જિંદગી સ્વયં આસાન નથી અને એથી એને સમજવાનું તો બિલકુલ આસાન નથી જ નથી. કોરોનાકાળે કેટલાકને જિંદગીની સમજ આપી છે. જે આપણે સમજવા તૈયાર હોતા નથી તે આપણને સંયોગો શીખવે છે. સંયોગો એક કડક શિક્ષક છે, એના બન્ને હાથમાં એક એક સોટી છે. આ સોટીનો માર બહુ લોકોએ ખાધો છે. આમ જુઓ તો જિંદગીમાં સુખી થવાના નિયમો સાવ સીધા અને સાદા છે. પરંતુ મનુષ્ય પોતે જ એટલો સંકુલ ( કોમ્પ્લિકેટેડ ) બની ગયો છે કે સાવ સરળ નિયમો એને ગળે ઉતરતા નથી. એને કારણે એના દુઃખનો કોઈ અન્ત નથી. દુઃખના પ્રકાર બદલાય છે પરંતુ દુઃખનું સાતત્ય અટકતું નથી. મોટાભાગના દુઃખ મનુષ્ય જાતે નોંતરે છે. બધું મળ્યા પછીય બહાર ભટકે છે. ખોટું બોલે છે, છુપાવ્યું છુપાય નહિ એને પોતે છુપાવી શકે છે એવા ભ્રમમાં રહે છે. જે સત્ય છે તે ગામના ચોકમાં મૂકાય છે. થોડી વાર લાગે પણ ઘટસ્ફોટ થયા વિના રહેતો નથી. બીજા અનેકને ઊઘાડા પડતા જોતો હોવા છતાં મૂર્ખ મનુષ્ય એમ માને છે કે મારા કર્મ ઢંકાયેલા રહેશે. આ નરી મૂર્ખતા છે અને આવી મૂર્ખતાના પુનરાવર્તનથી જ ઘટસ્ફોટ થાય છે. સંસારમાં ચોતરફ આમ જોવા મળે છે.અનેક લોકો અત્યારે સુખ લેવાનો મોકો જતો કરીને એમ માને છે કે બસ આટલું કામ કરી લઉં પછી હાશ નિંરાતેથી જિંદગીની મોજ મોજ માણીશું. મોટે ભાગે આ લોકો પર જુની પેઢીના સંસ્કારો સવાર છે. આવું જે લોકો વિચારે છે તેઓ મોજથી બહુ દૂર રહી જાય છે. એવી મોજ કદી એમને મળતી નથી. કારણ કે સુખ શેરડીના સાંઠા જેવું છે. એ કંઈ એક સાથે ગળી ન શકાય. એની નાની નાની ગંડેરી બનાવવી પડે. બચત જેવું છે. ટીપાં અને સરોવરનો સંબંધ છે અથવા કાંકરા અને પાળ જેવું છે. એકસાથે તો કંઈ થતું નથી. સમય પણ ક્ષણક્ષણમાં રચાયેલો છે. પ્રતિક્ષણનું સુખ એ જ ખરું સુખ છે. ક્યારેક લોકો બધું જ બરાબર કરે છે પણ સુખ લેવાનું ભૂલી જાય છે. એવું નથી કે એમને સુખની કંઈ પડી નથી. પણ તેઓ એમ માને છે કે બસ આ બધું હું સુખ માટે તો કરું છું, પછી સુખ મળવાનું જ છે ને !વરસનો નાનો ઘટક એટલે કે એકમ દિવસ છે. દિવસ સુખ ન આપે તો વરસ પાણીમાં જાય. લોકો પોતાનું નવું વરસ સારું જાય એ માટે દીપાવલીના તહેવારોમાં ઊંચી મનોકામનાઓનું કપોતકળાએ સેવન કરે છે. પણ પછીથી એવી દડમજલમાં પડી જાય છે કે તેઓ ભૂલી જ જાય છે કે તેમના હૃદયનું પરિપોષણ આનંદથી જ થાય છે. એ આનંદ કોઈને પિયાનો વગાડવામાંથી મળે તો કોઈને દયનીય બાળકોને ભોજન કરાવવામાંથી મળે. કલા કે પરમાર્થમાંથી આનંદ મળે