આૅસ્ટ્રેલિયાના ખેલાડીઓ, મીડિયા, અમ્પાયરોની ભારત વિરોધી અંચઈ જાણીતી છે. રિકી પાન્ટિંગને હરભજને આઉટ કર્યો ત્યારે રિકી પાન્ટિંગે એ વખતે ૧૮ વર્ષના હરભજનને જાણી જોઈને ખભો અથડાવ્યો હતો. વેસ્ટ ઇડિઝના સ્ટીવ બકનર, ઇંગ્લેન્ડના માર્ક બેન્સન કે અત્યારના બાંગ્લાદેશી અમ્પાયર શરાફુદૌલા, તેઓ આૅસ્ટ્રેલિયાની જ તરફેણ કરે છે

આૅસ્ટ્રેલિયામાં રમાયેલી ભારત અને આૅસ્ટ્રેલિયાની તાજેતરની ચોથી ટેસ્ટમાં વિવાદો થયા. વિરાટ કોહલીનો ૧૯ વર્ષના આૅસ્ટ્રેલિયાઈ ખેલાડી સામ કાન્સ્ટાસ સાથે ખભાથી ટકરાયાનો વિવાદ અને તે પછી યશસ્વી જાયસ્વાલને ખોટી રીતે આઉટ આપવાનો વિવાદ થયો. યશસ્વી જાયસ્વાલને આૅન ફીલ્ડ અમ્પાયરોએ નાટ આઉટ આપ્યો હતો. ટૅક્નાલાજીની રીતે પણ તેનો કેચ થયાનું જણાતું નહોતું પરંતુ ‘બાંગ્લાદેશી’ અમ્પાયર શરાફુદૌલા સાઇકટે તેને આઉટ આપી દીધો. સુનિલ ગાવસ્કર તો આના પર ઉકળી ઊઠ્‌યા. સુનિલ ગાવસ્કરે કહ્યું કે જો તમે ટૅક્નાલાજીનો ઉપયોગ કરતા હો તો માત્ર તેનો જ ઉપયોગ કરો. (ટૅક્નાલાજી કહે છે કે યશસ્વી નાટ આઉટ હતો).
આૅસ્ટ્રેલિયાઈ માધ્યમોનાં જૂઠાણાં પણ ઓછાં નહોતાં. ૧. રવીન્દ્ર જાડેજાએ પત્રકાર પરિષદમાં આૅસ્ટ્રેલિયાના પત્રકારોના અંગ્રેજીમાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર ન આપ્યા. વાસ્તવિકતા એ હતી કે રવીન્દ્ર જાડેજાને ભારતીય પત્રકારોએ હિન્દીમાં પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા, પરંતુ તેને અંગ્રેજીમાં કોઈ પ્રશ્ન પૂછાયો જ નહોતો. ૨. રવીન્દ્ર જાડેજાએ એમ કહીને પત્રકાર પરિષદ પતાવી દીધી કે તેને (ટીમની) બસ પકડવાની છે. વાસ્તવિકતા એ હતી કે રવીન્દ્ર જાડેજાએ સમયની કોઈ મર્યાદા છે તેમ કહ્યું જ નહોતું. તેણે ટીમની બસ પકડવાની વાત પણ કરી નહોતી ૩. ભારતીય મીડિયા ટીમે એમ કહ્યું કે આ પત્રકાર પરિષદ માત્ર પ્રવાસી ભારતીય પત્રકારો માટે જ છે. તેમાં આૅસ્ટ્રેલિયાના પત્રકારોને પણ આમંત્રણ હતું. આ બાબતે વાસ્તવકિતા એ છે કે આ પત્રકાર પરિષદ માત્ર ભારતીય મીડિયા માટે જ હતી અને ભારતીય ક્રિકેટ અધિકારીઓએ આ વાત વાટ્‌સઍપ દ્વારા જણાવી દીધી હતી. આૅસ્ટ્રેલિયાના ક્રિકેટ અધિકારીઓએ તેમના પત્રકારોને પણ આ વાત જણાવી દીધી હતી. એટલે માન ન માન, મૈં તેરા મહેમાનની જેમ આવી ચડવું અને પછી જૂઠાણાં ફેલાવી ભારતીય ક્રિકેટરોની કુખ્યાતિ કરવી કેટલું ન્યાયી? એટલું જ નહીં, થોડાક આૅસ્ટ્રેલિયાઈ પત્રકારોએ ભારતીય ટીમના મીડિયા મેનેજર સાથે પણ ઉદ્ધતાઈ કરી.
