જાફરાબાદ તાલુકાના દુધાળા ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક દીપડીના બચ્ચાનું ગમખ્વાર અકસ્માતમાં મોત થયું છે. મોડી રાત્રે બ્રિજ નીચેના સર્વિસ રોડ પર કોઈ અજાણ્યા ભારે વાહને બચ્ચાને કચડી નાખ્યું હતું, જેના કારણે તેનું મોઢું છુંદાઈ જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃત બચ્ચાને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યું હતું. વનવિભાગે અજાણ્યા વાહન ચાલકને શોધવા માટે સીસીટીવી ફૂટેજ તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.