પંજાબ પોલીસે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને મુખ્ય આરોપી જસબીર સિંહની ઓળખ કરી છે જે પાકિસ્તાન સમર્થિત કાવતરા સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે. જસબીર સિંહ રૂપનગર જિલ્લાના મહાલન ગામનો રહેવાસી છે અને “જાન મહલ” નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જસબીર સિંહ પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ શાકિર ઉર્ફે જટ્ટ રંધાવા સાથે સંપર્કમાં હતો, જે આતંકવાદી સંગઠનો દ્વારા સમર્થિત જાસૂસી નેટવર્કનો ભાગ છે. આ ઉપરાંત, તે હરિયાણાના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા (જેની પહેલાથી જ જાસૂસીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે) અને પાકિસ્તાની નાગરિક એહસાન-ઉર-રહીમ ઉર્ફે દાનિશ (જેને પાકિસ્તાન હાઇ કમિશનમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો) સાથે પણ સંપર્કમાં હતો.

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે જસબીર સિંહે પાકિસ્તાન હાઇ કમિશનમાં કામ કરતા દાનિશના આમંત્રણ પર દિલ્હીમાં આયોજિત પાકિસ્તાન રાષ્ટ્રીય દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તે પાકિસ્તાની સેનાના અધિકારીઓ અને વ્લોગર્સને મળ્યો હતો. તે અત્યાર સુધીમાં ત્રણ વખત પાકિસ્તાન ગયો છે (વર્ષ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૪ માં). તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી ઘણા પાકિસ્તાન સ્થિત મોબાઇલ નંબર મળી આવ્યા છે, જેની સંપૂર્ણ ફોરેન્સીક તપાસ કરવામાં આવી રહી છે.

હરિયાણાના યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ, જસબીર સિંહે આ બધા પીઆઈઓ એજન્ટો સાથે સંબંધિત વાતચીતના પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી તે તપાસ એજન્સીઓની નજરથી બચી શકે. આ સમગ્ર કેસમાં, મોહાલી સ્થિત સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલમાં એફઆઇઆર નોંધવામાં આવી છે અને કેસની તપાસ ચાલી રહી છે.

તમને જણાવી દઈએ કે ૧૭ મે, ૨૦૨૫ ના રોજ, હરિયાણાના હિસારના રહેવાસી યુટ્યુબર અને ટ્રાવેલ બ્લોગર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ  માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યોતિ પર “ઓપરેશન સિંદૂર” સંબંધિત ગુપ્ત માહિતી સહિત પાકિસ્તાની ગુપ્તચર એજન્ટો સાથે ભારત સંબંધિત સંવેદનશીલ માહિતી શેર કરવાનો આરોપ છે.

આરોપો અનુસાર, જ્યોતિ વોટ્‌સએપ, ટેલિગ્રામ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્ટોના સંપર્કમાં હતી. તપાસમાં જાણવા મળ્યું કે તે પાકિસ્તાન હાઈ કમિશનના કર્મચારી દાનિશ ઉર્ફે એહસાન-ઉર-રહીમના સંપર્કમાં હતી, જેને પાછળથી જાસૂસીના આરોપસર ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. દાનિશ દ્વારા, તેણીએ અલી અહવાન, શાકિર અને રાણા શાહબાઝ જેવા અન્ય પાકિસ્તાની અધિકારીઓ સાથે પણ સંપર્ક સ્થાપિત કર્યો.

જ્યોતિ મલ્હોત્રા એક યુટ્યુબર છે જે તેની ચેનલ “ટ્રાવેલ વિથ જા” માટે જાણીતી છે, જેના લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. પાકિસ્તાન સંબંધિત તેની ઘણી પોસ્ટ્‌સ અને વીડિયો પણ સમાચારમાં રહ્યા છે. એવો આરોપ છે કે તે આ યાત્રાઓ અને સોશિયલ મીડિયાના બહાને જાસૂસી પ્રવૃત્તિઓમાં સામેલ હતી.