આ વિવાદોએ કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે. ભારતીય રમતપ્રેમીઓ અને ભારતીય કામેન્ટેટરો અગાઉ પોતાના કરતાં પારકાની વધુ ખેવના કરતા હતા. અગાઉ જ્યારે ત્રીજા દેશના અમ્પાયરો રહેતા હતા તે વખતે ભારતમાં રમાતી મેચોમાં કામ કરતા ભારતીય અમ્પાયરો પણ ‘તટસ્થ’ રહેતા હતા. આ સ્વભાવ આૅવરઆૅલ છે. તેના કારણે જ કેરળમાં ઇસ્લામના ઇતિહાસની સૌથી જૂની મસ્જિદ છે. અત્યાચારો કરનારા મોગલો અને અંગ્રેજો આવા ભારતીયોને વધુ વ્હાલા લાગે છે. જ્યારે આ માનસિકતા સામે લડનારાઓની જરા જેટલી પણ ભૂલ થાય તો તેમની તરત જ ટીકા કરવા લાગે છે. રમતમાં આ ઉદારતા ભારતીયો ત્યારે જ દાખવે છે જ્યારે સામે ધોળી ચામડીવાળા અંગ્રેજોમાંથી નીકળેલા આૅસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ હોય કે પછી પાકિસ્તાનીઓ હોય.
વિરાટ કોહલીએ ૧૯ જ વર્ષના અને પ્રથમ મેચ રમી રહેલા સામ કાન્સ્ટાસ સાથે ખભો અથડાવી ખોટું વર્તન કર્યું તેવું બધા કહેવા લાગ્યા. બધા કહે ત્યારે વાંધો નહીં, પણ આૅસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન રિકી પાન્ટિંગે આ કહ્યું ત્યારે ભારત પ્રેમીઓએ તેને અરીસો દેખાડી દીધો. ઇટ્ઠદ્ઘૈv૧૮૪૧ નામના હેન્ડલવાળા એક ભાઈએ રિકી પાન્ટિંગને વીડિયો મૂકી સ્મરણ અપાવ્યું કે ૧૯૯૮માં શારજાહમાં હરભજને જ્યારે તારી વિકેટ ઝડપી ત્યારે તેં તેને ગાળ આપી હતી અને તેની સાથે જાણી જોઈને તેની પાસે જઈને ખભો અથડાવ્યો હતો.
ભારતની સાથે હજુ પણ આઈસીસી, આૅસ્ટ્રેલિયા વગેરે ભેદભાવપૂર્ણ નીતિ અપનાવે છે. (હવે તો આઈસીસીના અધ્યક્ષ જય શાહ છે.) જેમ કે તાજેતરની ચોથી ટેસ્ટ (૨૦૨૪-૨૫)માં આૅસ્ટ્રેલિયાના કપ્તાન ટ્રાવિસ હૅડે આ ટેસ્ટમાં ઋષભ પંતની વિકેટ પડી ત્યારે અભદ્ર ચેષ્ટા કરી. તો ભારતીયોએ જ (દા.ત. શુભાંકર મિશ્ર)એ એવો શંકાનો લાભ આપ્યો કે આ ચેષ્ટા બરફની પ્યાલીની અંદર આંગળી નાખવાથી બરફ પીગળી જાય છે એટલી ગરમ આંગળી છે તેવું બતાવવાની પણ હોઈ શકે. પરંતુ નવજોતસિંહ સિદ્ધુએ ટ્રાવિસ હૅડ સામે કાર્યવાહી કરવાની માગણી કરી.
આની સામે ૧૯૯૯માં વેંકટેશ પ્રસાદે મેલબાર્નમાં જ્યારે આૅસ્ટ્રેલિયાના આૅપનિંગ બૅટ્‌સમેન માઇકલ સ્લેટરની વિકેટ ઝડપી ત્યારે કોઈ અભદ્ર ચેષ્ટા નહોતી કરી પરંતુ મુઠ્ઠી વાળીને ચેષ્ટા વધુ વાર કરી તેમાં અમ્પાયરે તેને મેચ ફીના ૩૫ ટકાનો દંડ કર્યો હતો. આની સામે કોઈ ક્રિકેટર, ક્રિકેટ ટીમ, બીસીસીઆઈ કે ભારતની સરકારે વિરોધ કેમ ન કર્યો? તે વખતે તો ન કર્યો પરંતુ અત્યારે ટ્રાવિસ હૅડને પણ દંડ કેમ ન થવો જોઈએ તેમ કેમ ન માગણી કરી?
