ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના અકાળે મૃત્યુના કારણે આખો દેશ હચમચી ગયો છે. બુધવારે કુન્નુરમાં નિલગીરીના જંગલોમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે દેશના પ્રથમ સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત સહિત ૧૩ લોકોનાં મોત થયા છે. દુર્ઘટનાની જોણ થતાં જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હેલિકોપ્ટરના કાટમાળમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંથી એક બિપિન રાવત પણ હતા. ઘટના સમયે ત્યાં હાજર ગ્રામણી એક વ્યક્તિએ કહ્યું કે, પ્લેન ક્રેશ પછી પણ બિપિન રાવત જીવતા હતા. તેમણે ખૂબ ધીમા અવાજે હિન્દીમાં વાત કરી હતી અને તેમણે પાણી પણ માંગ્યું હતું.
સાક્ષી શિવકુમારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે, તે કોન્ટ્રાક્ટર છે. ગઈ કાલે જ્યારે આ ઘટના બની ત્યારે તે અને તેનો ભાઈ સાથે હતા અને ચાના બગીચામાં કામ કરતાં હતા. તેમણે હેલિકોપ્ટર ક્રેશ થતાં જોયું હતું. શિવકુમારે કહ્યું કે, પ્લેન ક્રેશ થઈને સળગવા લાગ્યું ત્યારે તેમાંથી ત્રણ લોકો કુદીને નીચે પડ્યા હતા પરંતુ તે લોકો પણ સળગી રહ્યા હતા. હેલિકોપ્ટર ક્રેશ થઈને નીચે પડતાં તે અને તેનો ભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ૯ મૃતદેહો હેલિકોપ્ટરના કાટમાળમાં દટાયેલા હતા જ્યારે ત્રણ લોકો થોડા દૂરના અંતરે જઈને પડ્યા હતા.
શિવકુમારે કહ્યું કે, કુલ ૧૪માંથી ૨ લોકો જીવતા હતા. તેમાંથી એક વ્યક્તિ પાણી માંગતા હતા. અમે આસપાસના ઘરોમાંથી ચાદર લાવીને તેમાં તેમને સુવાડ્યા અને હોસ્પિટલ લઈ જવાની વ્યવસ્થા કરતાં હતા. પરંતુ તે દરમિયાન જ તેમાંથી એક વ્યક્તિનું નિધન થઈ ગયું. ઘટનાના ત્રણ કલાક પછી મને કોઈકે કહ્યું કે, તમારી પાસે જે પાણી માંગતા હતા તેઓ જનરલ બિપિન રાવત હતા. તેમણે મને ઝ્રડ્ઢજીની તસવીર પણ બતાવી. મને વિશ્વાસ ના થયો કે, આ વ્યક્તિએ દેશ માટે કેટલું કર્યું છે અને છેલ્લી ઘડીએ એમને પાણી પણ ના મળ્યું. આ ઘટના જોયા પછી હું ગઈકાલે આખી રાત ઉંઘી જ નથી શક્યો.
દુર્ઘટના પછી ઘટના સ્થળ પર પહોંચેલા સીનિયર ફાયરમેન અને રેસ્ક્યુટીમના સભ્ય એનસી મુરલીએ જણાવ્યું કે, હેલિકોપ્ટર ક્રેશ પછી બે લોકો જીવતા હતા.તેમાંથી એક સીડીએસ રાવત પણ હતા. મુરલીએ કહ્યું કે, અમે એમને બહાર કાઢ્યા ત્યારે તેમણે રેસ્ક્યુ ટીમ સાથે હિન્દીમાં ધીમા અવાજે વાત કરી હતી અને તેઓ તેમનું નામ બોલ્યા હતા. તેઓ નીચેના ભાગે ખૂબ જ દાઝી ગયા હતા. તેથી અમે તેમને ચાદરમાં લપેટીને હોસ્પિટલ લઈ જતા હતા તે દરમિયાન જ તેમનું મોત થયું હતું.
દરમિયાન તમામ મૃતકોના પાર્થિવદેહને આર્મી હોસ્પિટલથી મદ્રાસ રેજિમેન્ટ સેન્ટર લઈ જવાયા છે. અહીંથી રાવત અને એમના પત્ની મધુલિકાના પાર્થિવદેહને દિલ્હી લવાશે. આ દરમિયાન પાર્થિવદેહને લઈને જઈ રહેલી એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે, જેમા કેટલાક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે.