(એ.આર.એલ),મુંબઇ,તા.૧૩
મુંબઈમાં એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ખળભળાટ મચ્યો છે. શનિવાર મોડીરાત્રે બાંદ્રા ઈસ્ટમાં ૩ શૂટરોએ ફાયરિંગ કરીને તેમની હત્યા કરી દીધી છે. આ હત્યાની જવાબદારી લોરન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ હત્યાકાંડા બાદ તાત્કાલિક અસરથી સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષા વધારી દેવાઈ છે. સલમાન ખાન પહેલાથી જ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે. આખરે આ દુશ્માવટ કેવી છે તેના પર નજર કરીએ.
એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મુંબઈ પોલીસ ૩ અેંગલ પર તપાસ કરી રહી છે. બિશ્નોઈ ગેંગના અેંગલની દિલ્લી પોલીસ તપાસ કરશે. મૃતક સિદ્દીકીને ૧૫ દિવસ પહેલા ધમકી અપાઈ હતી. ધમકી મળ્યા બાદ બાબા સિદ્દીકીને રૂ કેટેગરીની સુરક્ષા અપાઈ હતી. શૂટરોએ સિદ્દીકીના ઘર, ઓફિસની રેકી કર્યાનો ખુલાસો કર્યો છે. યુપીથી હથિયાર લાવ્યા હોવાનો પકડાયેલા શૂટરોનો દાવો કરાયો છે. આ હત્યા બાદ અભિનેતા સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારાઈ છે. તેમજ મુખ્યમંત્રી એકનાથ શિંદેની પણ સુરક્ષા વધારાઈ છે. સિદ્દીકી મર્ડર કેસ માટે ૪ સ્પેશિયલ ટીમ બનાવાઈ છે. ક્રાઈમબ્રાંચની ૧૨ ટીમ ફરાર આરોપીને શોધવામાં લાગી છે. બે શૂટરની ક્રાઈમ બ્રાંચ ગતરાતથી પૂછપરછ કરી રહી છે. બંને શુટર પૂછપરછમાં વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યાં છે.ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ બોલીવુડના ભાઈજાન સલમાન ખાનને પોતાનો દુશ્મન માને છે. ત્યારે સલમાન ખાન કેમ બિશ્નોઈ ગેંગના નિશાના પર આવી ગયો, એ પણ એક રસપ્રદ વાત છે. કેમ કે સલમાન ખાનની એક ભૂલ, હવે તેના માટે જીવલેણ બની શકે તેવી સમસ્યા બની ગઈ છે. સલમાન ખાનને લોરેન્સ દ્વારા આપવામાં આવતી વારંવારની ધમકીઓ પાછળ ચિંકારા શિકાર કેસ છે. સલમાન ખાન ચિંકારા શિકાર કેસમાં દોષિત સાબિત થઈ ચુક્યો છે. શું હતો ચિંકારા શિકાર કેસ તેના વિશે વાત કરીએ તો.ચિંકારાના શિકારમાં સલમાન ખાનને જામીન મળી ગયા છે અને હાલ તે જેલ બહાર છે. પરંતુ જે કાળા હરણની બિશ્નોઈ સમાજ પૂજા કરે છે. તેની જ હત્યા થતાં લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનની હત્યા કરવાનું નક્કી કરી લીધુ છે. માત્ર લોરેન્સ બિશ્નોઈ નહીં, ગોલ્ડી બરાડ પણ સલમાનને દોષી માને છે અને તેની આ બિશ્નોઈ ગેંગ સતત સલમાન ખાનની હત્યા કરવાની ફિરાકમાં રહે છે.લોરેન્સ બિશ્નોઈ એક ગેંગસ્ટર છે અને છેલ્લા ઘણા સમયથી સલમાન ખાન તેના નિશાના પર છે. લોરેન્સ બિશ્નોઈ, આ નામ ગેંગસ્ટરની દુનિયાનું જાણીતું નામ છે. કેમ કે દિલ્લી, મુંબઈ સહિત દેશભરમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગથી લોકો થરથર કાંપે છે. ઉદ્યોગપતિ હોય કે વેપારીઓ હોય કોઈપણ બિશ્નોઈ ગેંગના દુશ્મન બનવા નથી માંગતા. પરંતુ સલમાન ખાન પોતાની એક ભૂલના કારણે ખુદ બિશ્નોઈ ગેંગના આકા ગણાતા લોરેન્સનો દુશ્મન બની બેઠો છે. એક ભૂલના કારણે જ લોરેન્સ બિશ્નોઈએ સલમાનની હત્યા કરવાની કસમ ખાધી છે. સલમાન ખાનના પિતા સલીમ ખાનને મળેલા પત્રમાં લખ્યું હતુ કે તમારા દિકરાની હત્યા પણ સિદ્ધુ મુસેવાલાની જેમ જ થશે. પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મુસેવાલાની સરાજાહેર હત્યા ૨૯ મે ૨૦૨૨ના રોજ થઈ હતી. જેમાં મુસેવાલાની ગાડીને ઘેરીને અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. જેની જવાબદારી પણ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડ ગેંગએ લીધી હતી. તમને જણાવી દઈએ કે, બાબા સિદ્દીકીની હત્યા પાછળ જેનો હાથ હોવાની ચર્ચા છે તે લોરેન્સ બિશ્નોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે.