સૌરાષ્ટ્રમાં તપસ્વીની ભૂમિ એટલે બગદાણામાં બાપા સીતારામનું ભવ્ય મંદિર છે. જ્યાં સમગ્ર ગુજરાત, દેશ અને વિદેશના શ્રદ્ધાળુઓ બારેમાસ દર્શન કરવા માટે આવે છે. હજારોની સંખ્યામાં લોકો આ રસ્તા ઉપરથી પસાર થાય ત્યારે ઉંટની સવારીનો અહેસાસ થાય છે. બે વર્ષથી ઠાડચથી રોસિયા સુધીનો ફોર લેન રોડ રૂ. નવ કરોડના ખર્ચથી પાસ થયેલ હોવા છતાં પણ તંત્રના પાપે ટેન્ડર બહાર પાડવામાં આવતું નથી અને ભક્તો-સેવકોને હેરાન થવું પડે છે. અવારનવાર નાના મોટા અકસ્માતો થાય છે. કેટલાક લોકો હાથ-પગ અને જીવ પણ ગુમાવે છે. રાળગોનનું નાળુ બેસી ગયેલ છે, આથી વહેલી તકે સામાજિક-રાજકીય આગેવાનો આ રસ્તાનું અને નાળાનું કામ કરાવે તેવી લોકોમાં માગ ઉઠી છે. જો આ રસ્તો તાત્કાલિક બનાવવામાં નહીં આવે તો લોકો રસ્તો રોકો આંદોલન અને ઉપવાસ ઉપર બેસીને રામધૂન કરીને તંત્રને ઉઘાડું પાડશે.