આસ્થા પણ જોઈ, અનાસ્થા પણ જોઈ…
બડભાગ્ય પણ જોયું, દુર્ભાગ્ય પણ જોયું…
વ્યવસ્થા પણ જોઈ, અવ્યવસ્થા પણ જોઈ…
માનવતા પણ જોઈ, લૂંટ પણ જોઈ…
મહાકુંભ, કાશી, અયોધ્યાની ત્રિવેણી યાત્રામાં અનેક રંગો જોવા મળ્યા.
આસ્થા: અદ્‌ભુત. કોરોનાકાળમાં શ્રમિકો માથે સામાન મૂકી ચાલતા નીકળ્યા હતા ત્યારે બધાને કરુણા ઉપજી હતી. પણ એ એમની દિનચર્યા છે. તેમની કુશળતા છે. મહાકુંભમાં પણ એ જ રીતે તેઓ ચાલતા આવ્યા. પણ તેઓ જ નહીં, રાજાથી માંડી રંક સુધી, આવી રીતે પગપાળા યાત્રા દ્વારા દર્શનના આશ્ચર્યજનક અનેક કિસ્સા છે. વટામણ ચોકડી પાસે વરાણાના ખુમાનસિંહ ગોહિલ સિત્તેર વર્ષથી વધુ વયના છે. તેઓ થોડા મહિના પહેલાં જ વટામણથી અયોધ્યા ચાલતા જઈ આવ્યા. રાજકોટનો ૩૩ વર્ષનો યુવાન ચિરાગ પટેલ કહે છે કે રાજકોટમાં નજીક દૂધ લેવા જવું હોય તોય એક્ટિવા લઈને જઉં. પણ અહીં ચાલતા ગયો. અને કેવો ! વસંત પંચમીની આગલી રાત્રે ત્રણ વાગે સેક્ટર ૧૮માં આવેલા બાપા સીતારામ અન્નક્ષેત્રથી ચારેક કિલોમીટર દૂર સંગમ ઘાટ પર ગયો. ત્યાં પૂલ બંધ હતો. સવારે દસ વાગે ફરી ઉપડ્‌યો. પગમાં છાલા પડી ગયા હતા. પોતાની વિગત લખાવવાની હોય તો પણ ગુજરાતીમાં આંકડા બોલનારા છે હજુ તે જાણી આનંદ થયો. ગુજરાતમાં આવા લોકો હોય તેવું ત્યાં લાગતું નહોતું. ઓગણએંસી કેમ થાય તે પણ ખબર નથી હોતી. આવા અનેક કિસ્સા આસ્થાના છે.
અનાસ્થાઃ આની સામે અનાસ્થા પણ જોવા મળી. અહીંના એક ભાઈ ક્યારેય કુંભમાં સ્નાન કરવા નથી જતા. મહિના દિવસ કુભ મેળામાં કામ મેળવે છે પણ સ્નાન કરવા જતા નથી. મેં કહ્યું, હા, તમારે તો ખરેખર ઘરે બેઠા ગંગા, યમુનાનું પાણી આવે છે, તો ઘરે બેઠાં જ રોજ ત્રિવેણી સ્નાન થઈ જાય. કેટલાક લોકો અહીં આવીને પણ મોડા ઊઠે અને ખાણીપીણીને મહત્વ આપવા જાય પરિણામે મંદિરદર્શન કે સ્નાનથી વંચિત રહી જાય. તેની તેમને ગ્લાનિ હોતી નથી.
