ગુજરાતમાં બે ગમખ્વાર અકસ્માત સર્જાયા છે. જેમાં કુલ પાંચ બોર્ડના વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. પાંથાવાડા નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં બે વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા છે. બંને વિદ્યાર્થીઓ બાઈક પર ધોરણ ૧૨ની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. આ વિદ્યાર્થીઓના કરુણ મોત થતા પરિવારમાં માતમનો માહોલ છવાયો છે. સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ તાપીમાં પણ બોર્ડની પરીક્ષા આપીને આવતા વિદ્યાર્થીઓનો કરૂણ અકસ્માત થયો છે. જેમાં ત્રણ વિદ્યાર્થીના મોત નીપજ્યા છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, પૂરપાટ ઝડપે આવતા ટ્રેલરે બાઈક સવાર વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. બોર્ડની પરીક્ષા આપવા જતા સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાતસણ અને ગુંદરી ગામના આશાસ્પદ વિદ્યાર્થીઓના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતક વિદ્યાર્થીઓના નામ લાલાભાઈ વિહાભાઈ ચૌધરી (ઉંમર ૧૭ વર્ષ, રહે. સાતસણ) જગદીશસિંહ શેરસિંહ રાજપૂત (ઉંમર ૧૭ વર્ષ, રહે. ગુંદરી)
તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર એક અકસ્માત સર્જાયો છે. અહીં બે બાઈક સામસામે અથડતાં ત્રણ વિદ્યાર્થીના કરૂણ મોત નીપજ્યા છે. ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપીને પરત ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો. ગમખ્વાર અકસ્માતના બનાવમાં એક વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ  ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તાપી જિલ્લાના ઉચ્છલ-નિઝર હાઈવે પર નિઝર સીમમાં બે બાઈક વચ્ચે ભયંકર ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ખતરનાક હતી કે, અકસ્માત બાદ બાઈકમાં આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં ત્રણ કિશોરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતક યુવકો કુકરમુંડા તાલુકાના ગંગથા અને બોરીકુવા ગામના રહેવાસી છે. અકસ્માતના બનાવને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલે જાણ થતાં નિઝર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતકોના નામ પિયુશ રાજુ વળવી (રહે. બોરીકુવા), અનિકેત રેહમાનસીંગ વસાવે (રહે. ગંગથા) અભિજીત મંગલસીંગ વસાવે (રહે. ગંગથા)