૨૦૦૪માં આૅસ્ટ્રેલિયાના ડેમિયલ માર્ટીને પહેલાં ઇરફાન પઠાણની સામે અપમાનજનક ટીપ્પણી કરી. તે પછી ઇરફાને તેને આઉટ કર્યો અને તેના કારણે તેણે તાળી પાડી. તો અમ્પાયરોએ તેને દંડ ફટકારી દીધો. આ ઘટનાને યાદ કરીને વિરાટ કોહલી-સામ કાન્સ્ટાસવાળા બનાવ વખતે કામેન્ટરી કરતા ઇરફાને કહ્યું કે આૅસ્ટ્રેલિયાવાળા દર વખતે આવું કરતા જ જાય છે અને જો આપણે નહીં બોલીએ તો આવું ચાલતું જ રહેવાનું.
૨૦૦૮ની આૅસ્ટ્રેલિયામાં રમાયેલી ભારત વિરુદ્ધ આૅસ્ટ્રેલિયાની ટેસ્ટ શ્રેણી પણ અમ્પાયરોના પક્ષપાતી નિર્ણયોના કારણે વિવાદિત રહી હતી. સિડનીમાં ૨ જાન્યુઆરી ૨૦૦૮ના દિને રમાયેલી આ ટેસ્ટમાં આૅસ્ટ્રેલિયાની બે વિકેટો માત્ર ૨૭ રનમાં પડી ચૂકી હતી. ત્રીજા નંબરે રમવા આવેલા કપ્તાન રિકી પાન્ટિંગનો કેચ વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ ઝડપી લીધો હતો તેમ છતાં વિવાદ માટે જાણીતા અને વેસ્ટ ઇન્ડિઝના અમ્પાયર સ્ટીવ બકનરે તેને નાટ આઉટ આપ્યો. તે પછી પાન્ટિંગે માઇકલ હસી સાથે ૯૨ રનની ભાગીદારી કરી. તે પછી એન્ડ્રુ સાયમન્ડ્‌સનો કેચ ઈશાંતસિંહની બાલિંગમાં ધોનીએ ઝડપ્યો પણ ફરી એક વાર બકનરે આૅસ્ટ્રેલિયાની તરફેણ કરી અને નાટ આઉટ આપ્યો. એ પછી એન્ડ્રુ સાયમન્ડ્‌સને ધોનીએ સ્ટમ્પ આઉટ કર્યો પરંતુ સ્ટીવ બકનર ફરી એક વાર આડા ચાલ્યા. સ્ટીવ બકનરની આ અંચઈના લીધે એન્ડ્રુ સાયમંડસે અણનમ ૧૬૨ રન કર્યા. અને આૅસ્ટ્રેલિયા ૪૬૩નો વિશાળ સ્કાર કરી શક્યું.
એ જ મેચમાં આૅસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં માઇકલ ક્લાર્કનો કેચ સ્લિપમાં પકડાઈ ગયો હતો. ચોખ્ખો આઉટ હતો પરંતુ ચાલ્યા જવાના બદલે તે ઊભો જ રહ્યો. અમ્પાયરે આઉટ આપ્યા પછી તે ગયો. તે પછી છેલ્લી અને ભારતની બીજી ઇનિંગ્સમાં ભારતની ત્રણ વિકેટ માત્ર ૫૪ રનમાં પડી ગઈ હતી. રાહુલ દ્રવિડ ક્રીઝ પર હતો. સૌરવ ગાંગુલી તેની સાથે જોડાયો. આૅસ્ટ્રેલિયાના બાલરો હાવી હતા પરંતુ દાદાએ ફટકારવાનું શરૂ કર્યું. માત્ર ૫૬ દડામાં નવ ચોગ્ગા સાથે તેણે ૫૧ રન ફટકારી દીધા. બ્રેટ લીની બાલિંગમાં સૌરવ ગાંગુલીના બેટને અડીને સ્લિપમાં ઊભેલા માઇકલ ક્લાર્કના હાથમાં દડો ગયો. પરંતુ તે પહેલાં તેની ટપ્પી પડી ચૂકી હતી. આમ છતાં, લુચ્ચા ક્લાર્કે જાણે સાચો કેચ પકડ્‌યો હોય તેમ ઉજવણી શરૂ કરી દીધી.
