રાજુલા તાલુકાના રામપરામાં વૃંદાવનધામ આશ્રમ ખાતે એક ઐતિહાસિક ઘટના બની હતી. આશ્રમમાં ખાંભલીયા ગામના વાઘ પરિવાર, ઝાઝરડા ગામના વાવડીયા પરિવાર અને ઉટીયા ગામના લાખણોત્રા પરિવાર વચ્ચે છેલ્લા ૫૦ વર્ષથી ચાલતા વેરનું સુખદ સમાધાન થયું. આ વેરમાં ૬ લોકોનો ભોગ લેવાયો હતો, પરંતુ સંતો, જ્ઞાતિ અગ્રણીઓ અને આહિર સમાજના પ્રબુદ્ધ આગેવાનોની ઉપસ્થિતિમાં ત્રણેય પરિવારોએ ભૂતકાળને ભૂલી, એકબીજાને ગળે મળીને સમાધાન કર્યું હતું. આ પ્રસંગે અખિલ ભારતીય અની નિર્મોહી અખાડાના અધ્યક્ષ રાજેન્દ્રદાસ બાપુ, સાવરકુંડલા માનવ મંદિર આશ્રમના સંત ભક્તિરામ બાપુ, શિહોરના ૧૦૦૮ શ્રી જીણારામ બાપુ અને ખાંભલીયાના બીઝલ ભગત સહિતના સંતો ઉપસ્થિત રહ્યા. આ સમાધાનમાં ત્રણેય પરિવારોના ૫૦ વર્ષથી વધુ વયના અગ્રણીઓ અને આ વિસ્તારના આહિર સમાજના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. સંતોના આશીર્વાદ સાથે, પરિવારોએ એકબીજાને મોઢુ મીઠુ કરાવી, ખભે ખભો મિલાવીને વેરનો અંત લાવ્યા હતા. આ સમાધાન નાઘેરા સમાજ માટે ગૌરવની ક્ષણ છે, કારણ કે આવા પાંચ મોટા સમાધાન આ સમાજમાં અત્યાર સુધી થયા છે, જેમાંથી બેમાં ભક્તિબાપુ સાક્ષી બન્યા હતા. આ ઘટના નવી પેઢી માટે આદર્શ બની રહેશે, જે વિકાસની નવી તકો ખોલશે. નવયુવાનોમાં આ સમાધાનને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળ્યો, અને તેમણે સંતો-આગેવાનોનો આભાર માન્યો હતો. સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, “સમાધાન એ જ સમાજની મૂડી છે.” તેમણે તમામ સમાજને આવા રસ્તા અપનાવવાની અપીલ કરી, જેથી ભવિષ્યમાં વેર-ઝેરના વાવેતરને બદલે પ્રેમ અને એકતાનો સંદેશ ફેલાય. આ પ્રસંગે સંતોએ પણ આશીર્વાદ આપ્યા કે ત્રણેય પરિવારો હંમેશા પ્રેમભાવથી રહે અને આ વિસ્તારમાં બાકીના વેર-વાંધાનું પણ સમાધાન થાય.