મહુવા તાલુકાના બોરડી ગામની વાડી વિસ્તારમાં સિંહનો મૃતદેહ મળ્યો. સિંહનું વીજશોકથી મોત થયાનું સામે આવતા વન વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અગાઉ પણ શોક લાગવાના કારણે મહુવા પંથકમાં સિંહનું મોત થયાનું સામે આવ્યું હતું. મહુવા તાલુકાના બોરડી ગામે એક સિંહને વીજશોક લાગતા મોત થયાના સમાચાર મળતા તાત્કાલિક વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. સિંહોના વધતા જતા મોત મામલે વનવિભાગના સ્થાનિક અધિકારીઓ મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. સિંહ મરવાના બનાવને લઇને ખેડૂત તેમજ ગામના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જંગલ ખાતા દ્વારા અવનવી તપાસ આદરવામાં આવી તેમજ આજુબાજુના લોકેશન જોવાની કામગીરી કરવામાં આવી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટૂંકા ગાળામાં સિંહ મરવાની આ બીજી ઘટના સામે આવી છે.