પર્યાવરણ જતનના સંકલ્પ સાથે અમરેલી જિલ્લામાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. સામાજિક વનીકરણ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા વિવિધ તાલુકાઓમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જિલ્લાના હરિત કવચમાં વધારો કરવાના આશયથી સામાજિક વનીકરણ રેન્જ સાવરકુંડલા હેઠળના પીઠવડી ગામે ‘કવચ વન ૨૦૨૫-૨૬’નું ખાતમુહૂર્ત થયું હતું. જી.એસ.આર.ટી.સી.ના રાજુલા વર્કશોપ ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જ્યાં ડેપો મેનેજર જોષી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલા સેશન્સ કોર્ટ ખાતે પણ જસ્ટિસની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંકલ્પ લેવાયો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની થીમ ‘Ending plastic pollution Globally’ હતી. આ થીમને અનુરુપ ૨૨ મે થી ૫ જૂન, ૨૦૨૫ સુધી જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમો અને પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.