તે વખતે ડીઆરએસ સિસ્ટમ નહોતી હોત તો પણ યશસ્વી જાયસ્વાલ જેવો નિર્ણય આપ્યો હોત. પરંતુ રિપ્લેમાં ચોખ્ખું દેખાતું હતું કે કેચ પકડતા પહેલાં બાલ મેદાનને અડી ગયો હતો. ઇંગ્લેન્ડના અમ્પાયર માર્ક બેન્સને કપ્તાન રિકી પાન્ટિંગને પૂછ્યું કે ક્લાર્કે ખરેખર કેચ પકડ્‌યો હતો ને? પોતાના જ ખેલાડી વિશે પાન્ટિંગ જેવા આૅસ્ટ્રેલિયાઈ ક્રિકેટરો થોડા રાજા હરિશ્ચંદ્ર કે સચીન તેંડુલકર જેવા હોય કે જે સાચું કહી દે? પાન્ટિંગે હા પાડી. કામેન્ટેટર તરીકે મહાન ખેલાડી સુનિલ ગાવસ્કર તે વખતે હતા. તેમણે કહ્યું કે “તમે કપ્તાનને પૂછ્યું તો બૅટ્‌સમેનને કેમ ન પૂછ્યું? આ ખેલાડી (ક્લાર્ક) પોતે જ્યારે ચોખ્ખો આઉટ હતો ત્યારે તેણે હાલતી નહોતી પકડી. અમ્પાયરે આઉટ આપ્યા પછી જ તે ગયો હતો તો પછી તેની વાત કેમ માનવી જોઈએ?”
એ મેચમાં એન્ડ્રુ સાયમંડ્‌સ અને હરભજનસિંહનો વિવાદ પણ થયો હતો. એન્ડ્રુ સાયમંડ્‌સે હરભજનને ગાળ આપતા કહ્યું હતું કે “સાંભળ, અમે અહીંયા કંઈ ભાઈબંધ બનાવવા નથી આવ્યા. તમને અહીં તકલીફ તો પડવાની જ છે.” તેના ઉત્તરમાં હરભજને કહ્યું, “તું કંઈ નથી, વાંદરો જ છો.” ભારતે ના પાડી કે હરભજને વંશીય ટીપ્પણી નહોતી કરી તેમ છતાં હરભજન પર ત્રણ મેચનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો ! ખરેખર તો ત્યારે જ ભારતીય ટીમે આૅસ્ટ્રેલિયાથી ફ્‌લાઇટ પકડી ભારત પાછા આવી જવાની આવશ્યકતા હતી. ભારતે ધમકી આપી પણ ખરી પરંતુ પછીથી પાછી ખેંચી લીધી. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બાર્ડે સ્ટીવ બકનરને પછીની મેચોમાંથી દૂર કરવા પણ વિનંતી કરી હતી.
દર વખતે ભારતીય ટીમ સામે આવી અંચઈ થાય છે અને ભારત થોડો બોદો વિરોધ કરીને સહન કરીને રહી જાય છે. શારજાહમાં પણ અમ્પાયરોની અંચઈ અને પાકિસ્તાનના દર્શકોની વાયડાઈ જોઈ છે. દાઉદના ઈશારે એ મેચો રમાતી અને ભારતીયોનું માનસિક મનોબળ તોડી નાખવા તેમને અમ્પાયરો હરાવતા. શારજાહ માટે કહેવાતું કે ભારત માટે તે હાર જા છે. અટલજીની સરકાર વખતે શારજાહમાં ભારતીય ટીમે જવાનું બંધ કર્યું અને ૨૦૦૮ના મુંબઈ આક્રમણ પછી પાકિસ્તાન સાથે તેના કે ભારતમાં રમવાનું બંધ કર્યું.
૨૦૦૮ની આૅસ્ટ્રેલિયા સામેની એ ટેસ્ટ પછી કપ્તાન અનિલ કુંબલેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું, “માત્ર એક જ ટીમ રમતની ભાવના સાથે રમી રહી હતી.” તેના થોડા વખત પછી કુંબલેએ કહ્યું હતું કે “જો અમે ભારત પાછા આવી ગયા હોત તો લોકોએ તેને સ્વીકાર્યું હોત.” પ્રશ્ન એ છે કે આવ્યા કેમ નહીં?
