મહાકુંભ વિશે ઘણાને ખબર નથી કે તે દર ૧૪૪ વર્ષે યોજાય. પૂર્ણ કુંભ દર બાર વર્ષે અને અર્ધ કુંભ દર છ વર્ષે. દરેક કુંભમેળાની ચોક્કસ ગ્રહોની સ્થિતિ હોય.
આ હિન્દુઓનું તો ખરું જ, પણ વિશ્વનું સૌથી મોટું એકત્રીકરણ છે. વિચાર કરો કે હિન્દુ ધર્મના મુખ્ય ત્રણ ફાંટા ગણો તો શૈવ, શાક્ત અને વૈષ્ણવ. આમાં પૂ. શંકરાચાર્ય, નાગા, અઘોરી, રામાનંદી, વલ્લભાચાર્ય, વગેરે જેવી શાખાઓ ગણો. ઇસ્કોન જેવી સંસ્થા ગણો કે આર્યસમાજ જેવી ચુસ્ત વૈદિક સંસ્થા ગણો. વિવિધ યોગાચાર્ય ગણો. વિવિધ સંતો ગણો. આટલા બધાનો સમાવેશ એક જ નગરમાં અને સ્નાન કરવા માટે બહારથી જે ભીડ આવે તે અલગ.
એક અહેવાલ પ્રમાણે, મૌની અમાવસ્યાના દિને સૌથી વધુ જનસંખ્યા કોઈ એક શહેરમાં હોય તેનો વિક્રમ પ્રયાગરાજે બનાવ્યો હતો. લગભગ ૩.૯૦ કરોડ લોકો અહીં આવ્યા હતા.
અને કેવી રીતે? અહીં વીઆઈપીઓ, સેલિબ્રિટીઓથી માંડી સામાન્ય માણસો હતા. આ બધાને ધ્યાનમાં રાખીને મજબૂત વ્યવસ્થા કરવી પડે અને યોગી સરકારે કરી પણ ખરી.
૪,૦૦૦ હૅક્ટર અર્થાત્ ૪૦ કિમી જેટલી જગ્યામાં ૧,૬૦,૦૦૦ તંબુ લાગ્યા છે. ૧,૫૦,૦૦૦ શૌચાલયો છે જેની દેખભાળ ૧૫,૦૦૦ સફાઈ કર્મચારીઓ રાખી રહ્યા છે. ૧.૨૫૦ કિમીની પાઇપલાઇન છે. ૬૭,૦૦૦ એલઇડી બત્તીઓ, ૨,૦૦૦ સૂર્ય બત્તી અર્થાત સોલાર લાઇટ અને ૩ લાખ છોડ છે. નવ ઘાટ, સાત રિવરફ્રન્ટ રોડ અને ૧૨ અસ્થાયી ઘાટોનું નિર્માણ કરાયું છે. સાત બસ મથકો બનાવાયાં છે. ૧૫ લાખ ચોરસ ફીટ જેટલી જગ્યાની શેરીની દીવાલો પર ચિત્રો દ્વારા સાંસ્કૃતિક વાતાવરણ સર્જવામાં આવ્યું છે. ૨,૭૫૦ જેટલા સીસીટીવી કેમેરા દ્વારા લોકો અને વ્યવસ્થા પર દૃષ્ટિ રખાઈ રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના કે અપરાધ ન થાય. આ કેમેરાને કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)નું પણ બળ મળ્યું છે. ૧૦૮ કેમેરા દ્વારા વાહનોની નંબર પ્લેટના રજિસ્ટ્રેશનનું નિરીક્ષણ થશે. ૨૬૮ એઆઈવાળા વીડિયો વિશ્લેષણાત્મક કેમેરા ભીડની હિલચાલ પર દૃષ્ટિ રાખશે જેથી અસામાજિક ત¥વો કે ત્રાસવાદીઓ તેમના મેલા આશયમાં સફળ ન થાય. ૨૪૦ એઆઈવાળા વીડિયો વિશ્લેષણાત્મક કેમેરા વાહનોની ગણતરી રાખશે જેથી વાહનોનું આવાગમન સરળતાથી થાય. ટ્રાફિક જામ ન થાય અને પાર્કિંગમાં અડચણો ન થાય. અસુવિધા ન થાય.