પણ સ્વાર્થમાંથીય આનંદ મળે. સંતો ભલે એને તામસિક કહે. લોભીને એક પાઈ કે એક કરોડમાંથી આનંદ તો સરખો જ મળે. જેમ મહાન અભિનેતાને જેટલો આનંદ રાજા તરીકેનો અભિનય કરવામાં મળે, એટલો જ આનંદ રંક હોવાનો અભિનય કરવામાં મળે. આત્માને આનંદની તરસ હોય છે. તપસ્વી વિશ્વામિત્ર કે જેમણે ગાયત્રી મંત્રની રચના કરી જે વાસ્તવમાં એક મહાન સૂર્યસ્તુતિ છે અને ગાયત્રી તો છંદનું નામ છે, એ અને એવી અનેક ઉપાસનાઓ કર્યા પછી અને મહાન ધનુર્વિદ્યા આત્મસાત કર્યા પછી પણ એમની આનંદ માટેની તરસ અધૂરી રહી. અધૂરી તરસ સમસ્યા સર્જે છે. તપશ્ચર્યામાં વિશ્વામિત્ર ઈન્દ્રનું આસન ડોલાવવા લાગ્યા તોય તેઓ સ્વયં પરિતૃપ્ત ન હતા. એટલે આનંદની શોધ તો ભીતર ચાલુ જ રહી. પરિણામ એ આવ્યું કે અધૂરી સાત્વિક તરસની પરિપૂર્તિ કરવા તેઓ અપ્સરા મેનકા તરફ તણાયા, નિઃસહાય રીતે એમના હૃદયરંગ એ તરફ વહેવા લાગ્યા. આ ઘટનાને શાસ્ત્રોએ ઋષિના તપોભંગ તરીકે વર્ણવી છે. મેનકા અતિ સુંદર તો હતી જ પરંતુ વિશ્વામિત્રની આંખે તો એ હતી એથીય સુંદર લાગતી હતી. વિશ્વામિત્રના પ્રણયને જ જાણે કે ન્યાય આપતા હોય એમ કવિવર ટાગોરે લખ્યું છે કે અરૂપ રત્નો પામવા માટે હું રૂપના સાગરમાં ડૂબકી મારું છું.વિશ્વામિત્ર અસામાન્ય પ્રતિભાના માલિક હતા. મેનકા મિલન પછી પણ દેવોની સભામાં તેમની પ્રતિષ્ઠા રજમાત્ર ઓછી થઈ ન હતી. અયોધ્યાના રામરાજ્યનું નિર્માણ કરનારા બે ઋષિઓ હતા. વશિષ્ઠ અને વિશ્વામિત્ર. એમાં વશિષ્ઠ અવિચલિત ચરિત્ર ધરાવતા હતા. વિશ્વામિત્ર પણ હતા તો એવા જ, છતાં આનંદના ભ્રમમાં તેઓ સરી પડ્યા. એટલે કે માત્ર આનંદ એ જીવનનો ઉપક્રમ નથી, એમાં પરિતોષ પણ હોવો જોઈએ. વિશ્વામિત્ર તપ અને ધ્યાનમાં તો સાક્ષાત આનંદમૂર્તિ જ બની જતા હતા પરંતુ એનાથી એમને અસંતોષ હતો. એ અસંતોષે જ એમને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનતા અટકાવ્યા. આજે જમાનો બદલાયો છે. મેનકા એ માત્ર અપ્સરાનું નામ નથી. એ તમામ વ્યક્તિ કે વસ્તુ જે તપ અને સ્વાધ્યાયમાં આડે આવે એ મેનકા જ છે. આજે મોબાઈલ ફોન મેનકા જ છે. ભારતીય પ્રજા કેટલા બિન-ઉત્પાદકીય કલાકો મોબાઈલ ફોનને આપે છે એનો હિસાબ કરવામાં આવે તો ડઘાઈ જવાય. કામગરા હાથે ધૂળ ચડે તો એ ધૂળ ખંખેરતા પ્રજાને વરસોના વરસો લાગે છે. એન્ડ્રોઇડ ટેકનોલોજી આવ્યા પછી હથેળીનું આકાશ એટલું વિસ્તર્યું છે કે પગમાંથી સાપ પસાર થતો હોય તોય કોઇને ખ્યાલ રહેતો નથી. તેઓ પેલા આકાશમાં ડૂબી ગયા હોય છે. ખોટી ભૂખ અને ખોટી તરસ માણસને કેવો ગુલામ બનાવે છે તે આ ખોવાયેલા લોકોમાં જોઈ શકાય છે. જેઓ ફોનમાં ખોવાઈ જાય છે તેઓ આગળ જતાં ખરેખર જ વ્યવહાર જગતમાંથી પણ ખોવાઈ જાય છે.જે લોકોના બેન્ક એકાઉન્ટ છલોછલ છે અથવા તો અઢળક સંપત્તિના જેઓ માલિક છે તેઓ કદાચ મનોરંજનમાં વધુ કલાકો ફાળવે તો તેમને પોસાય. પરંતુ જેઓ પોતાના પરિવારના મોભી છે અને જવાબદારીઓના ગંજ ખડકાયેલા છે તેવા લોકો પણ શાહમૃગની જેમ ફોનમાં માથું ખૂંપાવીને ભાગેડૂ હોય એવા દેખાય છે. જો નિયત અને મર્યાદિત સમયથી જરાક પણ મનોરંજનનું ઘેન વધુ ચડે તો એ ઝેર સાબિત થાય છે અને જ્યારે ખબર પડે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. કોરોનાકાળમાં જે જે સંકટો ઊભા થયેલા છે એને પરિશ્રમ અને પુરુષાર્થથી જ ટાળી શકાશે. ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે કોઈ પણ બજારમાં મંદી તો નથી. જેમને કમાઈ લેવું છે તેઓ તો કમાય જ છે. માત્ર આળસુઓ મંદીના રટણ કરીને દુર્ભાગ્યને સામે ચાલીને નોંતરે છે.એવા લોકોને કોઈ હવે ટકોર કરી શકે એમ નથી. કારણ કે એમને કડવું લાગે છે. કડવાશ જ ઔષધિનો પ્રમુખ ગુણ છે એ તેઓ વીસરી ગયા છે. કાયમ મીઠી વાતો કરનારા બહુ સારા મિત્રો ન હોઈ શકે. ક્યારેક કડવું સત્ય ઉચ્ચારીને આપડી ટીકા કરનારાઓ જ શ્રેષ્ઠ મિત્રો હોય છે અને પ્રાણાન્તે પણ એમને જાળવવા જોઈએ. આ યુગમાં તો ભાગ્યવાનને જ ટીકાકારો મળે છે. જીવનમાં સંતોષ જરૂરી છે પરંતુ જરૂરિયાત પ્રમાણેની પ્રાપ્તિ પછીની એ વાત છે. સંતોષ તો સ્વયં આનંદનું રૂપ છે. સંતોષ એક પૂર્ણ વિરામ છે, પરિપૂર્ણતા છે. ત્યાં જે અંત આવે છે તે રઝળપાટનો છે. મનને ભટકવું ગમે છે તેની અમોઘ ઔષધિ સંતોષ છે. પૃથ્વી પર પ્રાપ્તિના વિકલ્પોનો કોઈ અંત નથી અને અંત છે તે અંતઃકરણનો સંતોષ છે. રાજાઓના જમાનામાં એક સોનામહોરથી સંતોષ પામનારા વિદુર જેવા વિદ્વાનો હતા અને લાખો સોનામહોરથીય જેમની ધનભૂખ ભાંગતી ન હતી તેવા રાજનીતિજ્ઞો પણ હતા. ધનભૂખ જિંદગીની સર્વ નિંરાતને હણી લે છે અને એ વધુ ને વધુ પ્રજ્વલિત થઈ જાતકને અનેક ઉત્પાત કરાવે છે. સંતોષ કોઈ કળા નથી, એક સંસ્કાર છે. ઉછેરની પરંપરામાં જો એ સમાવિષ્ટ હોય તો જ ઘરની નવી પેઢીમાં જોવા મળે છે. આપણે ગુજરાતીઓ છીએ એટલે આપણા ઘરમાં જેટલી વાત લક્ષ્મીલાલસાની હોય એટલી સંતોષની ન હોય. પણ સંતોષના સંસ્કાર દાખલ કરવા રહ્યા. એના વિના સંતાનોને જિંદગીની અસલ મહેંક નહિ મળે.