બનાસકાંઠા જિલ્લાના ૨ ભાગ કરીને નવા થરાદ જિલ્લાની જાહેરાત થતાં જ થરાદ જિલ્લામાં સામેલ કરાયેલા કાંકરેજ તાલુકાના લોકોએ શરૂ કરેલા વિરોધમાં હવે ભાજપના નેતા પણ જોડાયા છે. જી હા, થરા એપીએમસીના પૂર્વ ચેરમેન અને ભાજપના નેતા અણદાભાઈ પટેલે મુખ્યમંત્રી પત્ર લખીને રજૂઆત કરી છે તેમના તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. તેઓ નવા બનાવેલા થરાદ જિલ્લામાં જવા માગતા નથી. અણદાભાઈ પટેલે લખ્યું છે કે, કાંકરેજ તાલુકાના લોકોને થરાદ સુધી જવામાં ૧૦૦ કિલોમીટરનું અંતર થઈ જાય છે. બેંક, ડેરી અને જિલ્લાની સંસ્થાઓ પાલનપુરમાં આવેલી હોવાથી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની રજૂઆત કરી છે. તેમણે મુખ્યમંત્રી લખેલા પત્રમાં લખ્યું છે કે બનાસકાંઠા જિલ્લો સારી નામના ધરાવે છે તેને નાનો કરીને થરાદ જિલ્લાને મોટો શા માટે બનાવવામાં આવી રહ્યો છે તે સમજણની બહાર છે. મહત્વનું છે કે ધાનેરા અને દિયોદર તાલુકાના લોકોએ પણ થરાદ જિલ્લામાં જવાની ના પાડી છે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ કાંકરેજ વિસ્તારને નવા વાવ -થરાદ જિલ્લામાં સમાવેશ કરતા કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા સ્થાનિકો અને કોંગ્રેસના નેતાઓ વિરોધ કરી માંગ કરી રહ્યા છે ત્યારે કાંકરેજ ભાજપના પીઠ નેતા અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવાત રાખવા માંગ કરી છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કાંકરેજ તાલુકાના ધનેરા અને રાનેરને થરાદ સુધી જવામાં ૧૦૦ કિલોમીટરનું અંતર થાય છે, બેંક, ડેરી અને જિલ્લાની સંસ્થાઓ પાલનપુરમાં આવેલી હોવાથી કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં જ રાખવો જોઈએ.
કાંકરેજના ભાજપના નેતા અણદાભાઈએ કહ્યું કે આ જિલ્લાનું વિભાજન કરતા પહેલા અમારા કાંકરેજના કોઈ નેતા કે મારુ મંતવ્ય લેવાયું નથી અને નિર્ણય કરી દેવાયો છે. અમારા આ વિસ્તારના લોકોને થરાદ જવું ખૂબ જ અઘરું પડે છે. અમારી ઓળખ બનાસ નદીના કારણે છે. અમારો વ્યવહાર પાલનપુર સાથે છે, જેથી અમને મૂળ બનાસકાંઠામાં જ રાખવા જાઈએ. લોકોમાં આક્રોશ છે જેથી મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તો ગૃહમંત્રી અમિતશાહ અને પ્રધાનમંત્રીને પણ રજુઆત કરી છે. આ કોઈ રાજકીય રીતે ન જોઈ બીજા ભાજપના આગેવાનોએ પણ આગળ આવવું જોઈએ. જો અમને બનાસકાંઠામાં યથાવત ન રાખે તો પાટણ જિલ્લામાં સમાવેશ કરે પણ અમારે થરાદમાં જવું નથી. લોકોમાં રોષ છે અમે રજુઆત કરી છે અમને વિશ્વાસ છે કે અમારી માંગ જરૂર સ્વીકારશે.
બનાસકાંઠા જિલ્લાના વિભાજનના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. શિહોરી બાદ થરા આજે સજ્જડ બંધ રહ્યું. કાંકરેજ તાલુકાનો વાવ-થરાદમાં સમાવેશ કરાતા વિરોધના વંટોળ ઉઠ્‌યા છે. કાંકરેજ વિસ્તારના લોકો નવા જિલ્લાના વિભાજનનો સતત વિરોધ કરી રહ્યાં છે. કાંકરેજને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરવામાં આવી છે. આજે થરા બહુચર માતાના મંદિરે બેઠક મળી હતી. વિસ્તારના ધારાસભ્ય, વેપારીઓ અને સ્થાનિકો એકઠા થયા હતા. અમૃતજી ઠાકોરે સ્થાનિકો સાથે બેઠક કરી હતી. કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે લોકો મક્કમ બનાવી. માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી કરી છે.
ગઈકાલે કાંકરેજના શિહોરીમાં બજારો બંધ રાખ્યા બાદ આજે કાંકરેજના થરામાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને વિરોધ વ્યક્ત કરતા આક્રોશ ઠાલવ્યો છે. લોકોનું કહેવું છે કે, અમારી સાથે અન્યાય થયો છે અમારે મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે અમારે વાવ-થરાદમાં નથી જવું.