હવે પ્રશ્ન એ છે કે આ બધી તો પ્રચારાત્મક વાતો થઈ પણ ખરી વાસ્તવિકતા શું છે? તો તેનો ઉત્તર એ છે કે છે પણ ખરી અને નથી પણ. કઈ રીતે? મારા પોતાના અનુભવ પરથી કહું તો બસો અને ખાનગી વાહનોનું પાર્કિંગ નૈનીમાં છે. ૨૮મીથી એટલે કે મૌની અમાસના એક દિવસ પહેલાં જ તંત્રએ વ્યવસ્થા કડક રાખી હતી. અમે અંદર પ્રવેશ્યા તે પહેલાં જ ચિત્રકૂટથી જ જબરદસ્ત ટ્રાફિક જામ હતો. પ્રયાગરાજની સીમાએ આવતા-આવતા તો તે વધતો જ ગયો. નૈનીથી તમારે જ્યાં જવું હોય તે તમારી પસંદગી. અમે ખાનગી ટ્રાવેલ્સમાં આવ્યા હતા અને ૨૯મીએ સ્નાન કરીને પરત ફરવાના હતા. પણ અમે ટ્રેનની ટિકિટ કન્ફર્મ થવાની આશાએ પરત ન ફરવાનું નક્કી કર્યું.
નૈનીથી સંગમ સ્થાન તરફ જવા માટે સેક્ટર ૨૫, ૨૪, ૨૩ વગેરે તરફ ફરજિયાત ચાલતા આવવું પડે કારણકે ખાનગી વાહનોને અને તેમાંય બસોને છૂટ આપે તો શું દશા થાય? એટલે પાંચેક કિમી ચાલીને પછી કાં સ્નાન કરવા જાવ, કાં કોઈ આશ્રય સ્થાન બુક કરાવ્યું હોય તો ત્યાં જાવ. ન કરાવ્યું હોય તો શોધી લો.
હવે પ્રયાગરાજમાં મહાકુંભ માટે કેટલીક જગ્યાએ અસ્થાયી પુલ બનાવ્યા છે. દા.ત. વલ્લભાચાર્ય પુલ, સોમેશ્વર, ચક્ર માધવ. પણ ભીડની કલ્પના કરીને સરકારે ૨૮મીએ જ પુલ બંધ કરી દીધો હતો. આ સૂચના બધાને પહોંચવી જોઈતી હતી કારણકે આ તાત્કાલિક લેવાયેલો નિર્ણય હતો. બધાને એસએમએસ કરી સૂચના બલ્ક મેસેજ દ્વારા મોકલી શકાય. લોકોએ પણ પોતાની રીતે આ બધાથી અપડેટ રહેવું પડે.
જે લોકોને મેસેજ નહોતો તેવા લોકો પૈકી કેટલાક સંગમ નોઝ તરફ ગયા. ત્યાં અંતરાયો (બેરિકેડ) હતાં. પણ રાતનો એકથી બે વાગ્યાનો સમય હતો એટલે તેઓ બેરીકેડ કૂદીને ભાગ્યા. ઘણા લોકો જેમને કોઈ ઉતારો નહોતો મળ્યો અથવા જેમને કોઈ ફ્રીમાં ઉતારો આપે તેવી સંસ્થાનો પરિચય નહોતો (આવી સંસ્થામાં ફ્રીમાં ઉતરવા તમે એના અનુયાયી હોવા જોઈએ) અથવા એવી સંસ્થા દૂર પડે તેમ હતી તો રસ્તા પર જ પ્લાસ્ટિક પાથરી સૂઈ ગયા હતા. તેમના પર પડ્યા. અહીં રાત્રે અને સવારે ખૂબ જ જોરદાર ધુમ્મસ હોય છે. જેમના પર પડ્યા તે ઊભા ન થઈ શક્યા.
