આસામ અને મણિપુર સહિત પૂર્વોત્તરના ઘણા વિસ્તારો પૂર અને ભૂસ્ખલનને કારણે ખરાબ સ્થિતિમાં છે. પીએમ મોદીએ પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી છે. પૂરને કારણે આસામ અને અન્ય ઉત્તરપૂર્વ રાજ્યો ખરાબ સ્થિતિમાં છે. હજુ સુધી પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો નથી. જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. લોકોને સમજાતું નથી કે શું કરવું. મંગળવારે આસામમાં પૂરની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. પૂરને કારણે ત્યાં વધુ છ લોકોના મોત થયા છે, જેના કારણે આ વર્ષે પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક ૧૭ થયો છે. તે જ સમયે, સિક્કિમ સહિત પ્રદેશના સાત રાજ્યોમાં મૃત્યુઆંક લગભગ ૪૮ પર પહોંચી ગયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને સતત માર્ગદર્શિકા આપી રહ્યા છે. પીએમ મોદીએ મંગળવારે આસામ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ તેમજ મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લા સાથે વાત કરીને ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. તેમણે પૂરના ખતરાનો સામનો કરવા તેમજ રાહત અને પુનર્વસન પ્રયાસોમાં કેન્દ્ર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી.
પૂર્વોત્તર રાજ્યોના અધિકારીઓ કહે છે કે ૨૯ મેથી વરસાદ અને પૂરને કારણે થયેલા ૪૮ લોકોના મોતમાંથી લગભગ ૧૭ લોકોએ એકલા આસામમાં જ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે, અરુણાચલ પ્રદેશમાં ૧૨, મેઘાલયમાં ૬, મિઝોરમમાં ૫, સિક્કિમમાં ૪, ત્રિપુરામાં ૨ અને નાગાલેન્ડ અને મણિપુરમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અહેવાલ મુજબ, ૨૧ જિલ્લાઓમાં પૂર અને વરસાદને કારણે ૬.૩૩ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ૨૧ જિલ્લાઓના ૧૫૦૬ ગામોમાં ૧૪,૭૩૯ હેક્ટરથી વધુ પાકની જમીન પણ પ્રભાવિત થઈ છે. આસામમાં, બ્રહ્મપુત્ર અને અન્ય છ નદીઓ ઘણી જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
મણિપુરમાં પૂરને કારણે ૫૬,૦૦૦ થી વધુ લોકો પ્રભાવિત થયા છે અને ૧૦,૪૭૭ ઘરોને નુકસાન થયું છે. નદીઓના પૂરને કારણે રાજધાની ઇમ્ફાલ અને ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નદીના પાણી આ વિસ્તારોમાં ભરાઈ ગયા છે.
નાગાલેન્ડમાં ભારે વરસાદને કારણે, કોહિમા જિલ્લાના ફેસામા ગામમાં એનએચ-૨ નો ૫૦ મીટરનો ભાગ ધોવાઈ ગયો. જેના કારણે નાગાલેન્ડ અને મણિપુર વચ્ચેના મુખ્ય માર્ગ સાથેનો સંપર્ક કપાઈ ગયો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મણિપુર જઈ રહેલા માલસામાન વહન કરતા ૧૦૦ થી વધુ ટ્રક રવિવારથી રસ્તા પર અટવાઈ ગયા છે. કારણ કે આગળ વધવાનો કોઈ રસ્તો નથી. તમને જણાવી દઈએ કે છેલ્લા ૧૦૦ દિવસમાં, ફક્ત મિઝોરમમાં જ ૬૦૦ થી વધુ ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. જોકે, ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં પૂરની સ્થિતિમાં ચોક્કસપણે સુધારો જાવા મળ્યો છે.
આસામમાં સાત નદીઓ ભયના નિશાનથી ઉપર વહી રહી છે. આમાં હૈલાકાંડી જિલ્લાના મતિજુરીમાં કટાખલ નદીનો પણ સમાવેશ થાય છે. આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના બુલેટિનમાં જણાવાયું છે કે સોમવારથી અત્યાર સુધીમાં છ મૃત્યુ થયા છે, જેમાં હૈલાકાંડી, શ્રીભૂમિ, મોરીગાંવ, કચર, સોનિતપુર અને તિનસુકિયામાં એક-એકનો સમાવેશ થાય છે. પૂર અને ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક અત્યાર સુધીમાં ૧૭ પર પહોંચી ગયો છે. મણિપુર અને ત્રિપુરામાં પૂર સંકટને રોકવા માટે, આર્મી હેડક્વાર્ટર ઇસ્ટર્ન કમાન્ડ હેઠળ આસામ રાઇફલ્સ ઓપરેશન જલ રાહત-૨ હેઠળ માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત વગેરે ઝુંબેશ સતત ચલાવી રહ્યું છે.