સુરતમાં એક પરિવારના ત્રણ સભ્યોના રહસ્યમય મૃત્યુએ સામૂહિક આત્મહત્યાની શંકા ઉભી કરી છે. પતિ, પત્ની અને પુત્રના મૃતદેહ ઘરના અલગ-અલગ રૂમમાંથી મળી આવ્યા હતા, જેના કારણે પોલીસે તપાસ શરૂ કરી હતી.પરિવાર ચાર દિવસ પહેલા સાઉદી અરેબિયાની ટ્રીપથી પરત ફર્યો હતો. ત્યારથી પોલીસે મૃત્યુના કારણની તપાસ શરૂ કરી છે.

અહેવાલો અનુસાર, સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૌ સ્ટ્રીટ પર રહેતા એક પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે. પતિ, પત્ની અને પુત્રનું મૃત્યુ થયું છે. પોલીસ અનુસાર, ત્રણેયના મૃતદેહ અલગ-અલગ રૂમમાંથી મળી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શંકાસ્પદ સામૂહિક આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.૩૬ વર્ષીય પિતા ફૈઝ અહેમદ, ૩૨ વર્ષીય માતા મુબીના અહેમદ અને ૧૩ વર્ષીય પુત્ર નોમાન અહેમદનું મૃત્યુ થયું છે. મૃતક પરિવાર ચાર દિવસ પહેલા સાઉદી અરેબિયાની યાત્રાથી પરત ફર્યો હતો. તેઓ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.

આ પહેલા અમદાવાદના બગોદરા ગામે એક પરિવારના પાંચ સભ્યોએ અગમ્ય કારણોસર સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બગોદરા ગામના બસ સ્ટેશન નજીક આવેલા એક ભાડાના મકાનમાં બની હટી, જ્યાં ધોળકાના વતની આ પરિવાર રહેતો હતો.આ પરિવાર રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત તેમની બે દીકરીઓ અને એક દીકરો સામેલ હતા. શનિવારે રાત્રે આ પરિવારે ઝેરી દવા ગટગટાવી લેતાં તમામનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.