ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા પ્રેરણાદાયી સેવા, જેમાં દીકરાના નિધન બાદ પિતાએ પોતાની પુત્રવધૂને અન્ય જગ્યાએ પરણાવીને કન્યાદાન કર્યું, અને સમાજને એક નવી દિશા ચીંધી છે. જામનગર જિલ્લાના અમરાપર ગામના નારણભાઈ ઘાડિયાના પુત્ર અંકિતભાઈ ઘાડિયાનાં અવસાન બાદ, નારણભાઈ ઘાડિયાએ પોતાની પુત્રવધૂ જાગૃતિબેનનું અન્ય જગ્યાએ લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. આ પ્રસંગે, જાગૃતિબેનના પિતા મેઘજીભાઈ સંઘાણી અને તેમના સસરા નારણભાઈ ઘાડિયાએ કન્યાદાન કરીને કાલાવડ તાલુકાના મોટી નાગાજાર ગામના રમેશભાઈ ભીખાભાઈ વાડોદરિયાના પુત્ર જયદીપકુમાર વાડોદરિયા સાથે
જાગૃતિબેનના લગ્ન કરાવ્યા હતા.
આ વૈદિક વિવાહ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના માનદ મંત્રી જીતુભાઈ વસોયા અને ટ્રસ્ટી બકુલભાઈ સોરઠીયાએ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા અને પરિવારના આ અનુકરણીય પગલાંને બિરદાવ્યું હતું. રાજકોટના જે.પી. જ્વેલ્સના માલિક જીજ્ઞેશભાઈ પટોડીયા દ્વારા વૈદિક વિવાહમાં જોડાનાર દરેક કન્યાઓને સોનાની ચૂક ભેટમાં આપવામાં આવી હતી.