વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી કિરીટ પટેલ માટે જોર-શોરથી પ્રચાર કરી રહ્યા છે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને લઈને નિવેદન આપતા ભૂપત ભાયાણીએ કહ્યું કે કામ નહીં કરે તો અધિકારીઓને બેવડા કરતા ત્રણ મિનિટ થશે, તેઓએ કહ્યું કે માત્ર ૩ મિનિટમાં અધિકારીઓને બેવડા કરી દે તેવી તાકાત કિરીટ પટેલ ધરાવે છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં પણ આપણે અધિકારીઓને બેવડા કર્યા હોય તેવું જોયું છે.

મહત્વનું છે કે વિસાવદર બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. ભાજપે આ બેઠક પર કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે તો આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે.. જ્યારે કોંગ્રેસે નીતિન રાણપરિયાને ટિકીટ આપી છે. ત્રણેય પાર્ટીઓએ વિસાવદર બેઠક પર જીતના દાવા કર્યા છે. ગત ઇલેક્શનમાં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા પરંતુ તેઓ પાર્ટીમાંથી અને ધારાસભ્ય પદેથી બન્નેમાં રાજીનામું આપી દેતા આ બેઠક ખાલી પડી હતી.

વિસાવદર બેઠક પર મતદારોના સમીકરણની વાત કરીએ તો કુલ ૨,૬૧,૦૫૨ મતદારો પૈકી અંદાજિત ૧ લાખ મતદારો પાટીદાર સમાજ માંથી આવે છે. વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આપ માંથી જીતેલા ભુપત ભાયાણીને ૬૫,૦૦૦ કરતા વધારે મતો મળ્યા હતા, તેવી જ રીતે હારેલા ઉમેદવાર ભાજપના હર્ષદ રીબડીયાને ૫૫ હજારની આસપાસ મતો મળ્યા હતા.