દિલ્લી ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ યશવંત વર્માના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ રકમ મળી હોવાના સમાચારે ખળભળાટ મચાવી દીધો છે. આ કેસે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. ૧૪ માર્ચે ધૂળેટીના દિવસે તેમના ઘરમાં આગ લાગી ત્યારે યશવંત વર્મા ઘરે નહોતા. સ્વાભાવિક જ આગ ઓલવવા અગ્નિશામક દળની ટુકડી પહોંચી હતી, ત્યારે અનુમાન છે કે તેને રોકડા રૂપિયા મળ્યા હશે. પોલીસે કોથળાઓમાં ભરેલી નોટો સળગી ગઈ હતી તેનો વીડિયો ઉતાર્યો છે. એટલે અનુમાન એવું પણ છે કે અગ્નિશામક દળે જ પોલીસને જાણ કરી હશે. યશવંત વર્માના ઘરે આ કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી ? આ ઘટના બની હતી ૧૪ માર્ચે, પરંતુ તેના સમાચાર મીડિયામાં આવ્યા છેક ૨૦ માર્ચે. તો શું દિલ્લીના મીડિયા પાસે ૧૫મી માર્ચે આ સમાચાર નહોતા? જો હતા તો ૨૦ માર્ચ સુધી કેમ ન આપ્યા? જો દિલ્લીના મીડિયા પાસે આ સમાચાર નહોતા તો ૨૦ માર્ચ સુધી કોણે દબાવી રાખ્યા ? કોની સૂચનાથી ? ૨૦ માર્ચે આ સમાચાર આવ્યા પછી ૨૬ દિનાંક સુધી જે રીતના ઠાગાઠૈયા (અથવા કહો કે ઢાંકપિછોડો કરવા સમય પસાર કરવાની રીત અપનાવાઈ) કરાયા તે પણ ચોંકાવનારા છે. આ સમાચાર પછી ૨૦ માર્ચે સર્વોચ્ચ ન્યાયાલયે ન્યાયમૂર્તિ વર્માનું સ્થાનાંતરણ પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલય કરી દીધું. પરંતુ પ્રયાગરાજ બાર એસોસિએશને તેનો વિરોધ કર્યો. બાર એસો.ના પ્રમુખે તો ચોખ્ખેચોખ્ખું કહ્યું, “અમે ભ્રષ્ટ લોકોને સ્વીકારીશું નહીં. જો આવશ્યકતા પડી તો અમે ન્યાયાલયનું કામ બંધ કરી દઈશું. અલ્હાબાદ હાઇકાર્ટ કુડે કા ડિબ્બા નહીં હૈ જો યહાં ભેજ દિયા ગયા હૈ” ૨૧ માર્ચે સર્વોચ્ચ ન્યાયાલયે સ્પષ્ટતા કરી કે આ તો સ્થાનાંતરણનો પ્રસ્તાવ હતો. (નિર્ણય નહીં) અને ઘરમેળે (ઇન હાઉસનું બીજું ગુજરાતી શું થાય?) તપાસ તો થશે જ. સર્વોચ્ચના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ દિલ્લી ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ડી. કે. ઉપાધ્યાયને ન્યાયમૂર્તિ વર્માની સામેના આરોપો સંદર્ભે એક રિપાર્ટ આપવા આદેશ આપ્યો. ૨૧ માર્ચે અપાયેલા આ રિપાર્ટમાં મુખ્ય ન્યાયમૂર્તિ ઉપાધ્યાયે કહ્યું કે “સમગ્ર ઘટના ઊંડી તપાસ માગી લે છે.” વિચાર કરો, મુખ્ય ન્યાયમૂર્તિ ક્યારે કહે કે સમગ્ર ઘટના ઊંડી તપાસ માગી લે છે? પરંતુ સર્વોચ્ચ ન્યાયાલયનું ન્યાયાધીશ મંડળ, જેને કાલેજિયમ કહે છે, તે ન્યાયમૂર્તિ વર્મા પાસેથી