સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં એક ભયાનક ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. જિલ્લા પંચાયતના સદસ્યના પુત્ર અને ભાજપના યુવા પ્રમુખ સત્યજીતસિંહ પરમાર પર નિવૃત્ત પોલીસ કર્મચારી દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં સત્યજીતસિંહને પગમાં ગંભીર ઈજા થઈ છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના કાર પાર્કિંગના નાનકડા મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલીથી શરૂ થઈ હતી.આ બોલાચાલી ઝડપથી વધીને જૂની અદાવતમાં પરિવર્તિત થઈ ગઈ.નિવૃત્ત પોલીસ કર્મચારીએ ગુસ્સામાં આવીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી માથાની નજીકથી મિસ ફાયર થઈ ગઈ, જ્યારે બીજી ગોળી સત્યજીતસિંહના પગમાં વાગી હતી.આ ગોળીબારથી સત્યજીતસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટના બન્યા બાદ તાત્કાલિક સ્થાનિક લોકોએ સત્યજીતસિંહને મૂળી ખાતેની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈને પ્રાથમિક સારવાર અપાવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને સુરેન્દ્રનગરની ટી.બી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે અને આરોપી નિવૃત્ત પોલીસ કર્મચારીની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે.