ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં ડિસેમ્બર ૨૦૨૫માં થયેલા જીવલેણ હુમલા કેસમાં તાજેતરના વિકાસે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. પ્રખ્યાત લોકસાહિત્યકાર અને ‘ડાયરા કિંગ’ તરીકે ઓળખાતા માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની સ્પેશિયલ ઇન્સ્ગેશન ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. હાલમાં જયરાજ ભાવનગર સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૪ આરોપીઓની ધરપકડ થઈ છે.
સમગ્ર મામલો ૨૯ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બગદાણા આશ્રમના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલાથી શરૂ થયો. નવનીતે આક્ષેપ કર્યો કે, માયાભાઈ આહીરે એક કાર્યક્રમમાં બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી વિશે ખોટું નામ લીધું હતું. નવનીતે ફોન કરીને સુધારો કર્યો અને માયાભાઈએ માફી માંગતો વીડિયો જાહેર કર્યો.
આ વીડિયો પછી જયરાજ આહીરને આ વાત પસંદ ન પડી અને તેમણે નવનીત પર હુમલાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ છે. હુમલામાં નવનીતને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં હાથ-પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.સોશિયલ મીડિયા અને કોળી સમાજના દબાણ પછી રાજ્ય સરકારે ૫ જાન્યુઆરી ૨૦૨૬એ એસઆઇટીની રચના કરી હતી. તપાસમાં મોબાઈલ કોલ ડેટા, લોકેશન અને અન્ય ટેકનિકલ પુરાવા મુખ્ય બન્યા. એસઆઇટીએ ૨૧ અને ૨૪ જાન્યુઆરીએ જયરાજને સમન્સ પાઠવ્યા અને ભાવનગર રેન્જ આઇજી કચેરીમાં સાડા ત્રણથી બે કલાકની પૂછપરછ કરી. ૨૪ જાન્યુઆરીએ જયરાજ સહિત ઉત્તમ ભરતભાઈ બાંભણીયા અને અજય ઉર્ફે મોટો ભાલીયાની પણ ધરપકડ થઈ.
૨૫ જાન્યુઆરીએ મહુવા કોર્ટમાં રજૂ કર્યા બાદ જયરાજને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો. એસઆઇટીએ રિમાન્ડ ન માંગ્યું અને જામીન અરજી પણ ફગાવી દેવાઈ.જયરાજ ની ધરપકડ બાદ માયાભાઈએ નવનીતને સામેથી ફોન કરીને સમાધાનની વાત કરી હતી. નવનીત બાલધિયા અનુસાર હુમલાના બે દિવસ બાદ તેને માયાભાઈને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો.
જેના પછી માયાભાઈએ ફોન કરીને કહ્યું “આ મામલો શાંત પાડો, જે થયું હશે તે માટે સાથે બેસીને સમાધાન કરીશું.”નવનીતે આ આૅફર ફગાવી દીધી અને કહ્યું કે તપાસ ચાલુ રહેશે, ન્યાય મળ્યો છે પરંતુ હજુ પૂર્ણ ન્યાય માટે લડત ચાલુ રહેશે.નવનીતે વધુમાં જણાવ્યું કે હુમલા પછી પોલીસ અધિકારીઓ માયાભાઈ સાથે સંપર્કમાં હતા, જેના કારણે પ્રારંભિક તપાસમાં વિલંબ થયો હતો.









































