ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાક છુટોછવાયો તો ક્યાક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે ૨૬ મે સુધી વરસાદી માહોલ રહેશે. અમરેલી જિલ્લામાં પણ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જિલ્લમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતુ. અચાનક વાતાવરણમાં આવેલા પલટાના કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ભારે પવન સાથે વરસેલા આ અનરાધાર વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અમરેલી તાલુકામાં સવારના સમયે જોરદાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલા શહેર પાણી-પાણી થઈ ગયું હતું અને વરસાદના કારણે ચેકડેમ પણ ઓવરફ્‌લો થયાના અહેવાલ છે. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉનાળુ પાક અને કેરીના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. તો રાજુલામાં સવારના ૧૦ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થતાં કામે જઈ રહેલા સૌ કોઈને થંભી જવું પડ્‌યું હતું. અચાનક આવેલા આ કમોસમી વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. લોકોએ આશ્રય શોધવા માટે દોડાદોડ કરવી પડે તેવો માહોલ સર્જાયો હતો. બગસરામાં પણ સવારના ૧૧ વાગ્યે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને લગ્ન પ્રસંગમાં તકલીફ પડી રહી છે. વરસાદથી ખાબોચીયા ભરાઈ જતા રોગચાળો માથુ ઉંચકે તેવી ભીતિ સેવાઈ રહી છે.