આપણી પ્રજા શ્રદ્ધાળુ ખૂબ છે. સામાન્ય શ્રમિક પ્રકારના લોકો માથે સામાન મૂકી હાથ છૂટા રાખી બેલેન્સ રાખી કિમીના કિમી ચાલી શકે છે. તેમને વંદન પણ બે બાબતે આપણી પ્રજાનો નેવું ટકા વર્ગ મીંડું છે. આ પ્રજામાં વીઆઈપીથી લઈને શ્રમજીવી સુધી બધા આવી ગયા. એક, શિસ્ત. બીજું સ્વચ્છતા. બૂફે જેવું જમવાનું હોય કે પ્રસાદ વિતરણ, કોઈ મંદિરની અંદર દરવાજામાં પ્રવેશ કરવાનો હોય કે કોઈ કાર્યક્રમની અંદર જવાનું હોય, જો પોલીસ, આયોજકો તરફથી સ્વયંસેવકો કે બાઉન્સરો દ્વારા લાઇન ન કરાવે તો બધા ધક્કામુક્કી કરવા લાગે. લાઇનમાં ઊભા હોય તોય જગ્યા રાખીને ઊભા રહેવાના બદલે ફાંદ અડે તેમ અડોઅડ ઊભા રહે. ગંગા તટે સ્નાન કરવા ગયેલાઓનો સામાન પ્લાસ્ટિક શીટ પર પડ્યો હોય તોય એ જોયા વગર પ્લાસ્ટિક શીટ પરથી ધરાર ચાલે.
બીજી ખરાબ ટેવ છે અસ્વચ્છતા. યોગી સરકાર દ્વારા સફાઈ કર્મચારીઓ સતત સફાઈ કરતા હતા પણ ગંગા તટે પ્લાસ્ટિકની થેલીથી માંડી ફૂલહાર, પડિયાં વગેરે કચરો કરે. શૌચાલયો ગંદાં મૂકે. અરે ! ઘણા તો નહાવા માટેની જગ્યામાં છી કરે. છી ! પાછું પાણી નાખવાનું નહીં. ક્યાંક આંકડી તૂટેલી હોય કે પછી ક્યાંક ફ્લશ ન ચાલુ હોય, ક્યાંક ભારતીય પદ્ધતિના સંડાસમાં ડોલ ન હોય તો ક્યાંક નળમાં પાણી ન આવતું હોય. આમાં સૌથી વધુ તકલીફ પડે સ્ત્રીઓને. પુરુષ તો ક્યાંક ઊભો રહી જાય. પણ સ્ત્રીઓ ? એ ક્યાં જાય? યુરિનલ/ટોઇલેટ બાબતે કોઈ વિચાર નથી કરતું કે સ્ત્રી માટે એકાદ જ કેમ હોય છે? આ તકલીફ કોમર્શિયલ કોમ્પ્લેક્સના શૌચાલયોમાં પણ સ્ત્રીઓને થાય છે.