બડભાગ્યઃ અનેક લોકો બડભાગી જોવા મળ્યા. ત્રણ-ત્રણ વાર સ્નાન કર્યું હોય. યાત્રામાં કોઈ તકલીફ ન પડી હોય. અને પાછા આ લોકો કોઈ વીઆઈપી નહોતા. કાશીમાં પણ દર્શન થઈ જાય. અયોધ્યામાં પણ દર્શન થઈ જાય. આવા બડભાગી લોકોમાં અમે પણ હતા. અમે કાશી પહોંચ્યા અને ત્રણ કલાક લાઇનમાં ઊભા રહ્યા અને દર્શન કરી રાત્રે સાડા અગિયાર-પોણા બાર આસપાસ બહાર નીકળ્યા અને જાહેરાત થઈ કે હવે દર્શન બંધ થાય છે. ઘણા લોકો પ્રયાગથી કાશી ગયા હોય અને દર્શન વગર પરત ફરવું પડ્‌યું હોય અથવા રાત્રે દર્શન ન થઈ શકે ને સવારે ફરી દર્શન કરવા જવું પડે તેવા કિસ્સા છે.
દુર્ભાગ્યઃ મૌની અમાસની દુર્ઘટનાના મૃતકો આવા દુર્ભાગ્યશાળી હતા. પણ આ સિવાય અનેક લોકોને ખૂબ મુશ્કેલી પડી. દા.ત. એક ટ્રાવેલ્સવાળો સાત બસ લઈ પ્રયાગરાજ આવ્યો. તેમાંથી એક બસના યાત્રીઓએ ચિત્રકૂટ પાસે બપોર પડી ગઈ હોવાથી ભોજન કરી લેવાને મહ¥વ આપ્યું. એ જ ગ્રૂપના બીજી બસના યાત્રીઓએ નાસ્તાથી ચાલી જશે પણ પહેલાં પ્રયાગ પહોંચી જઈએ તેને મહ¥વ આપ્યું. કારણકે ચિત્રકૂટમાં બહુ જ ટ્રાફિક હતો. એક તો ચિત્રકૂટના દર્શન કરવા ગયેલા યાત્રીઓ અને બીજા પ્રયાગરાજ જતા યાત્રીઓ. રસ્તા પણ સાંકડા. બસમાં રસોઈયા હતા. એટલે રસોઈમાં સમય લાગે જ્યારે નાસ્તામાં ઝડપથી પતી જાય. આના કારણે એવું બન્યું કે જેમણે જમવાને મહ¥વ આપ્યું હતું તે પછી ટ્રાફિકમાં એવા અટવાઈ ગયા કે અમાસની આગલી રાત્રે ત્રણ વાગે પહોંચ્યા. તેથી નહાવાધોવાનો સમય ન રહ્યો. સીધા ગંગા સ્નાન કરવા જવું પડ્‌યું કારણકે બીજા દિવસે બપોરે તો બસ પરત ફરી જવાની હતી. બીજા લોકો સાંજે સાડા ચારે પહોંચી ગયા. તેથી તેમને સારો સમય મળ્યો. આરામ કરવાનો. આજુબાજુ ફરવાનો.
ઘણાની પરત ફરવાની ટ્રેન રદ્દ થઈ તો ઘણાને રેલવે સ્ટેશન પર અટકાવી દીધા. તો કેટલાકને સ્ટેશનેથી નીકળતા જ બે કલાક થયા ! આમાંથી કેટલાક પૂલ પાસે પહોંચ્યા તો ખબર પડી કે પૂલ તો બંધ છે ! કેટલાક લોકો અમાસના દિવસે પૂલની પેલે પાર તો પહોંચી ગયા હતા પણ ઉતારો પૂલની આ પાર હતો. સામાન પણ ઉતારામાં હતો. પૂલ બંધ હોવાથી ફસાઈ ગયા. ઘણાને નકશો ખબર નહીં હોવાથી આગળ નીકળી ગયા. તેથી તેમની ટ્રેન/ફ્‌લાઇટ ચૂકાઈ ગઈ તેવા પણ કિસ્સા છે.
વ્યવસ્થાઃ મહાકુંભમાં ખૂબ સારી વ્યવસ્થા છે. તેના વિશે ગયા રવિવારે આ કોલમમાં લખી ગયો છું એટલે પુનરાવર્તન ટાળું છું.
