જયરાજ આહિરની ધરપકડ પછી પણ નવનીત બાલધિયાને માર મારવાનો વિવાદ શાંત પડતો નથી. બાલધિયાને ન્યાય આપવાની માંગણી સાથે શરૂ થયેલી કોળી સમાજની ઝુંબેશ, હવે ન્યાય મળી ગયા પછી પણ વકરી રહી છે. ગત રવિવારે ભાવનગર ખાતે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં યોજાયેલ ન્યાયસભાના ભાષણો અને જેમને આમંત્રિત તરીકે બોલાવ્યા પછી પણ બોલવાનો મોકો આપવામાં ન આવ્યો એથી કોળી સમાજમાં ફાંટા પડ્યા હોવાનું સ્પષ્ટ જણાય છે.
નવનીત બાલધિયાને માર મારવામાં આવ્યો ત્યારે તેમણે લખાવ્યા મુજબની ફરિયાદ પોલીસે દાખલ કરી ન હોવાથી કોળી સમાજમાં મસિહા મનાતા પરશોતમ સોલંકી, હીરાલાલ સોલંકી સહિત વિવિધ કોળી ધારાસભ્યો, આગેવાનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. એ પછી વિશેષ તપાસ ટીમની રચના થઈ અને બાદમાં જયરાજ આહિરની ધરપકડ પણ કરવામાં આવી, જે કોળી સમાજની મુખ્ય માંગણી હતી. એ પછી પણ આભારવિધિના નામે નવનીત બાલધિયાએ ભાવનગર ખાતે ન્યાયસભા યોજી હતી. જેમાં થયેલાં ભાષણોમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીથી માંડીને પૂર્વ ધારાસભ્ય અંબરિષ ડેર સહિતના નેતાઓને દોડાવવાનો ઉલ્લેખ થયો. આથી આભારવિધિના નામે રાજકીય હેતુ સ્પષ્ટપણે બહાર આવી ગયો.
ન્યાયસભામાં સ્વામી ઋષિભારતીએ ઉગ્ર ભાષણ કરીને ‘જેણે આપણને ૨૨ દિવસ દોડાવ્યા એમને હવે આપણે દોડાવવાના છે’ એવો ઉલ્લેખ કરીને આડકતરી રીતે જીતુ વાઘાણીએ માયા આહિરની તરફેણ કરી હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર ૪૫,૦૦૦ જેટલાં કોળી મતદારો છે. આ ઉપરાંત કિશન મેર સહિતના આગેવાનોએ પણ જીતુ વાઘાણીએ કરેલી માયાભાઈ-જયરાજની તરફદારીનો બદલો કોળી સમાજ લેશે એવું આહ્વાન કર્યું હતું. અલબત્ત, આ કાર્યક્રમમાં ઉપસ્થિત  કેટલાંક લોકોને બોલવા ન દેવાયા આથી સભાસ્થળે ચકમક ઝરી હતી જેમાં રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી મુખ્ય હતા.
રેલવેના પૂર્વ કર્મચારી તરીકે નોકરી કરી ચૂકેલા રાજુ સોલંકી લગભગ બે દાયકાથી રાજકારણમાં સક્રિય છે. મુખ્યત્વે ભાવનગર પંથકમાં તેઓ વીર માંધાતા સંગઠનના માધ્યમથી બ્લડ ડોનેશન કેમ્પ, સમુહ લગ્ન, વિદ્યાર્થી સન્માન જેવી પ્રવૃત્તિઓ કરે છે. વિધાનસભાની ગત ચૂંટણીમાં તેમણે જીતુ વાઘાણી સામે આમઆદમી પાર્ટી વતી ઉમેદવારી કરી હતી. જેમાં તેમને ફક્ત ૨૬,૦૦૦ મત મળ્યા હતા. રાજુ સોલંકી ઉપરાંત તેમના યુવાન પુત્ર બ્રિજરાજ સોલંકી પણ હવે આમઆદમી પાર્ટીના યુવા નેતા તરીકે મેદાનમાં છે. ફિલ્મ ક્ષેત્રે હાથ અજમાવી ચૂકેલા બ્રિજરાજ સોલંકી તેમના વ્યકિતત્વ અને ઉગ્ર ભાષણોને લીધે સતત ચર્ચામાં રહી જાણે છે.
ભાવનગરથી ઉના સુધી લગભગ ૬ વિધાનસભા બેઠકો પર નિર્ણાયક મનાતાં કોળી સમુદાય પર પરશોતમ અને હીરાલાલ સોલંકીની મજબૂત પકડ સામે રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી બળ કરી રહ્યા છે. આથી ન્યાયસભામાં તેમને બોલવા ન દેવાતાં કોળી સમાજના બે ફાંટા સ્પષ્ટપણે ઊભરી આવ્યા છે. આવનારાં દિવસોમાં આ તિરાડ વધુ વકરે એવી પૂરી શક્યતા  છે.