રાજુલા-જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડતા આ વર્ષે ગ્રામ્ય તળાવો હજી ઓવરફ્‌લો થયા નથી, માત્ર પાણીના ડેમ જ ભરાયા છે. જ્યારે ખેડૂતો કપાસ, બાજરી, મગ, મઠ, જુવાર જેવા તમામ પાકને લેવા માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે આઠ દિવસથી સતત વરસાદને કારણે ખેતરમાં તમામ પાક સંપૂર્ણ નિષ્ફળ અને સડી ગયો છે. આથી ખેડૂતોને મોંઢામાં આવેલો પાકનો કોળિયો ઝૂંટવાઈ ગયો છે અને ખેતરમાંથી માલ કાઢવામાં પણ હવે દાઝ્યા ઉપર ડામ દીધો હોય તેવી સ્થિતિ કુદરતે કરી છે. આ મોસમ પૂર્ણ થયા બાદ વરસાદ થતાં જાફરાબાદમાં સાગરખેડૂઓએ મચ્છી સુકવી છે તે સડી ગઈ છે અને ભયંકર દુર્ગંધ મારે છે. જાફરાબાદના ઘરોમાં તો કપડામાં પણ વાસ ઘૂસી જાય છે અને ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેવી સ્થિતિ પણ નર્માણ થઈ છે. આ મચ્છી બગડી જતા સાગરખેડૂઓને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આમ આ વર્ષે દિવાળી ટાણે સાગરખેડૂઓ કહે છે કે, અમને કુદરતે આપ્યું હતું તે પાછું લઈ લીધું અને દરિયાદેવના મોઢામાંથી અમે ઘરે કમાણી કરી લાવ્યા હતા તે માલ-માછલી બગડી ગયો છે. હવે સરકાર દ્વારા સર્વે કરીને ખેડૂતોને અને સાગરપુત્રોને દિવાળી પહેલા તાત્કાલિક સહાય કરવાની માગણી ખેડૂત અગ્રણી ભરતભાઈ સાવલિયા, નાયાભાઈ ગુજર, ટીકુભાઇ વરુ સહિત સાગરખેડૂ અને બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી, રામભાઈ સોલંકી, સીદુભાઇ તથા સનાભાઇ વગેરે સરકારમાં રજૂઆત કરી છે. રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતાએ જણાવ્યું કે, આ વર્ષે એક પણ જગ્યાએ મીઠાઈ, કાપડ, ઘરેણા લેવા માટે ખેડૂતો જોવા મળતા નથી અને દિવાળી આડે માત્ર ગણતરીના દિવસો બાકી છે છતાં વરસાદના કારણે નુકસાન થતાં સાગરખેડૂઓ અને જગતનો તાત ક્યાંય જોવા મળતા નથી. ખાંભા, જાફરાબાદ, ટીંબી, ડુંગર વિસ્તારના લોકોની દિવાળી પહેલા રાજુલાની બજારોમાં ભીડ હોય છે અને પોલીસને પણ મેઇન બજારનો રસ્તો વાહનો માટે બંધ કરવાની ફરજ પડે છે તેના બદલે આ વખતે કોઈપણ જગ્યાએ ભીડ જોવા મળતી નથી. આથી કૃષિ મંત્રીએ રાજુલા જાફરાબાદમાં તાત્કાલિક સહાયનું પેકેજ જાહેર કરવું જોઇએ.