અમરેલી જિલ્લાના ખેડૂતોની જાણે કે માઠી દિશા બેઠી હોય તેમ પહેલા કમોસમી વરસાદે રાતા પાણીએ રોવડાવ્યા અને ત્યારબાદ ઉનાળામાં પડેલ કમોસમી વરસાદ બાદ વાવેતર કરતા ખેડૂતોને વીજતંત્રના પાપે ફરી વખત માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. આગોતરા વરસાદ વખતે પવનના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારબાદ છેલ્લા ઘણા દિવસથી વીજ પુરવઠો નિયમિત ન હોવાને કારણે આગોતરૂં વાવેતર કરેલ ખેડૂતોના બિયારણ ફેલ જવાની શક્યતાઓ ઊભી થઈ છે. જિલ્લાના તમામ વીજ ફીડરોમાં તાત્કાલિક ધોરણે મેન્ટેનન્સ કરી અને ખેતીવાડીમાં નિયમિત વીજ પુરવઠો આપવામાં આવે તે માટે અમરેલી કિસાન સંઘના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. આ તકે સાંગાભાઈ સાવલિયા, ધીરુભાઈ ધાખડ,ા સામતભાઈ જેબલિયા, લાલજીભાઈ વેકરીયા, બબાભાઈ વરુ સહિતના કિસાન અગ્રણીઓ હાજર રહ્યા હતા.