બાબરા તાલુકાનું નાની કુંડળ ગામ પાયાની સુવિધાઓથી વંચિત છે. ગામના વિકાસ માટે સૌથી મહત્વની બાબત એટલે કે ગ્રામ પંચાયતનું પોતાનું મકાન પણ નથી. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ગ્રામ પંચાયત ભાડાના મકાનમાં ચાલી રહી છે, ત્યારે ગામના અન્ય વિકાસની શું અપેક્ષા રાખી શકાય ? નાની કુંડળ ગામમાં છેલ્લા બે વર્ષથી વહીવટદાર દ્વારા કામકાજ ચાલે છે. ગ્રામજનોએ હજુ સુધી વહીવટદારને રૂબરૂમાં જોયા પણ નથી. વિકાસ તો દૂરની વાત છે, પરંતુ રોજિંદા વહીવટી કામો પણ ખોરંભે ચડ્યા છે. તલાટી મંત્રી પણ આઠ દિવસે એક વાર આવે છે, જેના કારણે જન્મ-મરણના દાખલા અને અન્ય જરૂરી કાગળો મેળવવા માટે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ક્યારેક વહીવટદાર બદલાઈ જાય છે તો ક્યારેક તલાટી મંત્રી, જેના કારણે સમસ્યા વધુ વકરે છે. ગ્રામજનોને પોતાના કામ માટે ૨૦ કિલોમીટર દૂર બાબરા સુધી ધક્કા ખાવા પડે છે, જે તેમના માટે ખૂબ જ મુશ્કેલીભર્યું છે. ગામના આગેવાન નારણભાઈ ભાલીયાએ તાત્કાલિક ગ્રામ પંચાયતનો રૂમ બનાવવાની અને કાયમી તલાટી મંત્રીની નિમણૂક કરવાની માંગણી કરી છે.