અમદાવાદના વાસણા વિસ્તારમાં શ્યામલ ચાર રસ્તા પાસે પાન-સિગારેટની દુકાન ચલાવતા ૨૮ વર્ષીય યુવકે મંગળવારે રાત્રે આપઘાત કરી લીધો હતો. ૬ યુવકો દ્વારા સતત માનસિક ત્રાસ, માર મારવો, જાનથી મારી નાખવાની ધમકી તથા દુકાન બંધ કરાવી દેવાની ધમકીઓથી કંટાળીને યુવકે જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત પહેલાં તેણે મિત્રોને વાટ્સએપ પર મોકલેલી સુસાઈડ નોટમાં ૬ આરોપીઓના નામ તથા તેમના ત્રાસની વિગતવાર વાત લખી હતી. આશ્ચર્યજનક રીતે આ નોટમાં ભારતીય જનતા પાર્ટીના એક મોટા નેતાના ભત્રીજાનો પણ સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સુસાઈડ નોટમાં ઉલ્લેખ કરેલા આરોપીઓમાં રાજ સુખવાસીયા,માનવ ઠક્કર,મિહિર દેસાઈ,ઉમંગ નરેશભાઈ દેસાઈ,તીર્થ પ્રધાન અને નીલ ઠાકરનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ આરોપીઓ હાલ ફરાર છે અને વાસણા પોલીસે તેમની ધરપકડ માટે અલગ-અલગ ટીમો રચી છે. સીસીટીવી ફૂટેજ તથા મોબાઈલ લોકેશનના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.મૃતક યુવકના પરિવારજનોએ જણાવ્યું કે, થોડા મહિના પહેલા મૃતકના ભાઈના દીકરા સાથે આ ૬ યુવકોની મારામારી થઈ હતી. એ પછી પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. આરોપીઓને લાગ્યું કે મૃતક યુવકે જ પોલીસને બાતમી આપી છે, જેના કારણે તેઓ તેની સાથે અદાવત રાખવા લાગ્યા.
સુસાઈડ નોટમાં યુવકે લખ્યું છે કે “થોડા મહિના પહેલા મારા ભાઈના છોકરા સાથે મારામારી થઈ ત્યારથી બધું શરૂ થયું. સમાધાનની વાત કરવા છતાં એક આરોપીએ મારા ભત્રીજાને માર માર્યો અને પછી દુકાને આવીને કહ્યું કે ‘મેં તારા ભત્રીજાને માર્યો છે.’ એ જ રાત્રે મને બોલાવીને ગાલ પર થપ્પડ મારી. ત્યારથી માનસિક ટાર્ચર શરૂ કર્યું. મારા પપ્પા બે નંબરનો ધંધો કરે છે એવું કહીને બદનામ કરે, દુકાન બંધ કરાવી દઈશ એવી ધમકી આપે.”યુવકે વધુમાં લખ્યું, “એક વખત એ લોકો દારૂ પીને દુકાને આવ્યા હતા, પોલીસે બીજે રસ્તે પકડી લીધા. મેં ફોન કરીને કહ્યું હતું કે પાનના ગલ્લેથી કોઈ બાતમી નથી અપાઈ, પણ એ લોકો ઊંધું સમજીને મને જ માનસિક ત્રાસ આપતા હતા. હવે મારી પાસે બીજા કોઈ રસ્તો નથી.”અંતે તેણે લખ્યું, “હવે હું જાઉં છું, તમે બધા શાંતિથી રહેજા. સોરીપ જીવન એક જ વાર મળે છે, પણ આ લોકોએ મારું જીવવાનું હરામ કરી નાખ્યું.”









































