્જનમાં આજથી કાપ મુકવાનું શરૂ થાય તો પણ અર્થતંત્રની અસરમાંથી બચી નહીં શકાય અને ૨૦૫૦ સુધીમાં વૈશ્વીક અર્થતંત્રમાં આવક ૧૯ ટકા ઘટવાનું નિશ્ચિત છે.
જર્મનીના પોટસડેમ ઈન્સ્ટીટયુટ ફોર કલાયમેટ ઈમ્પ્લેટ રીસર્ચનાં વૈજ્ઞાનિકો દ્વારા છેલ્લા ૪૦ વર્ષ દરમ્યાન દુનિયાભરના ૧૬૦૦ થી વધુ ક્ષેત્રોનાં જલવાયું પરિવર્તન સંલગ્ન આર્થિક અસરોનો અભ્યાસ કરીને આ સંશોધન રીપોર્ટ તૈયાર કર્યો છે. નેચરમાં પ્રકાશીત રીપોર્ટમાં એમ કહેવાયું છે કે, ઉતરીય અમેરિકા, યુરોપ સહીત મોટાભાગનાં ક્ષેત્રોમાં આવકમાં મોટો ઘટાડો થવાનું અનુમાન છે.
દક્ષિણ એશીયા તથા આફ્રિકા સૌથી વધુ પ્રભાવીત થશે. વૈશ્વીક વાર્ષિક નુકશાનનું અનુમાન ૨૦૫૦ સુધીમાં ૩૮ ખરબ ડોલરનું ગણાય છે. જેની સંભવીત રેન્જ ૧૯ થી ૫૯ ખરબ ડોલરની અંદાજાય છે.કાયમી ગરમ પ્રદેશોનાં દેશો સૌથી વધુ પ્રભાવીત થશે.
વૈજ્ઞાનિકોનાં કહેવા પ્રમાણે જલવાયું પરિવર્તનની આવતા ૨૫ વર્ષોમાં દુનિયાભરનાં તમામ દેશોમાં અસર થવાનું સુચવાય રહ્યું છે. જર્મની, ફ્રાંસ, અમેરિકા જેવા વિકસીત દેશો પણ તેમાંથી બચી નહીં શકે.આ માર રોકવા માટે બહુ મોટા પ્રયાસો કરવા પડે તેમ છે. ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરવો પડશે. અન્યથા ૨૧૦૦ સુધીમાં વૈશ્વીક આર્થિક આવક નુકશાન ૬૦ ટકાએ પહોંચી જશે.