ફરીથી મહાકુંભની વાત કરીએ તો, યોગી સરકારની ઉપર કહી તે બધી સુવિધાઓ ગંગા-યમુના સંગમની દક્ષિણે છે. એટલે કે વલ્લભાચાર્ય પુલના એરલ ઘાટના છેડેથી લઈ ઐરલ ઘાટ સુધી કારણકે ત્યાં ટેન્ટ સિટી આવેલાં છે. વીઆઈપીઓની અવરજવર ત્યાં હોય છે. ત્યાં શૌચાલયો, પાણીનું એટીએમ, ચોખ્ખા રસ્તા, દ્વાર, કમળ દ્વાર વગેરેથી સુશોભિત રસ્તા છે. થાંભલા પર ક્યૂ.આર. કોડ છે પણ સંગમની ઉત્તર તરફ હરિશ્ચંદ્ર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટથી લઈ સેક્ટર ૧૮માં બાપા સીતારામ અન્નક્ષેત્ર સુધીનો રસ્તો ધૂળિયો, પાણીનાં એટીએમ ખાલી, દિલ્લીની જેમ ટેન્કરો પાણી રસ્તા પર ઢોળતા (છલકાતાં) જાય એટલે રસ્તા કીચડવાળા, દોડધામ થઈ હોય લપસી પડે. પાણીની બોટલ રૂ. ૩૦માં વેચાય.
બીજો અનુભવ એ છે કે હિન્દુ ધર્મ જેટલો મહાન છે તેટલા આત્મીય, સેવાભાવી, પ્રમાણિક લોકો નથી. આવા પ્રસંગે ફ્લાઇટ, હોટલથી લઈ રિક્ષા, ટેક્સી, ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સથી પાણીની બોટલ બધાના ભાવ વધી જાય. અહીં જેમણે જગ્યા મેળવી હશે ટેન્ટ બનાવીને ઉતારો આપવા, યજ્ઞ કરવા, કથા કરવા તેમની પાસેથી સરકારે ડિપોઝિટ લીધી હોય, કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે વીજળી, પાણી, ગટર જોડાણ આપ્યાં હોય તો તેના પૈસા થાય પણ ટેન્ટના એક દિવસના વ્યક્તિ દીઠ ૨૧૦૦થી માંડી ૫,૦૦૦. એમાંય ગુજરાતથી આવ્યા હોય એટલે તેમને લૂંટવાના જ. અને બધી છાવણીઓમાં લાઉડ સ્પીકરો. લગભગ આખો દિવસ કથા-કીર્તન અને મોડી રાત્રે પણ ચાલે. માન્યું કે બધા ધર્મ-અધ્યાત્મ માટે જ આવ્યા હોય પણ આટલા લાઉડ વોલ્યૂમે? રાતના કોઈને સૂવું હોય તો? એ કરતાંય આ લાઉડ વોલ્યૂમમાં કથા કહેવાતી હતી તેમાં ગુમ થયેલા-મળી આવ્યાની સૂચનાની ઘોષણા દબાઈ જતી હતી.
આ આખા મહાકુંભમાં પ્રશંસનીય સેવા હોય તો પોલીસની. યોગી સરકારે તેમને બે મહિના પ્રશિક્ષણ આપી યાત્રીઓ-શ્રદ્ધાળુઓની સાથે શાંતિથી વાત કરવા સ્પષ્ટ કડક સૂચના આપી હતી જેનો તેઓ ચુસ્ત અમલ કરતા હતા. ભોમિયા જેવું કામ કરતા હતા.
વિખ્યાત લેખક માર્ક ટ્વેઇને આમ તો મહાકુંભને નકારાત્મક રજૂ કરતાં કહેલું પણ એક વાત સાચી છે કે લોકોની શ્રદ્ધા મજબૂત છે. અમારા સહયાત્રીઓમાં ૭૮ વર્ષના ડોસાથી લઈ આઠમા ધોરણમાં ભણતો છોકરડો હતા. પણ કોઈ ફરિયાદ નહીં. અહીં મૌની અમાસના દિને પણ લાકડી લઈને ગંગા તટે આટલી ભીડમાં ડોસી ચાલતા હતા અને તેમનો પૌત્ર તેમનું બાવડું પકડી ચાલતો હતો. દાદા તેના પૌત્રને ખભે બેસાડીને ચાલતા હોય તેવું પણ દૃશ્ય હતું. કડકડતી ઠંડીમાં લોકો રસ્તા પર સૂઈ રહે. એટલે જ આ આસ્થાનો મહાકુંભ છે.