ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૩ ટેસ્ટ મેચની સિરીઝનો ત્રીજા મુકાબલો મુંબઈમાં ૧ નવેમ્બરથી રમાશે. કીવી ટીમ બેંગલુરૂ અને પુણે ટેસ્ટ જીતીને સિરીઝ પોતાના નામે કરી ચૂકી છે. હવે ભારતીય ટીમની નજર ક્લીન સ્વીપથી બચવા પર છે. ન્યૂઝીલેન્ડે ભારતને હરાવી ઈતિહાસ રચ્યો છે. ભારતે ૧૨ વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. હવે રોહિત શર્માની ટીમ ક્લીન સ્વીપથી બચવા મેદાનમાં ઉતરશે.
ન્યૂઝીલેન્ડ ત્રણ કે વધુ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારતમાં ક્લીન સ્વીપ કરનારી પ્રથમ ટીમ બની શકે છે. ભારતના ટેસ્ટ ઈતિહાસમાં ક્યારેય આવું બન્યું નથી. કોઈ ટીમે ભારતમાં ક્લીન સ્વીપ કરી નથી. ન્યૂઝીલેન્ડ પાસે આ તક છે. હવે જાવાનું છે કે ભારતીય ટીમ કઈ રીતે વાપસી કરે છે.
ભારત છેલ્લે ૨૦૦૦માં ઘરેલુ મેદાન પર કોઈ સિરીઝમાં એકપણ ટેસ્ટ મેચ જીતી શક્યું નહોતું. સાઉથ આફ્રિકાએ ત્યારે બે મેચની સિરીઝ ૨-૦થી જીતી હતી. તે સમયે સચિન તેંડુલકર કેપ્ટન હતા. આ સિરીઝમાં ભારત ચાર ઈનિંગમાં ૨૫૦નો આંકડો પણ પાર કરી શક્યું નહીં. તે સમયે સાઉથ આફ્રિકાના કેપ્ટન હેન્સી ક્રોનિએ હતા.
ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની વાત કરીએ તો છેલ્લે ભારત ૧૯૯૭માં શ્રીલંકા વિરુદ્ધ એકપણ મેચ જીતી શક્યું નહીં. તે સમયે પણ સચિન ટીમનો કેપ્ટન હતો અને શ્રીલંકાની કમાન અર્જુન રણતુંગાએ સંભાળી હતી. રોહિત શર્મા એન્ડ કંપનીની નજર આ ખરાબ રેકોર્ડથી બચવા પર છે. આ સિવાય વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલની દ્રષ્ટિએ પણ અંતિમ ટેસ્ટ ખુબ મહત્વની છે. તેવામાં વાનખેડેની પિચ કેવી હશે તેના પર પણ બધાની નજર રહેશે.