લેખિત ઉત્તર માગવા માટે ૨૨ માર્ચ સુધીનો સમય આપે છે. એટલે કે ઘટના બની તેના આઠ દિવસ પછી ન્યાયમૂર્તિ વર્મા ઉત્તર આપે. અને ઘટના પ્રકાશમાં (મીડિયામાં) આવી તે પછી બે દિવસ વિતી ગયા. કેટલો સમય મળી ગયો ન્યાયમૂર્તિ વર્માને? તેમાં એવું પણ સૂચન (આદેશ નહીં) કરાયું કે ન્યાયમૂર્તિ વર્માના મોબાઇલ ફાનનો નિકાલ (ફાન તૂટી ગયો, બગડી ગયો કે ચોરાઈ ગયો તેવાં બહાનાં ન ચાલે) કરવામાં ન આવે અને તેમાંથી કોઈ વાતચીત, મેસેજ કે ડેટા ડિલીટ કરવામાં ન આવે. ન્યાયમૂર્તિ વર્માએ જે ઉત્તર આપ્યો તે જોવા જેવો છે. તેમણે લખ્યુંઃ “મારા દ્વારા કે મારા પરિવારના કોઈ સભ્ય દ્વારા સ્ટારહાઉસમાં કોઈ રોકડ ક્યારેય મૂકવામાં આવી નહોતી.” (તો આવી ક્યાંથી? શું સુરક્ષા રક્ષકો પાસે કરોડો રૂપિયા હોય? તેમના બંગલાના આ આઉટહાઉસમાં તો નોકરો કે રક્ષકો રહેતા હોવાની વાત છે.) વર્માજીની વાત આગળ સાંભળો. “હું કડક રીતે નકારી કાઢું છું કે એ કથિત રોકડ અમારી હતી.” (વર્માજી કથિત શબ્દ વાપરે છે એટલે એ પોતે નક્કર રીતે કહેતા નથી કે ત્યાં રોકડ હતી. પરંતુ જો હોય તો તે અમારી નહોતી તેમ તેઓ કહે છે.) સ્ટાફના રહેણાંકમાં જે રહેણાંકનો અનેક લોકો ઉપયોગ કરતા હોય ત્યાં કોઈ ખુલ્લામાં રોકડ રાખે તે માનવામાં આવે તેવું નથી.” વિચાર કરો, જેનો વીડિયો ઉતારાયેલો છે, દિલ્લીના ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ કહે છે કે આ ઘટના ઊંડી તપાસ માગી લે તેવી છે અને રજત શર્માની ‘ઇન્ડિયા ટીવી’ના રિપાર્ટરને પણ ત્યાં રોકડ નોટ બળી ગયેલી સ્થિતિમાં મળે છે તો પણ ન્યાયમૂર્તિ વર્મા સાવ એટલે સાવ નકારી દે છે. આ કેસમાં પોલીસે એફઆઈઆર પણ નથી નોંધી. નિષ્ણાતો કહે છે કે કોઈ ન્યાયમૂર્તિની સામે આરોપ હોય ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિના આદેશ વગર કંઈ કાર્યવાહી પોલીસ ન કરી શકે. ન્યાયમૂર્તિ સામે જો ભ્રષ્ટાચારના કે બીજી ગેરરીતિના આક્ષેપ હોય તો સંસદમાં તેમની સામે મહાભિયોગનો પ્રસ્તાવ લાવી શકાય અને જો તે બહુમતીથી પસાર થાય તો જ ન્યાયમૂર્તિને પદ પરથી હટાવી શકાય. તેમાં પણ રાષ્ટ્રપતિનો આદેશ આવશ્યક છે. માનો કે, ૨૦૧૪માં પ્રણવ મુખર્જીની જેમ રાષ્ટ્રપતિ અલગ પક્ષના હોય અને મોદી સરકારની જેમ સરકાર અલગ પક્ષની અને રાષ્ટ્રપતિ આદેશ આપવા ના પાડે તો? ઈ. સ. ૧૯૯૩માં વી. રામસ્વામી સામે સંસદમાં મહાભિયોગનો પ્રસ્તાવ લવાયો હતો પરંતુ તે બહુમતીના અભાવે પસાર કરી શકાયો નહોતો. ઈ. સ. ૨૦૧૧માં કોલકાતા ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ સૌમિત્ર સેન સામે
