ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ફાગણી પૂનમ મહોત્સવની ધામધૂમથી ઉજવણીના અંતિમ દિવસે મંદિરની પરંપરા મુજબ પોલીસ વહીવટી તંત્ર દ્વારા ભગવાન શ્રી રણછોડરાયજીને ધ્વજા અર્પણ કરવામાં આવી. ફાગણી પૂનમ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. હોળીના બીજા દિવસે આજે વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભીડ જાવા મળી રહી છે. આપને જણાવીએ કે, આજે વહેલી સવારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રણછોડરાયના દર્શન કર્યા હતા.
ફાગણી પૂનમ મહોત્સવમાં આજે રાતે બે કલાકે જ મંગળા આરતી કરવામાં આવી છે. મંગળા આરતી બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડાકોર મંદિરના દર્શન કર્યા હતા. આ મહોત્સવમાં લાખો ભક્તોએ ડાકોરના ઠાકોરના દર્શન કર્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ત્રણ દિવસના મહોત્સવમાં આઠ લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. આજે ચંદ્રગ્રહણને કારણે બપોરે જ રણછોડરાયનું મંદિર બંધ કરી દેવામાં આવશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ દર્શન કરીને પોતાના સોશિયલ મીડિયામાં ફોટા પણ શેર કર્યા હતા. જેમાં તેમણે લખ્યું હતું કે, ડાકોરના ઠાકોરના શરણે… આજે પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે બિરાજતા ભગવાન શ્રી રણછોડરાયજી મહારાજના મંગલ દર્શન કરી ધન્યતા અનુભવી. આ પાવન પ્રસંગે પ્રભુના ચરણોમાં ધ્વજા પૂજા કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું.
મંદિરમાં ઉડાવવામાં આવતા ગુલાલથી ભક્તો ભાવવિભોર બની રહ્યા છે અને પોતાને ભગવાન સાથે હોળી રમવાનો અવસર મળ્યો હોવાની ધન્યતા અનુભવી રહ્યા છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ આ દિવ્ય માહોલમાં તરબોળ જાવા મળ્યા હતા.
રાજ્યના વિવિધ શહેરોમાંથી પદયાત્રીઓ ડાકોર પહોંચ્યા હતા. સુરક્ષાને લઈને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રણછોડરાયના મંદિર નજીક ૨૪ કલાક સીસીટીવી રૂમ કાર્યરત છે. આ સાથે જ ડ્રોન અને અદ્યતન સર્વેલન્સ દ્વારા સમગ્ર વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે. ભક્તોને દર્શન દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે સચોટ આયોજન કરાયું. તંત્ર દ્વારા સુવ્યવસ્થાને લઈ કોઈ ફરિયાદ પણ નોંધાઈ નથી. શાંતિપૂર્ણ રીતે ફાગણી પૂનમનો મહોત્સવ પૂર્ણ થયો છે.