બગસરા ડેપો દ્વારા ચાલતી ખાંભા ધોરાજી બસ એસટી ડેપોના અનધડ વહીવટને કારણે બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારના ગામડાઓ મુંજીયાસર, નવી જૂની હળિયાદ, ઘંટીયાણ, ગુંદાળી વગેરે ગામોના મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. આ વિસ્તારમાંથી જેતપુર ધોરાજી જવા માટે સવારની એક જ બસ મળતી હોય અને આ ગામડાના લોકોને દવાખાનાના કામ માટે જેતપુર વધુ અનુકૂળ હોય તેમ જ હટાણા માટે પણ જેતપુર જવાનું જ થતું હોય છે. પુરતો ટ્રાફિક મળવા છતાં તે બસ એકાએક બંધ કરી દેવામાં આવતા આ ગામડાઓમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળે છે. જો આ બસ વહેલી તકે ફરી વખત શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવી આ ગામડાના ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.