અવ્યવસ્થાઃ મહાકુંભમાં જેવી ચોખ્ખાઈ રખાય છે, ઠેરઠેર કચરાપેટી મૂકાઈ છે, અસ્થાયી તો અસ્થાયી શૌચાલય મૂકાયાં છે તેવી વ્યવસ્થા કાશી અને અયોધ્યામાં નથી તેવું દુઃખ સાથે કહેવું પડે છે. કાશીમાં મંદિરમાં જવા માટે ગોદૌલીયા ચોકથી લાઇન હતી ત્યાં પોલીસે એક લાઇન નાળા પાસેથી કરાવી હતી. લોકો લાઇનમાં આગળ વધવા સાથે નાસ્તો કરતા કે ઠંડાં પીણા પીતાં તો કચરો નાખવા માટે ત્યાં ફૂટપાથ પર જ કે નાળામાં નાખતા હતા. એટલું ગંદું દૃશ્ય લાગતું હતું. બીજું, મંદિરની અંદર મોબાઇલ અને ચપ્પલ રાખવાની વ્યવસ્થા હતી પણ બહાર જે દુકાનદારો આનો ધંધો કરતા હતા તે લોકોને બીવડાવતા હતા કે અંદર વ્યવસ્થા નથી. જો કોઈ ના પાડે તો બીવડાવતા કે દર્શન બંધ થઈ જશે.
મંદિરની અંદરથી આ જાહેરાત કરાવી જોઈએ. શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રમાં આ જાહેરાત થતી હતી. ત્રીજું, કાશીમાં અંદર ઉતરતા ઢાળવાળો રસ્તો છે તેની લોકોને ખબર ન હોવાથી ત્યાં લપસી પડતા હતા. ક્યાં ઉતરતો ઢાળ છે, ચડવાનાં કે ઉતરવાનાં પગથિયાં છે તેનાં સાઇન બાર્ડ મૂકાવાં જોઈએ.
ચોથું, અનહદ ભીડને અંદર ન જવા દેવી જોઈએ કારણકે સુરક્ષા જવાનો આટલા બધાની તપાસ વ્યવસ્થિત ન કરી શકે. વળી એટલી ધક્કામુક્કી થાય છે તે જોખમી છે. શ્રી રામમંદિર અને શ્રી હનુમાનગઢીમાં ચડવાનાં પગથિયાં છે. તેના પર એટલી ભીડ હતી અને તે એટલી ધક્કામુક્કી કરતી હતી કે દુર્ઘટના થવાની પૂરી શક્યતા હતી. અને દર્શન માટે એક કે બે સેકન્ડ માંડ મળે છે. આ સ્થિતિ તો લગભગ બધા મોટાં મંદિરોની છે. બીજાં બધાં મંદિરોનો તો મહિમા છે જ, પણ શ્રદ્ધાળુઓમાં શ્રી રામમંદિરનો મહિમા અત્યંત છે કારણકે પાંચસો વર્ષના લોહીયાળ અને અનેક વિષપૂર્ણ દાવપેચ પછી મંદિર બન્યું છે. આથી લોકો અંદર જતાંવેંત જય જય શ્રી રામનાં ઘોષથી ગગન ગજવી દે છે. મંદિર ભવ્ય અને દિવ્ય છે તેમાં ના નહીં પણ શું શ્રદ્ધાળુઓ એક મિનિટ પણ સામે ઊભા રહી રામલલ્લાના સન્મુખ દર્શન ન કરી શકે? પરિસરની બહારથી અનેક કિમી ચાલીને સુગ્રીવ કિલા થઈને ભક્તો અંદર પણ ઘણું બધું ચાલીને અંદર પ્રવેશે ત્યારે સરખું મન ભરીને દર્શન પણ ન કરી શકે તો તેનો ફેરો ફોગટ થાય. પ્રયાગરાજમાં પોલીસને ટ્રેનિંગ આપીને તેમનાં મગજ શાંત કરાયાં અને તેમનો વ્યવહાર મિત્રવત્ માર્ગદર્શકનો રહ્યો તેમ શ્રી રામમંદિર અને શ્રી કાશી વિશ્વનાથમાં મંદિરની અંદર સુરક્ષા કર્મચારીઓની કેમ નથી? શ્રી હનુમાનગઢીમાં તો પોલીસ પોતે જ ઘણા ઓળખીતા-પાળખીતાને વચ્ચે ઘૂસાડતી હતી.
