બગસરા પાલિકા સંચાલિત શાકમાર્કેટ ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. આ શહેરની એકમાત્ર શાકમાર્કેટ હોવાથી અહીં હજારો લોકોની અવરજવર રહે છે, પરંતુ જર્જરિત સ્લેબ પરથી ગમે ત્યારે મસમોટા પોપડા પડતાં વેપારીઓ અને ગ્રાહકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે. શાકમાર્કેટની અંદર આવેલા ઓટલા પર છતમાંથી સતત પોપડા ખરી રહ્યા છે, જેના કારણે અહીં ઉભું રહેવું પણ જોખમી બન્યું છે. શહેરના લગભગ તમામ લોકો શાકભાજીની ખરીદી માટે આ જ માર્કેટમાં આવતા હોવાથી, તેઓ મજબૂરીવશ જીવના જોખમે ખરીદી કરવા આવે છે. ભયંકર અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. નગરજનો દ્વારા પાલિકાને તાત્કાલિક ધોરણે આ શાકમાર્કેટનું રીનોવેશન કરવાની માંગ ઉઠી છે, જેથી કોઈ અઘટિત બનાવ ન બને. લોકોનો આક્ષેપ છે કે પાલિકા માત્ર વેરા વધારા અને સારા રોડ તોડીને વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ લોકોના જીવને જોખમમાં મૂકતી આ ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરે છે. હજારો શહેરીજનોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં લઈને પાલિકા તાત્કાલિક નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.