ઈડીએ જણાવ્યું હતું કે તેણે ૧૨ માર્ચે ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને બેંગલુરુમાં ૧૯ પરિસરમાં કરવામાં આવેલી દરોડા દરમિયાન ૯૦ બેંક ખાતાઓ ફ્રીઝ કર્યા છે અને ડિજિટલ અને દસ્તાવેજી પુરાવાના રૂપમાં ગુનાહિત સામગ્રી જપ્ત કરી છે. આ દરોડા આઇડીએફસી ફર્સ્ટ બેંક કૌભાંડના સંદર્ભમાં ચંદીગઢ, મોહાલી, હરિયાણાના પંચકુલા અને ગુડગાંવ અને કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કરવામાં આવેલા દરોડાના ભાગ રૂપે હતા. આ કૌભાંડમાં હરિયાણા સરકાર, ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સરકારી ખાતાઓના ?૫૯૭ કરોડના જાહેર ભંડોળની ઉચાપત કરવામાં આવી હતી.
ઈડીએ જણાવ્યું હતું કે, ૫૯૭ કરોડની રકમ બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે રાખવાની હતી. જાકે, આરોપીઓએ પરવાનગી વિના આ સરકારી ભંડોળનો દુરુપયોગ કર્યો હતો.” આ દરોડામાં ભૂતપૂર્વ બેંક કર્મચારીઓ રિભવ ઋષિ અને અભય કુમાર, તેમના પરિવારના સભ્યો, સ્વસ્તિક દેશ પ્રોજેક્ટ્‌સ, કેપ્કો ફિનટેક સર્વિસિસ અને મા વૈભવ લક્ષ્મી ઇન્ટીરિયર્સ,એસઆરઆર પ્લાનિંગ ગુરુઝ પ્રાઇવેટ લિમિટેડ જેવી લાભાર્થી શેલ એન્ટીટી, સાવન જ્વેલર્સ જેવા જ્વેલર્સ અને વિક્રમ વાધવા જેવા રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને તેમની વ્યવસાયિક સંસ્થાઓને લક્ષ્ય બનાવવામાં આવી હતી.
ઈડીએ ફેબ્રુઆરી ૨૦૨૬ માં દાખલ કરાયેલી એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી હતી. એફઆઈઆરમાં આઈડીએફસી બેંક અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં હરિયાણા વિકાસ અને પંચાયત વિભાગના બેંક ખાતાના બેલેન્સમાં મેળ ખાતો ન હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ દ્વારા ઉચાપત કરાયેલ જાહેર ભંડોળ ઘણી શેલ કંપનીઓ દ્વારા વાળવામાં આવ્યું હતું. મોડસ ઓપરેન્ડીમાં સ્વસ્તિક દેશ પ્રોજેક્ટ્‌સ પ્રાઇવેટ લિમિટેડ નામની શેલ કંપનીની રચનાનો સમાવેશ થતો હતો, અને શરૂઆતમાં આ ખાતામાં મોટી રકમ સરકારી ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.
ઈડીએ જણાવ્યું હતું કે, “મોટાભાગના ભંડોળ જ્વેલર્સના બેંક ખાતાઓ દ્વારા નકલી બિલનો ઉપયોગ કરીને સોનાની ખરીદીનો ભ્રમ બનાવવા માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ કૌભાંડ લગભગ એક વર્ષથી ભૂતપૂર્વ બેંક કર્મચારીઓની મદદથી ચાલી રહ્યું હતું. આઈડીએફસી ફર્સ્ટ બેંકના ભૂતપૂર્વ કર્મચારી રિભવ ઋષિએ બેંક ભંડોળની ઉચાપત કરવા માટે વિવિધ શેલ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો. તેમણે જૂન ૨૦૨૫ માં આઈડીએફસી ફર્સ્ટ બેંકમાંથી રાજીનામું આપ્યું હતું. ગુનામાંથી મળેલી કેટલીક રકમ રિભવ ઋષિ અને તેની પત્ની દિવ્યા અરોરાના બેંક ખાતાઓમાં પણ ટ્રાન્સફર કરવામાં આવી હતી.”
ઇડીએ જણાવ્યું હતું કે મોહાલીમાં અનેક પ્રોજેક્ટ્‌સ ચલાવતા હોટેલિયર અને રિયલ એસ્ટેટ ડેવલપર વિક્રમ વાધવાએ પણ મોટી રકમની ઉચાપત કરી હતી. વિક્રમ વાધવાએ ગુનામાંથી મળેલી રકમ સીધી તેના બેંક ખાતામાં મેળવી હતી અને ત્યારબાદ પ્રિઝ્મા રેસીડેન્સી એલએલપી, કિન્સપાયર રિયલ્ટી એલએલપી અને માર્ટેલ બિલ્ડવેલ એલએલપી સહિત વિવિધ રિયલ એસ્ટેટ કંપનીઓમાં ભંડોળ ટ્રાન્સફર કર્યું હતું. આ બધી એન્ટીટીઓની તપાસ કરવામાં આવી હતી, અને રિયલ એસ્ટેટ રોકાણોને લગતા દસ્તાવેજા જપ્ત કરવામાં આવ્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે તેણે સાવન જ્વેલર્સ, કેપ્કો ફિનટેક સર્વિસીસ, ક્લીટા જ્વેલર્સ અને સ્વસ્તિક દેશ પ્રોજેક્ટ્‌સ જેવી શેલ કંપનીઓનો ઉપયોગ બેંક ફંડની ઉચાપત કરવા માટે કર્યો હતો.
સર્ચ ઓપરેશન દરમિયાન વિક્રમ વાધવા શોધી શકાયા ન હતા અને છેતરપિંડીનો ખુલાસો થયો ત્યારથી તે ફરાર છે. ઇડીએ જણાવ્યું હતું કે તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ચંદીગઢ મેગા સ્ટોર નામની એન્ટીટી દ્વારા મળેલી મોટી રકમ આરોપીઓ દ્વારા ઉચાપત કરવામાં આવી હતી. “તપાસ દરમિયાન સ્ટોરના ભાગીદાર મોહિત ગોયલની પણ ધરપકડ કરવામાં આવી હતી, અને ભંડોળના દુરુપયોગ સંબંધિત પુરાવા મળી આવ્યા હતા,” ઈડીએ જણાવ્યું હતું. અન્ય સંસ્થાઓમાં મા વૈભવ લક્ષ્મી ઇન્ટીરિયર્સ અને એસઆરઆર પ્લાનિંગ ગુરુસ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ પર પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ સંસ્થાઓએ સીધા સરકારી ખાતાઓમાંથી ભંડોળ મેળવ્યું હતું અને ત્યારબાદ તેને અન્ય નકલી સંસ્થાઓમાં ટ્રાન્સફર કર્યું હતું, જેની તપાસ ચાલી રહી છે.