વિજપડીની પીજીવીસીએલ કચેરીમાં સ્ટાફની અછત અને વીજળી પુરવઠામાં અનિયમિતતાથી ખેડૂતોની સમસ્યા ગંભીર બની છે. કચેરીમાં માત્ર ૪૦% લાઇન સ્ટાફ હોવાથી બાવન ગામોમાં અપૂરતો સ્ટાફ વીજળીના ફોલ્ટને તાત્કાલિક રીપેરીંગ કરી શકતો નથી. આના કારણે ખેડૂતોને બે-બે દિવસ સુધી વીજળી મળતી નથી, જેને કારણે તેમના મોંઘા બિયારણના વાવેતર અને સિંચાઈ માટે ગંભીર સમસ્યા સર્જાઈ છે.ખેડૂતો છેલ્લા એક મહિનાથી સમયસર અને સતત વીજળી પુરવઠો ન મળવાને કારણે પરેશાન છે. અગાઉના વાવાઝોડા અને વરસાદથી થયેલ નુકસાન બાદ, નવા વાવેતર અને સિંચાઈ માટે વીજળીની તાતી જરૂરીયાત છે. જો સમયસર સિંચાઈ નહીં થાય તો પાક બળી જવાનો ભય છે. ખેડૂત અગ્રણી અમાન અલી રસભર્યાએ રાજ્યના વીજ અને કૃષિ મંત્રી, સ્થાનિક ધારાસભ્ય અને સાંસદને આ મામલે ગંભીરતાથી નોંધ લેવા અને વિજપડી સબ-ડિવિઝન હેઠળના ફીડરોના સમારકામ માટે PGVCL વિભાગને તાકીદ કરી છે. ચોમાસા પહેલા આ સમારકામ થાય તે અત્યંત જરૂરી છે, જેથી ખેડૂતોને તેમના પાક બચાવવામાં મદદ મળી શકે.