આભાર – નિહારીકા રવિયા મહાભિયોગનો પ્રસ્તાવ રાજ્યસભામાં લવાયો હતો. તેમની સામે આરોપ હતા કે ઃ ૧. કોલકાતા ઉચ્ચ ન્યાયાલય દ્વારા તેમની નિમણૂક રિસીવર (સ્વીકારનાર) તરીકે થઈ હતી અને તેમને તગડી રકમ મળી હતી જેમાં ગોટાળો થયો હતો. કોલકાતા ઉચ્ચ ન્યાયાલય સમક્ષ આ અંગે રજૂઆતમાં તેમણે તથ્યો તોડીમરોડી રજૂ કર્યાં હતાં. તેઓ સુનાવણી માટે ન્યાયાલયમાં ઉપસ્થિત રહેતા નહોતા. ન્યાયાલયે આપેલી વિગતો આપતા નહોતા. સૌમિત્ર સેન સામે આ આરોપો પૂરવાર થયા (એટલે તો બહુમતીથી મહાભિયોગનો પ્રસ્તાવ પસાર થયો) એટલે તેમણે ત્યાગપત્ર આપ્યો. પરંતુ તેમને સજા કંઈ મળી? ના. ઉલટું તેમને નિવૃત્તિ પછીના લાભો મળવાનું ચાલુ જ રહ્યું ! વિચાર કરો કે આના બદલે કોઈ સામાન્ય સરકારી કર્મચારી કે સરકારી અધિકારી હોય તો ? તેની ધરપકડ થઈ હોત. તેને કેટલાય મહિના જેલમાં રહેવું પડ્‌યું હોત. સૌમિત્ર સેનની જેમ જ પૌલ ડેનિયલ દિનાકરન પ્રેમકુમાર (પી. ડી. દિનાકરન) સામે ભારતની બાર કાઉન્સિલ, જેમાં પૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન રામ જેઠમલાણી પણ હતા, તેણે સપ્ટેમ્બર ૨૦૦૯માં આક્ષેપો કર્યા હતા કે દિનાકરન પાસે તમિલનાડુના તેમના ગૃહ નગર અરાકોનમમાં અધધ સંપત્તિ અને જમીન છે. વકીલોએ મુખ્ય ન્યાયમૂર્તિ અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને વિનંતી કરી કે દિનાકરનની નિમણૂક સર્વોચ્ચના ન્યાયાધીશ તરીકે ન કરો. તેમણે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, વડાપ્રધાન ડા. મનમોહનસિંહ અને કેન્દ્રીય ગૃહ પ્રધાનને પત્ર લખી આ બાબતે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી. ડિસેમ્બર ૨૦૦૯માં રાજ્યસભાના અધ્યક્ષે તેમની વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ દાખલ કર્યો એટલે દિનાકરને ન્યાય તોળવાનું બંધ કર્યું. તેઓ ચર્ચીસ આૅફ સાઉથ ઇન્ડિયા અને શ્રી સુબ્રમણિયમ સ્વામી મંદિર જેવી પંથીય સંસ્થાઓના સ્થાયી વકીલ પણ હતા. તેઓ પછી ચેન્નાઈ ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિ અને પછી કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા હતા. આ આક્ષેપો સપ્ટેમ્બર ૨૦૦૯માં થયા તે પહેલાં આૅગસ્ટ ૨૦૦૯માં સર્વોચ્ચે તેમને સર્વોચ્ચમાં ન્યાયમૂર્તિ તરીકે બઢતી આપવાનો નિર્ણય કર્યો હતો. અને જેવા આ આક્ષેપો થયા એટલે ન્યાયમૂર્તિ યશવંત વર્માની જેમ જ તેમની બદલી સિક્કિમ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કરી દેવાઈ ! તેમના પર આક્ષેપો હતા