આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ ગૌરવ ગોગોઈ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સામે ૫૦૦ કરોડનો કેસ દાખલ કર્યો છે. જીતેન્દ્ર સિંહ, ભૂપેશ બઘેલ અને ગૌરવ ગોગોઈ વિરુદ્ધ ૫૦૦ કરોડનો માનહાનિનો દાવો દાખલ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અને તેમના પરિવારની સંપત્તિ અંગે કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા આરોપો બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કેસ ૪ ફેબ્રુઆરીના રોજ ગુવાહાટીમાં યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદથી શરૂ થયો હતો. આસામ કોંગ્રેસના પ્રમુખ ગૌરવ ગોગોઈએ દાવો કર્યો હતો કે પાર્ટીની આંતરિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્યમંત્રી અને તેમના પરિવાર પાસે રાજ્યભરમાં આશરે ૧૨,૦૦૦ વિઘા જમીન છે. શર્માએ આ દાવાઓને સંપૂર્ણપણે “ખોટા, દ્વેષપૂર્ણ અને બદનક્ષીભર્યા” ગણાવ્યા છે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આ કાનૂની કાર્યવાહીની જાહેરાત કરતા કહ્યું હતું કે, “આજે મેં કોંગ્રેસના નેતાઓ જીતેન્દ્ર સિંહ, ભૂપેશ બઘેલ અને ગૌરવ ગોગોઈ વિરુદ્ધ ૫૦૦ કરોડના નુકસાનની માંગણી કરતો માનહાનિનો દાવો દાખલ કર્યો છે, જેમણે પ્રેસ કોન્ફરન્સ દ્વારા મારા વિરુદ્ધ ખોટા અને દ્વેષપૂર્ણ આરોપો લગાવ્યા છે.”
ગૌરવ ગોગોઈએ સોમવારે બીજી એક પ્રેસ કોન્ફરન્સમાં પોતાના વીડિયો દ્વારા મુખ્યમંત્રી પર મુસ્લીમો સામે “નરસંહાર ઉશ્કેરવાનો” આરોપ લગાવ્યો અને માંગ કરી કે પોલીસ આ મામલાની સ્વતઃ નોંધ લે. વીડિયોમાં મુખ્યમંત્રી શર્મા બે વ્યક્તિઓ પર રાઈફલ તાકી રહ્યા હોવાનું જણાવાયું છે. એક વ્યક્તિએ ટોપી પહેરી હતી અને બીજાએ દાઢી રાખી હતી. વીડિયોનું કેપ્શન “પોઈન્ટ-બ્લેન્ક શોટ” હતું. ગોગોઈએ કહ્યું, “મુખ્યમંત્રી એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવીને નફરત ફેલાવી રહ્યા છે. આ નરસંહાર માટે સીધી ઉશ્કેરણી છે.” તેમણે “મિયાન” સમુદાય વિરુદ્ધ મુખ્યમંત્રીના તાજેતરના નિવેદનોની પણ નિંદા કરી. કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીની યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો અને તેમના રાજીનામાની માંગ કરી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પદની ગરિમા વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે “ધર્મનિરપેક્ષ” હોવાનો ડોળ કર્યો હતો, પરંતુ હવે તેઓ ફક્ત રાજકારણ રમી રહ્યા છે.







































