ભાજપના સિનિયર નેતા અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દિલ્હીથી વડોદરા ટ્રેનમાં આવી રહ્યા હતા. આ દરમિયાન વચ્ચેથી તેમનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હોવાની ઘટના ઘટી છે. ટ્રેનમાં સાંસદો માટે સુરક્ષા વ્યવસ્થા સાથેનો અલાયદો ડબ્બો હોવા છતાં ફોન કેવી રીતે ચોરી થયો અને સાંસદોનાં ફોન ચોરી થતા હોય તો સામાન્ય પ્રજોની સુરક્ષાનું શું તેવા પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે.
વધુ વિગત અનુસાર ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવા વીવીઆઈપી કોચમાં દિલ્હીથી વડોદરા આવી રહ્યાં હતાં. સફર દરમિયાન રાજસ્થાન આવતા તેમના કમ્પાર્ટમેન્ટ માંથી તેમનો સ્માર્ટ ફોન ચોરી થઇ ગયો હતો. સાંસદ મનસુખભાઈએ મોબાઈલ શોધ્યો પરંતુ તે મળ્યો નહિ એટલે એમણે રેલ્વેમાં હાજર સુરક્ષા ગાર્ડને ફરિયાદ કરી તો ગાર્ડ દ્વારા જરૂરી સંબંધિત આધિકારીઓનો સંપર્ક કરીને સાંસદની ફરિયાદ નોંધવામાં આવી હતી.તેમનો મોબાઈલ ટ્રેસ કરવામાં આવતા મોબાઈલનું છેલ્લું લોકેશન રાજસ્થાન કોટા બતાવતા સુરક્ષા ગાર્ડ દ્વારા કોટા રાજસ્થાનમાં આવેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની વાત કરી પરંતુ સાંસદે રાજસ્થાનમાં જઈને ફરિયાદ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું. રેલ્વેમાં ફર્સ્‌ટ ક્લાસ કેટેગરીમાં વીવીઆઈપી સુવિધાઓ હોય છે અને સુરક્ષા પણ શ્રેષ્ઠ હોય છે. જો સાંસદ મનસુખભાઈ વસાવાનો મોબાઈલ ટ્રેન માંથી ચોરી થતો હોય તો એ નવાઈની વાત જરૂર કહેવાય. સામાન્ય ડબ્બાઓમાં ભીડમાં કેટલી ચોરીઓ થતી હશે તે અંગે વિચારી શકાય છે.