કે ઃ તેમણે અનેક સરકારી જમીનો પચાવી પાડી છે, તળાવો, કેનાલ વગેરે, ગામમાંથી નીકળતા રસ્તાઓ, અને એક વનને પચાવી પાડ્‌યું છે. તેમની પત્ની અને દીકરીઓના નામે પાંચ હાઉસિંગ બાર્ડના પ્લાટ છે. બેનામી ટ્રાન્ઝેક્શન (પ્રતિબંધ) અધિનિયમ ૧૯૮૮ હેઠળ પ્રતિબંધિત અને સજાને પાત્ર એવી આર્થિક લેવડદેવડ કરી છે, દલિતો અને ગરીબોના માનવાધિકારનો ભંગ કર્યો છે. પદનો દુરુપયોગ કરીને ખોટા ન્યાયિક આદેશો આપ્યા છે. સૌમિત્ર સેનની જેમ જ દિનાકરને પણ ત્યાગપત્ર આપી દીધો એટલે વાર્તા પૂરી ! સૌમિત્ર સેનની જેમ તેમને પણ નિવૃત્તિ પછી મળવા પાત્ર લાભ મળતા હતા તેમ ૨૦૧૨માં થયેલી એક આરટીઆઈમાં જાહેર થયું હતું. બેંગ્લુરુમાં રહેતા આઈટી એન્જિનિયર અતુલ સુભાષ જેણે પત્નીએ ખોટા કરેલા કેસના કારણે જૌનપુરના ધક્કા ખાવા પડતા હતા અને તેની નોકરીને પણ અસર પડતી હોવાથી આત્મહત્યા કરી હતી, તેણે આક્ષેપ કર્યો હતો કે જૌનપુરના પારિવારિક ન્યાયાલય (ફેમિલી કાર્ટ)નાં મહિલા ન્યાયાધીશ રીટા કૌશિકે અતુલ સુભાષની તરફેણમાં ચુકાદો આપવા તેની પાસેથી રૂ. પાંચ લાખ માગ્યા હતા. આ કેસમાં કોઈ તપાસ થઈ? ઇન્ટરનેટ પર પ્રાપ્ય માહિતી પ્રમાણે તો કોઈ ઉત્તર મળતો નથી. હા, અતુલ સુભાષની પત્નીને જામીન મળી જતાં, તે મુક્ત રીતે ફરે છે. હરિયાણાના ચરખી દાદરીના જિલ્લા બાર એસોસિએશને પત્ર લખ્યો હતો કે ત્યાંના ન્યાયાધીશ ફખરુદ્દીને મુસ્લિમ યાચિકાકર્તાઓને હિન્દુ શત્રુઓ સામે હિંસા માટે ઉશ્કેર્યા હતા. તેમણે આ માટે ધિક્કાર ઉપજાવે તેવી અને હિંસા માટે ઉશ્કેરાય તેવી ટીપ્પણીઓ કરી હતી. મુસ્લિમ ન્યાયાધીશ ફખરુદ્દીને કહ્યું હતું, “તમે (મુસ્લિમો) લોકો મુસ્લિમ સમુદાયના નામ પર ધબ્બો છો કારણકે તમે અન્ય (હિન્દુ) સમુદાયના લોકોના હાથે માર ખાધો છે. તમે તમારા શત્રુઓને (આ કેસમાં હિન્દુઓને) ગોળી મારીને કેમ ન આવ્યા? હવે પછી ન્યાયાલય આવો ત્યારે પિસ્તોલ લઈને આવજો.” હિન્દુઓના સંદર્ભમાં ન્યાયાધીશે કહ્યું કે તેમને મુસ્લિમોની સામે કોઈ સત્તા નથી. “તમે પિસ્તોલ લઈને આવજો. હું અહીં બેઠો છું. બધું સંભાળી લઈશ.” બોલો, આ જજ સામે શું કાર્યવાહી થઈ? ઇન્ટરનેટ પર પ્રાપ્ય માહિતી પ્રમાણે, તેમની સામે કોઈ તપાસ સમિતિ બનાવાઈ નથી. સર્વોચ્ચ ન્યાયાલય કે ઉચ્ચ ન્યાયાલય કેટલીક બાબતોમાં ઓછામાં ઓછું, કડક મૌખિક ટીપ્પણી કરી દેતાં હોય છે જેથી રોષ શાંત પડી જાય, આ કેસમાં આવું પણ નથી થયું. અરે ! ન્યાયમૂર્તિ વર્માની જેમ તેમની ત્યાંથી બદલી પણ નથી કરાઈ (કરાઈ હોય તેવી કોઈ માહિતી ઇન્ટરનેટ પર નથી.) હદ તો ત્યાં થાય છે કે તમે આ જજ વિશે ગૂગલ સર્ચ કરો તો
