દાંતીવાડામાં ધોધમાર વરસાદ વરસતા રાણોલ ગામે આવેલા મંદિરમાં પાણી ભરાયા છે. મહાદેવ મંદિર અને મહાકાળઈ મંદિરમાં પાણી ભરાયા છે. ભાખર વિસ્તારમાં ધાર્મિક સ્થળો પર ધોધમાર વરસાદના કારણે મહાદેવ અને મહાકાળીના મંદિરોમાં પાણી ભરાયું છે, તેના લીધે ભક્તોને દર્શન કરવામાં મુશ્કેલી પડી છે. મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. તો સિઝનમાં પહેલી વખત રાણીટૂંક ઝરણા વહેતા થયા છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તબાહી બોલાવી છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદને પગલે ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી પણ પલળી ગઈ છે. પોતાના ઘરમાંથી જ ઘૂંટણસમા પાણીમાં સામાન લઈને નીકળવા માટે લોકો મજબૂર બન્યા છે. ભારે વરસાદને લીધે જિલ્લામાં પરિસ્થિતિ ડામાડોળ થઈ છે.
વડગામમાં ૮ ઇંચ અને પાલનપુરમાં ૬ ઈંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. પાલનપુરના ડોક્ટર હાઉસની પાછળના ભાગમાં તથા મફતપુરામાં લોકોના ઘર અને દુકાનોમાં પાણી વળતાં ઘરવખરી સહિતનો સામાન પલળી જતાં પારાવાર નુકસાન થયું છે. ઘરમાં પાણી ઘૂસી જતાં વૃદ્ધો અને બાળકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. અવિરત વરસાદના કરાણે જનજીવન ઠપ્પ થઇ ગયું છે.