ખાંભાના મામલતદારે આજે ડેડાણ ગામની સીમમાં બાતમીના આધારે વાડી વિસ્તારમાં દરોડો પાડી એક સ્થળેથી ઘઉં અને ચોખાનો ૮૯૪ કિલો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો હતો. આ જથ્થો રેશનીંગનો હોવાની શંકા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ખાંભાના ડેડાણમાંથી ગત ૨૭ માર્ચના રોજ પણ ૪૨૮ કિલો ઘઉં અને ૨૫૨૯ કિલો ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો. તે સમયે પણ આ જથ્થો રેશનીંગનો હોવાની શંકાના આધારે તંત્ર દ્વારા રૂ. ૭.૮૦ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. દરમિયાન, શુક્રવારે ધારીના એસડીએમ હર્ષવર્ધનસિંહ જાડેજાની સૂચનાના આધારે ખાંભાના ઇન્ચાર્જ મામલતદાર રાજુભાઇ પરમારની ટીમે માલકનેસ રોડ પર આવેલ હિરાભાઇ સાંગરીયાની વાડીમાં તપાસ કરી હતી. તંત્રની તપાસ દરમિયાન અહીં ૨૫૦ કિલો ઘઉં અને ૬૪૪ કિલો ચોખાનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો. આ જથ્થો વિવેકભાઇ જોગરાણાનો હોવાનું સામે આવતા તે સીઝ કરાયો હતો. અનાજનો આ જથ્થો જૂનાગઢના વિસાવદર ખાતે મોકલવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.