અમરેલીના સરદાર ચોકમાં વસતા વેપારી પ્રતાપભાઈ ચુનીભાઈ માધાણી (ઉં.વ.૫૮)નું તા.૧૨-૦૬-૨૦૨૫ રોજ અવસાન થતાં તેમના મોટાભાઈ નાથાભાઈ માધાણી તેમજ પુત્રો મેહુલભાઈ તથા હર્ષભાઈ, ભત્રીજા હિરેન દ્વારા મૃતકનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. માધાણી પરિવારે રાજન ગઢિયા તેમજ નટુભાઈના માધ્યમથી ચક્ષુદાન માટે અમરેલી વિસ્તારમાં સેવારત સંસ્થા સંવેદન ગૃપનો સંપર્ક કરી ચક્ષુદાન લેવા જણાવેલ. નવજીવન હોસ્પિટલ ખાતે આ નેત્રદાન સ્વીકારવા માટે ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી સાથે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલ વ્યાસ તથા કુલદીપ જાડેજાએ સેવા આપી હતી. સ્વ. પ્રતાપભાઈનાં મોટા પુત્ર મેહુલ જન્મથી અંધ હોય માધાણી પરિવાર આંખોનું મૂલ્ય સમજે છે. માધાણી પરિવારે સ્વજનના મૃત્યુ બાદ ત્રીજી વખત નેત્રદાન કર્યું છે. માધાણી પરિવારની સમયસરની જાગૃતિ બે અંધજનોના જીવનમાં રોશની લાવશે, તેમજ મૃત્યુ બાદ ચક્ષુદાન માટે સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પુરું પાડ્‌યું છે તેમ સંસ્થાના મંત્રી મેહુલ વાઝાએ જણાવ્યું છે.