આભાર – નિહારીકા રવિયા આૅપઇન્ડિયા, હિન્દુ પાસ્ટ જેવી હિન્દુવાદી વેબસાઇટ, આ લેખકનું ટ્‌વીટ, કેટલીક ફેસબુક પાસ્ટ સિવાય કંઈ મળતું નથી. એટલે કે ‘અમે તો પ્રશ્ન પૂછીશું જ’ તેમ કહી કોઈના ડર વગર બેધડક સમાચાર છાપવાનો દાવો કરતા અને જર્નાલિઝમ વિથ કરેજની ડંફાશ મારતાં કોઈ મુખ્ય પ્રવાહના મીડિયાએ આ સમાચાર પણ નથી છાપ્યા. પ્રશ્ન ઉઠાવવાની વાત તો દૂર છે. તાજેતરમાં પ્રયાગરાજ ઉચ્ચ ન્યાયાલયે એક ચુકાદામાં કહ્યું કે છોકરી/સ્ત્રીના વક્ષસ્થળને દબાવવા કે તેના પાયજામાનું નાડું ખોલવું એ બળાત્કાર નથી. ભલે કદાચ બળાત્કારની વ્યાખ્યામાં નહીં આવતું હોય પરંતુ શું તે ગુનો નથી? આની સામે સર્વોચ્ચે કડક ફટકાર લગાવી, પણ તેનાથી શું? બે-બે વાર લેખિતમાં ક્ષમા માગવા છતાં પતંજલિની ભ્રામક જાહેરખબર માટે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લાહ સ્વામી રામદેવને કહે છે કે અમે તમને ઊભા ચીરી નાખીશું પરંતુ આવી ભ્રામક જાહેરખબર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મહોર સાથેની તો ઘણી આવે છે. તેની સામે શું પગલાં લેવાયાં? કર્ણાટકમાં સમ્માન કેપિટલ લિ. દ્વારા દાખલ કરાયેલી એક સિવિલ રિવિઝન પિટિશન અંગે ચુકાદો આપતાં સિવિલ જજે સર્વોચ્ચ ન્યાયાલયના ત્રણ ચુકાદા ટાંક્યા. ચોંકાવનારી વાત એ છે કે સર્વોચ્ચે આ ચુકાદા આપ્યા જ નથી ! આથી કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયને આ સિવિલ જજ સામે તપાસ અને શિસ્તની કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. વિચાર કરો, આ તો બહાર આવેલી બાબત છે. આ કેસમાં પણ જે મીડિયા રિપાર્ટ છે તેમાં ક્યાંય સિવિલ જજનું નામ નથી. મીડિયાએ આ જજનું નામ કેમ ન છાપ્યું/લખ્યું? શું આ નામ ન છાપવા માટે કોઈ ‘વહીવટ થયો હશે?’ કે પછી ઉચ્ચ ન્યાયાલયે જ સિવિલ જજનું નામ નથી આપ્યું? આવા કેટલાં જૂઠાણાં કે ખોટાં ચુકાદા ન્યાયાધીશો દ્વારા અપાતા હશે? સલમાન ખાન કેસમાં એ જ સાક્ષી, એ જ પુરાવા છતાંય નીચલા ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલય- ત્રણેયના ચુકાદા જુદા ! કોઈ ગુનેગાર જ સાબિત ન થયો ! ઉત્તર પ્રદેશના સંભલમાં કે મહારાષ્ટ્રના નાગપુરમાં ટોપીધારીઓ હિંસા કરે છે અને પછી તેમની સાથે સરકાર બુલડાઝર કાર્યવાહી કરે છે એટલે કાર્યવાહી રોકવાનો આદેશ એકાદ દિવસમાં કે કેટલાક કલાકોમાં જ કેમ આવી જાય છે? ન્યાયમૂર્તિ વર્માને ત્યાંથી નાટના થપ્પા સળગી ગયાનો વીડિયો બહાર આવે છે, છબિઓ પણ છે. પરંતુ તે જ દિવસે કે બીજા દિવસે અગ્નિશામક દળના વડા અતુલ ગર્ગના નામે સમાચાર આવી જાય છે કે કોઈ રોકડ મળી નથી. અગ્નિશામક દળના વડા અતુલ ગર્ગ બાદમાં પોતે આવું કહ્યાનું નકારે છે. કદાચ એટલે કે રિપબ્લિક ચેનલ પર સાહસી વીર પત્રકાર-તંત્રી અર્નબ ગોસ્વામી આને જોરશોરથી ઉઠાવે છે. અને આ મુદ્દો બને છે. તો પછી આવાં જૂઠાણાં કેમ ફેલાવી દેવાયા? શું અતુલ ગર્ગની પણ આમાં મિલીભગત હતી? તેમને કોઈ રીતે ‘મનાવી લેવાયા હતા કે આવા સમાચાર આપો?’ કે પછી મીડિયાએ ‘કોઈની સાથે મિલીભગત’ કરીને આવાં જૂઠાણાં છાપ્યાં/બતાવ્યાં? મીડિયા રિપાર્ટ પ્રમાણે, ન્યાયમૂર્તિ વર્મા સિંભોલી સ્યુગર મિલ છેતરપિંડી કેસમાં આરોપી હતા. આ મિલે બૅન્ક સાથે છેતરપિંડી કરી હતી અને ૨૦૧૮માં સીબીઆઈએ આૅરિએન્ટલ બૅન્ક આૅફ કામર્સની ફરિયાદના આધારે તપાસ આદરી હતી. વર્માજી તે મિલની કંપનીમાં અ-કાર્યકારી નિર્દેશક (નાન ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર) હતા. ફેબ્રુઆરી ૨૦૨૪માં એક ન્યાયાલયે સીબીઆઈને તપાસ ફરી શરૂ કરવા આદેશ આપ્યો, પરંતુ (તિસ્તા શેતલવાડ, સંભલ, નાગપુરના આરોપીઓની જેમ) તરત જ સર્વોચ્ચ મદદે આવી. તેણે આ આદેશ ફેરવી નાખ્યો. આનાથી સીબીઆઈની તપાસ જ બંધ થઈ ગઈ ! આનાથી પ્રશ્ન ઊઠે છે કે શું ન્યાયમૂર્તિ કાયદાથી ઉપર છે? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન પછી સૌથી વધુ પ્રાટોકોલ ન્યાયાધીશ માટે હોય છે. મારફાડ મીડિયા પણ ક્યારેય ન્યાયાધીશની ટીકા કરતું નથી. નેતાઓ પણ નહીં. નેતા હોય કે અભિનેતા, મીડિયા કે પછી કાલમિસ્ટ, સદા, ન્યાયાલય માટે પણ નામદાર શબ્દ પ્રયોજે છે, પરંતુ સંસદ માટે કે સચિવાલય માટે ક્યારેય નામદાર સંસદ કે સચિવાલય શબ્દ નથી. કેમ? કારણકે ન્યાયાલય કે ન્યાયાધીશ વિરુદ્ધ લખવાથી ‘કાર્ટના તિરસ્કાર’ની કાર્યવાહી થઈ શકે છે અને જેલમાં જવું પડી શકે છે. એટલે કે ન્યાયાલય માટે માન નહીં, પણ ડરથી કોઈ ટીકા કરતું નથી. લોકો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ઉદ્યોગપતિ, મહાન અભિનેતા, મહાન ખેલાડીની ટીકા કરે છે, પણ ન્યાયાલયની નહીં. ચૂંટણીમાં ગેરરીતિ માટે વડાપ્રધાનને ન્યાયાલય પદચ્યુત કરી શકે છે. છ વર્ષ માટે ચૂંટણી ન લડવા જણાવી શકે છે. વડાપ્રધાનની પણ ધરપકડ થઈ શકે છે. પરંતુ કોઈ ન્યાયાધીશની ધરપકડ કેમ નહીં? શું આરોપો સાબિત થાય તો માત્ર ત્યાગપત્ર જ ઉપાય છે? કે પછી આરોપો થાય એટલે બદલી કરી દેવી એ જ ઉપાય છે? આવું કેમ? શું ન્યાયતંત્રમાં સુધારા માટેનો સમય હવે પાકી નથી ગયો? jaywant.pandya@gmail.com