માનવતાઃ પ્રયાગમાં માનવતાના અનેક ઉદાહરણો જોવા મળ્યાં. અમને એક અધિવક્તા અને એક પૂર્વ ગ્રામ પ્રધાન બાઇક પર મૂકી ગયા. અમે બાઇકવાળા વધારે ભાવ માગતા હતા તો ભાવની રકઝક કરતા હતા. નાગવાસુકિ, લેટે હનુમાન અને ભારદ્વાજ મુનિ આશ્રમ જઈ આવ્યા પછી ઘણું ચાલેલા. છેલ્લે તો દોઢ કિમી જ બાકી હતું તો પણ આગળ એક ડગલું નહીં ચલાય તેમ લાગતું હોવાથી બાઇક કરવી જ પડે તેમ હતી. અમારી રકઝક સાંભળી સાઇઠથી વધુ વયના પૂર્વ ગ્રામ પ્રધાન શોભનાથ દુબેજી પોતાની જગ્યાએથી ઊભા થયા અને બાઇકવાળાઓને સમજાવ્યું કે વાજબી ભાવમાં લઈ જાવ. તો તેઓ ન માન્યા. એટલે પોતે મૂકવા આવ્યા અને એક પણ પૈસો ન લીધો. એટલું જ નહીં, બાપા સીતારામ અન્નક્ષેત્રમાં ચા પીવા પણ ન આવ્યા. અમને કહે, અમારે ત્યાં પ્રયાગરાજમાં ૧૪૪ વર્ષે મહાકુંભ થતો હોય અને તમારા જેવા ભક્તોની અમને સેવાની તક ક્યાંથી મળે ! હું ચા પીઉં તો પણ મારી સેવા એળે જાય. બાપા સીતારામ અન્નક્ષેત્ર તો બગદાણાના સંત બજરંગદાસ બાપાના ભક્તો ચલાવે છે. તેની વાત કરીએ એટલી ઓછી. નહાવાનું ગરમ પાણી, પીવાનું ગરમ પાણી. સવારે ચા-નાસ્તો, બપોરે-રાત્રે ભોજનરૂપ પ્રસાદી, સાંજે પાછી ચા. સૂવા માટે ગાદલાં-ગોદડાં. સામાન મૂકી બહાર જવું હોય તો લગેજ રૂમ. આટલી મોટી સંખ્યામાં લોકો રહેતા હોય તોય ઓછાં ન પડે તેટલાં બાથરૂમ-સંડાસ. ચોખ્ખાઈ. બીજાં પણ અન્નક્ષેત્ર છે. મફત ઔષધાલયો (નિદાન કેન્દ્રો) પણ છે. ૨૮મીએ પૂલ બંધ હતા એટલે બાપા સીતારામ અન્નક્ષેત્ર જઈ શકાય તેમ નહોતું તો અનેક જગ્યાએ પૂછ્યા પછી ભોપાલના બ્રૃજેશ શર્માનો બ્રાહ્મણ ઉત્થાન સમિતિ સંચાલિત આશ્રમ પણ મળ્યો જેમાં ડબલ બેડ, ઓશિકું, ઓઢવાનું હતું ને ચા-ભોજન તેમનો પરિવાર બનાવી પ્રેમથી પીરસતો હતો. બાથરૂમ-સંડાસ, બ્રશ માટે ચોકડી વગેરે સુંદર વ્યવસ્થા હતી. પંચ દિગંબર અની અખાડામાં પૂજનીય સાધુએ પ્રસાદીમાં સૂકો મેવો આપ્યો અને શિષ્ય પાસે ચા બનાવડાવી પીવડાવી. કોઈ દક્ષિણાની અપેક્ષા વગર ! ઉપદેશ માગ્યો તો પણ ન આપ્યો. તેમની પ્રેમ નીતરતી આંખ અને માયાળુ સ્વભાવ એ જ જાણે કે તેમનો ઉપદેશ કે મારી જેમ તું પણ લોકોને પ્રેમથી ખવડાવજે-પીવડાવજે.
