બગસરામાં છેલ્લા ઘણા સમયથી જેતપુર રોડ પર થયેલ આડેધડ દબાણ દૂર કરવા તંત્રએ કામગીરી હાથ ધરી છે. જે અન્વયે આજે વિવાદિત સખી હોટેલ પર પણ બુલડોઝર ફેરવાયું હતું. આ ઉપરાંત દબાણ કરનારા અન્ય ૩૨ લોકોને નોટિસ આપવામાં આવી છે. શહેરના બાયપાસ નજીકની સખી હોટલના માલિકે જમીન કાયદેસર કરવા દાદ માગી હતી. પરંતુ સરકારી જમીન પર દબાણ હોવાથી ત્રણ નોટિસ આપ્યા બાદ આજે તેને તોડીને જમીનને ખુલ્લી કરી હતી. વધુમાં હુડકો વિસ્તારથી ભૂતનાથ મંદિર સુધીના રોડ પર થયેલા વિવિધ દબાણ દૂર કરવા માટે તંત્રએ ૩૨ લોકોને આજે નોટિસ પાઠવી છે. જો તેઓ જાતે દબાણ દૂર નહીં કરે તો આગામી દિવસોમાં ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે એવું નગરપાલિકા અને પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે. આ તકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલે જેતપુર રોડ પરના તમામ દબાણો દૂર કરવા માટે માંગણી કરેલ છે.