આૅસ્ટ્રેલિયાના ક્રિકેટ સાથે સંકળાયેલા લોકોના મનમાં ભારત જ નહીં, એશિયાના લોકો પ્રત્યે જ ભેદભાવપૂર્ણ નીતિ છે. આઈસીસીએ શ્રીલંકાના સ્પિનર મુતૈયા મુરલીધરનની બાલિંગ ઢબને લીલી ઝંડી આપી દીધા પછીની વાત છે. ૧૯૯૮-૯૯માં આૅસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ત્રિરાષ્ટ્ર શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં આૅસ્ટ્રેલિયાના અમ્પાયર રાઝ એમર્સન વારે ઘડીએ મુરલીધરના દડાને ના બાલ જાહેર કરી રહ્યા હતા. આનાથી ગુસ્સે થઈને કપ્તાન અર્જુન રણતુંગા શ્રીલંકાના ખેલાડીઓને મેદાનમાંથી બહાર લઈ ગયો હતો. આવો વિરોધ ભારતની ટીમ ક્યારેય નથી કરી શકતી. કેમ? રણતુંગાને તેના દેશના ક્રિકેટ બાર્ડનો ટેકો હતો. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બાર્ડ કેમ આવી છૂટ નથી આપતું? જો ભારતીય ટીમ ન રમે, ભારતીય દર્શકો જુએ નહીં તો ક્રિકેટમાં કોઈને રસ ન પડે કારણ કે ક્રિકેટમાં કમાણી ભારતના બજારના કારણે જ થાય છે. તેમ છતાં ભારત દર વખતે નાનોમોટો વિરોધ કરીને ચૂપ રહી જાય?
માત્ર એશિયાઈ નહીં, બધા અશ્વેતો પ્રત્યે આૅસ્ટ્રેલિયાના ધોળિયાઓ આવો પૂર્વગ્રહ ધરાવે છે. અને તેને અમ્પાયરો અને આઈસીસીનો પણ સાથ મળી રહે છે. ૧૯૯૩માં વેસ્ટ ઇન્ડિઝ, પાકિસ્તાન અને આૅસ્ટ્રેલિયા એમ ત્રણ દેશો વચ્ચે વર્લ્ડ સીરિઝ ક્રિકેટ સ્પર્ધા આૅસ્ટ્રેલિયામાં રમાતી હતી. ફાઇનલ એક નહીં, ત્રણ હતી. આૅસ્ટ્રેલિયા અને વે. ઇન્ડિઝ ફાઇનલમાં આવી ચૂક્યા હતા. પહેલી ફાઇનલ ૧૬ જાન્યુઆરી ૧૯૯૩એ હતી. તેમાં કર્ટલી એમ્બ્રોસે ડેવિડ બૂનની પહેલી વિકેટ ૪૧ રનમાં ઝડપી હતી. નાચ ન જાને આંગન ટેઢાની જેમ ત્રીજા ક્રમે આવેલા ડીન જાન્સે અમ્પાયર ટેરી પ્રૂએને ફરિયાદ કરી કે આ એમ્બ્રાસના કાંડે સફેદ પટ્ટી બાંધેલી છે જેને અંગ્રેજીમાં રિસ્ટ બૅન્ડ કહે છે તે કાઢવા કહો. ટેરી પ્રૂએ પણ આૅસ્ટ્રેલિયાના જ હતા. તેમણે કર્ટલી એમ્બ્રાસને રિસ્ટ બૅન્ડ કાઢવા વારંવાર કહ્યું, એમ્બ્રાસ ના પાડતો હતો, પરંતુ પછી ટીમના સાથી ખેલાડીઓએ કહ્યું કે કાઢી નાખ ને, એમાં શું છે?
અને ડીન જાન્સને આ ભૂલ ભારે પડી કારણકે તે પછી એમ્બ્રાસ વધુ ઘાતક થઈ ગયો. એમ્બ્રાસે માત્ર ૩૨ રન આપી પાંચ વિકેટ ઝડપી. આૅસ્ટ્રેલિયા તે અને તે પછીની મેચ હારી ગયું. એમ્બ્રાસ શ્રેણીનો ખેલાડી એટલે કે મેન આૅફ ધ સીરિઝ બની ગયો.
ક્રિકેટ જેન્ટલમેન્સ ગેમ કહેવાય છે, પણ આૅસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન જેવા દેશો રમતા હોય ત્યારે એ હોતી નથી.