લૂટવાનાં પણ ઉદાહરણો ઓછાં નથી. રીક્ષા, બાઇક, હોડીવાળાએ અધધ ભાવ લીધા છે. પાણીની બોટલ ત્રીસ રૂપિયામાં વેચાઈ છે. ટેક્સીમાં કાશી-અયોધ્યા લઈ જનારાઓએ લોકો પાસેથી વધુ ભાવ લીધા છે. ડ્રાઇવરે દારૂ પી ખોટા રસ્તે ગાડી ચલાવી છે. તો કોઈક કિસ્સામાં પોતે ફોન બંધ કરી સૂઈ જઈ ગાડી દૂર પાર્ક કરી રાતના બે વાગ્યે બીમાર સ્ત્રીઓ સહિતના યાત્રીઓને રઝળાવ્યા છે. કનકધારા ચેરિટેબલ ટ્રસ્ટ નામ હોય અને ઉતરવા માટે તેના મુખ્ય-સાધુ કહેવા કે સાધ્વી તેવો પ્રશ્ન થાય તેમણે વ્યક્તિ દીઠ ૨૧૦૦ માગ્યા અને ગુજરાતથી છીએ તેમ ખબર પડતા ગુજરાત આવું તો શું સેવા કરશો તેમ પૂછ્યું એટલે બે હાથ જોડી ત્યાંથી ઝડપથી રવાના થયા. પ્રશ્ન એ થાય કે જેમના ઘરના નળમાં ગંગાનું પાણી આવે છે, જેઓ તે પીવે છે, જેઓ તેનાથી સ્નાન કરે છે તેમની મથરાવટી મેલી કેમ હોઈ શકે? અમદાવાદના પાર્થ ટ્રાવેલ્સ જેવાએ યાત્રા છે, પ્રવાસ નહીં તેમ કહી અગવડતા સર્જી. પણ પોતે યાત્રા કરાવે છે તો પણ વર્તન સહેજ પણ શિષ્ટાચારવાળું નહીં. આમ જ થશે ને આમ જ ચાલશે તેમ યાત્રાળુઓને અધવચ્ચે કહી દેવું. સળંગ છત્રીસ કલાકની મુસાફરી હોય તો મહિલાઓને બાથરૂમ-સંડાસની વ્યવસ્થિત સુવિધા મળે તેવી જગ્યાએ વિરામ ન લેવો અને પેટ્રાલ પંપે જ્યાં પુરુષો માટે એક અને મહિલાઓ માટે એક શૌચાલય હોય તેવી જગ્યાએ બસ ઊભી રાખવી. રસોઈયાનો સ્ટાફ પૂરતો ન લેવો. પહેલેથી રૂટ ન જણાવવો. સીટ નંબર છેલ્લી ઘડીએ સેંકડો યાત્રીઓને ફાળવવો. બસ દસ વાગ્યાનું કહી રાત્રે અઢી વાગે ઉપાડવી અને ઠંડીમાં લોકો બેસી શકે તેવી આૅફિસ પણ નહીં. અરે! આૅફિસમાં બાથરૂમ ગંદું. નળ કે જેટ સ્પ્રેમાં પાણી પણ ન આવે. આમ છતાં જે પવિત્રતા, જે દિવ્યતા અને અલૌકિકનો અનુભવ થયો છે તેનો અનેરો અવર્ણનીય આનંદ છે. ખરેખર, આ ત્રિવેણી તીર્થયાત્રા ઘણું શીખવી ગઈ. યુગોનું જાણે કે ભાથું મળી ગયું.