પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બીએલઓના મૃત્યુ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પરિવારે આરોપ લગાવ્યો છે કે એસઆઇઆર સંબંધિત દબાણને કારણે બીએલઓએ આત્મહત્યા કરી હતી. હવે, પોલીસે બીએલઓની આત્મહત્યાના સંદર્ભમાં એક ટીએમસી સમર્થકની ધરપકડ કરી છે. ટીએમસી સમર્થક પર બીએલઓને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. અહેવાલો અનુસાર, આરોપી બુલેટ ખાને બીએલઓ પાસેથી ૨૦ લાખ ઉછીના લીધા હતા પરંતુ બાદમાં પૈસા પરત કરવામાં નિષ્ફળ ગયા. એવો પણ આરોપ છે કે જ્યારે બીએલઓએ તેમના પૈસા પાછા માંગ્યા ત્યારે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
શનિવારે મોડી રાત્રે મુર્શિદાબાદ જિલ્લાની એક પ્રાથમિક શાળામાં બીએલઓનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. બીએલઓના પરિવારે આરોપ લગાવ્યો હતો કે તેમણે સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન (એસઆઈઆર) સંબંધિત વધુ પડતા કામના ભારણને કારણે આત્મહત્યા કરી હતી. રાનીતાલા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ હમીમુલ ઇસ્લામ (૪૭) તરીકે થઈ છે. હમીમુલ ઇસ્લામ પૈકમારી ચાર કૃષ્ણપુર બોયઝ પ્રાથમિક શાળામાં શિક્ષક અને ખારીબોના ગ્રામ પંચાયત હેઠળના પૂર્વા અલાપુર ગામના એક બૂથ પર બીએલઓ હતા. પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે હમીમુલ શનિવારે સવારે શાળા માટે ઘરેથી નીકળ્યો હતો પરંતુ બપોર સુધી પાછો ફર્યો ન હતો.
બીએલઓના સતત મૃત્યુને લઈને સોમવારે બીએલઓના એક જૂથે મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું. કર્મચારીઓએ આરોપ લગાવ્યો કે મતદાર યાદી માટે એસઆઇઆર જારી કરતી વખતે અનેક બીએલઓના મૃત્યુ પ્રત્યે ચૂંટણી પંચ ઉદાસીન રહ્યું છે. વિરોધ કરનારા બીએલઓ અધિકાર સુરક્ષા સમિતિના સભ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી રાજ્યભરના બીએલઓ “અતિશય માનસિક અને શારીરિક દબાણ” હેઠળ છે, અને કામનો ભાર તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી રહ્યો છે.




































